મીરાંબહેન

વિકિપીડિયામાંથી
મીરાંબહેન
જન્મ૨૨ નવેમ્બર ૧૮૯૨, ૨૨ નવેમ્બર ૧૮૯૮ Edit this on Wikidata
મૃત્યુ૨૦ જુલાઇ ૧૯૮૨ Edit this on Wikidata
વિયેના Edit this on Wikidata
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી, ચળવળકાર Edit this on Wikidata
માતા-પિતા
  • Edmond Slade Edit this on Wikidata
  • Florence Madelena Saunders Edit this on Wikidata

મેડેલીન સ્લેડ (૨૨ નવેમ્બર ૧૮૯૨ - ૨૦ જુલાઈ ૧૯૮૨), જેઓ મીરાંબહેન અથવા મીરાબેનભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના અનુયાયી હતા. ગાંધીજી સાથે રહેવા અને કામ કરવા તેમણે બ્રિટનમાં પોતાનું ઘર છોડી દીધું હતું. ગાંધીજીના સિદ્ધાંતોના પ્રચાર માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ બ્રિટીશ રીઅર-એડમિરલ સર એડમંડ સ્લેડની પુત્રી હતી.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

મીરાંબહેનનો જન્મ ઈ.સ.૧૮૯૨ માં કુલીન બ્રિટીશ પરિવારમાં થયો હતો. તેના પિતા સર એડમંડ સ્લેડ રોયલ નેવીમાં એક ઑફિસર હતા. મીરાંબહેનના બાળપણમાં તેમના પિતાને ઇસ્ટ ઈન્ડિઝ સ્ક્વોડ્રોનના કમાન્ડર-ઇન-ચીફ ના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓ નેવલ ઇન્ટેલિજન્સ વિભાગના નિર્દેશક (ડાયરેક્ટર) બન્યા હતા.[૧] તેણીએ પોતાના બાળપણનો મોટાભાગનો સમય તેના નાનાજી સાથે વિતાવ્યો હતો જેમની પાસે વતનમાં મોટી જમીનદારી સંપત્તિ હતી અને તેઓ નાનપણથી જ પ્રકૃતિ અને પ્રાણી પ્રેમી હતી.[૨]

લુડવિગ વાન બીથોવનનું સંગીત યુવાન મીરાંબહેનનો એક ઉત્કટ શોખ હતો. તેમણે પિયાનો અને કોન્સર્ટ (વિશાળ સંગીત વાદન કાર્યક્રમ)નો અભાસ કર્યો અને કોન્સર્ટ મેનેજર પણ બન્યા. ઈ. સ. ૧૯૨૧ માં, તેણે બીથોવનની રચના વગાડતા એક જર્મન સંગીતકારને લંડન ઓરકેસ્ટ્રાનું નિર્દેશન કરાવવાની ગોઠવણ કરાવી આપેલી, આ પ્રદર્શન પછી પહેલાં વિશ્વ યુદ્ધ પછી જર્મન કલાકારો પર મુકવામાં આવેલા બહિષ્કારનો અંત આવ્યો.[૧]

બીથોવન જ્યાં રહેતા હતા અને સંગીતની રચના કરી હતી તે સ્થળો જોવા માટે તેમણે વિયેના અને જર્મનીની મુલાકાત લીધી અને તેમના વિશે બહોળા પ્રમાણમાં વાંચન કર્યું. રોમન રોલેન્ડે બીથોવન વિષે લખેલા પુસ્તકો વાંચ્યાં હતાં અને તેમને મળવા બાદમાં વિલેન્યુવ જઈ તેમને મળ્યાં. આ મુલાકાત દરમિયાન, રોલેન્ડે મહાત્મા ગાંધીના પર લખાયેલા તેમના નવા પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તક તેણીએ તે સમયે વાંચ્યું ન હતું. રોલેન્ડે ગાંધીજીને બીજા ખ્રિસ્ત અને ૨૦ મી સદીની મહા માનવ તરીકે વર્ણવ્યા.[૧] [૨] ઇંગ્લેન્ડ પરત ફરી તેમણે રોલેન્ડ લિખિત ગાંધીનું જીવનચરિત્ર વાંચ્યું અને આ પુસ્તકે તેમને મહાત્માના શિષ્ય બનવાની પ્રેરણા આપી. તેમણે ગાંધીજીને પત્ર લખીને તેમના શિષ્ય બનવા અને સાબરમતી આશ્રમમાં તેમની સાથે રહેવાની અનુમતિ માંગી. ગાંધીએ જવાબમાં તેણીને આમંત્રણ આપ્યું, પણ આશ્રમના શિસ્ત પાલન અંગે ચેતવણી પણ આપી.[૩] ત્યાં જવાનો નિર્ણય લીધા પછી, તેણીએ શાકાહાર, કાંતણ અને મદ્યપાન બાધ જેવા ભારતમાં સંન્યાસીના જીવનની માટે જરૂરી એવી શરતો માટે પોતાની જાતને મહાવરો આપવાનું શરૂ કર્યો. એ વર્ષે, તેણીએ યંગ ઈન્ડિયાના સભ્ય બન્યા અને પોરિસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઋગ્વેદના અમુક ફ્રેન્ચ અનુવાદો વાંચ્યા.[૪]

ભારતમાં જીવન અને આઝાદીની લડતમાં ભૂમિકા[ફેરફાર કરો]

તેઓ ૭ નવેમ્બર ૧૯૨૫ ના દિવસે અમદાવાદ આવ્યાં, મહાદેવભાઈ દેસાઈ, વલ્લભભાઈ પટેલ અને સ્વામી આનંદ તેમને લેવા ગયા હતાં. આ તેમના લગભગ ચોત્રીસ વર્ષ લાંબા ભારત રોકાણની શરૂઆત હતી.[૪] તેમના ભારતમાં રોકાણ દરમિયાન હિંદી ભાષા શીખવા તેઓ ગુરુકુલ કહંગરી ગયા હતા. ત્યારબાદ તેઓ સ્વામી પરમાનંદ મહારાજના આશીર્વાદ મેળવવા માટે તેમના દ્વારા સ્થાપિત રેવારીના ભાગવત ભક્તિ આશ્રમમાં ગયા. તેમણે મહાત્મા ગાંધીને તેમના ભાગવત ભક્તિ આશ્રમમાંના તેમના અનુભવો વિશે પત્રો લખ્યા હતા.[સંદર્ભ આપો]

ગ્રીનફિલ્ડ મિલ ડાર્વેન, લેન્કેશાયરમાં મીરા બહેન (જમણે છેવટે) મહાત્મા ગાંધીજી સાથે

મીરાંબહેનનો ભારતમાં રોકાણ સમય ભારતીય સ્વતંત્રતા ચળવળના સમયનો એટલે કે ઐતિહાસિક ગાંધીવાદી તબક્કાની ચરમ કાળ દરમ્યાન રહ્યો. તેઓ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ગાંધી અને અન્ય લોકો લંડન ગયા હતાં. લંડનથી પરત ફરતી વખતે, મીરાંબહેન અને ગાંધીજી એક અઠવાડિયા માટે રોલેન્ડને મળવા ગયા. જ્યારે તેઓએ તેની રજા લીધી ત્યારે રોલેન્ડે તેમને બીથોવન પર એક પુસ્તક આપ્યું, મીરા બહેન ભારતમાં હતા ત્યારે આ પુસ્ત્ક રોનાલ્ડે લખ્યું હતું. ઈ.સ. ૧૯૬૦માં તેમણે તે પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી, તે વાંચીને પોતાના જીવનનો પછીનો સમય તેમણે બીથોવનની જન્મભૂમિ ઑસ્ટ્રિયા માં રહેવાનો નિશ્ચય કર્યો. [૧] ૧૯૩૧ માં અસહકાર ચળવળ ફરી શરૂ થઈ અને તેમાં ભાગ લેવા માટે તેમને ૧૯૩૨–૩૩ કેદ કરવામાં આવ્યાં હતાં. [૫]

સ્વતંત્રતા માટે ભારતના પક્ષની તરફેણ કરવા માટે તેઓ ડેવિડ લોઇડ જ્યોર્જ, જનરલ સ્મટ્સ અને વિંસ્ટન ચર્ચિલને વિદેશમાં જઈ મળ્યા અને યુનાઇટેડ સ્ટેટની મુલાકાત દરમ્યાન તેઓ વ્હાઇટ હાઉસ ખાતે શ્રીમતી રુઝવેલ્ટને મળ્યા હતા. મીરાંબહેને સેવાગ્રામ આશ્રમની સ્થાપનામાં પણ સક્રિય રસ લીધો હતો. ૧૯૪૨ ની શરૂઆતમાં કોઈપણ સંભવિત જાપાની આક્રમણનો અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે ઓરિસ્સાના લોકો વચ્ચે રહી કામ કર્યું હતું. ઑગસ્ટ ૧૯૪૨ થી મે ૧૯૪૪ દરમિયાન તેમની ગાંધીજી સાથે ધરપકડ કરવામાં આવી અને તેમને પણ ગાંધીજી સાથે પુણેના આગા ખાન પેલેસમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમણે મહાદેવ દેસાઇ અને કસ્તુરબા ગાંધીનું નિધન જોયું હતું. તેઓ સિમલા પરિષદ અને કેબિનેટ મિશન, વચગાળાની સરકાર તથા બંધારણ સભા, ભારતના ભાગલા અને મહાત્મા ગાંધીની હત્યાના પણ સાક્ષી પણ હતાં.

ભારતમાં આઝાદી પછીનું જીવન[ફેરફાર કરો]

આગાખાન પેલેસમાં કારાવાસમાંથી છૂટ્યા થયા પછી ગાંધીજીની પરવાનગી લઈ તેમણે રૂરકી નજીકના મૂળદાસપુર માજરા નામના ગામમાં કિસાન આશ્રમની સ્થાપના કરી. સ્થાનિક ગ્રામજનો દ્વારા એ આશ્રમ માટે જમીન તેમને દાનમાં આપવામાં આવી હતી. સ્વતંત્રતા પછી, તેમણે ઋષિકેશ નજીક પશુલોક આશ્રમ અને ઈ.સ. ૧૯૫૨માં ભીલાંગણમાં બાપુ ગ્રામ નામની એક વસાહત અને ગોપાલ આશ્રમ નામની સંસ્થાની સ્થાપના કરી.[૪] તેમણે આ આશ્રમોમાં ડેરી અને ખેતીને લાગતા કેટલાંક પ્રયોગો કર્યા અને કાશ્મીરમાં થોડો સમય વિતાવ્યો. કુમાઉ અને ગઢવાલમાં વિતાવેલા સમય દરમિયાન તેમણે ત્યાંના જંગલોના વિનાશ અને તેની મેદાનોમાં આવતા પૂર ઉપર તેની અસરનો અભ્યાસ કર્યો હતો. સમથિંગ રોંગ ઇન હિમાલયા નામના નિબંધમાં તેમણે આ વિશે લખ્યું હતું, પરંતુ વન વિભાગે તેમની સલાહની અવગણના કરી હતી. ઈ.સ. ૧૯૮૦ ના દાયકામાં, આ વિસ્તારોમાં ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખાતા જંગલોને બચાવવા માટે એક વિશાળ ગાંધીવાદી પર્યાવરણીય અભિયાન જોવા મળ્યું.[૬] તેના એક સહયોગી હિન્દુ તત્વજ્ઞાની રામ સ્વરૂપ હતા.[૭][૮]

ઈ. સ. ૧૯૫૯ માં તેઓ ઈંગ્લેન્ડ પાછા ફર્યા. ઈ.સ. ૧૯૬૦માં, તેઓ ઓસ્ટ્રિયા સ્થાનાંતરિત થયા અને બાકીનું જીવન ઈ વિયેના વુડ્સ: બેડેન, હિંટરબ્રેહલ, ક્રેકીંગના નાના ગામમાં પસાર કર્યું. બાવીસ વર્ષ આ સ્થળે ગાળ્યા બાદ ઈ.સ. ૧૯૮૨માં તેમનું અવસાન થયું.[૯] ઈ.સ.૧૯૮૧માં માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા.[૧૦]

મીરાંબહેન દ્વારા લખાયેલ પુસ્તકો[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૮૩ની ભારતીય સ્ટેમ્પ પર મીરાંબહેન

મીરાંબહેનની આત્મકથાનું નામ ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ છે . તેણે બાપુસ લેટર્સ ટુ મીરા અને ન્યુ અને ઓલ્ડ ગ્લેનિંગ્સ નામના પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં હતા.[૧૧][૧૨] તેમના મૃત્યુ સમયે તેણીએ બીથોવનનું અપ્રકાશિત જીવનચરિત્ર, ધ સ્પિરિટ ઑફ બીથોવેન પણ છોડી ગયાં હતાં.[૧૩]

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

  • રિચાર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં અભિનેત્રી ગેરાલ્ડિન જેમ્સે મીરા બહેનનું પાત્ર ભજવ્યું હતું, જે ૧૯૮૨ માં મેડલિન સ્લેડના મૃત્યુ પછી અમુક મહિનાઓ પછી પ્રસિદ્ધ થયું.[સંદર્ભ આપો]
  • સુધીર કક્કરની 'મીરા અને મહાત્મા ગાંધી' એ ગાંધીજી અને તેમના અનુયાયી મીરા બહેનના સંબંધો દર્શાવતો એક કાલ્પનિક ચિતાર છે.[૩]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • મીરાંબહેન દ્વારા સ્પિરિટ્સ પીલીગ્રિમેજ. ગ્રેટ રિવર બુક્સ. ૧૯૮૪.
  • મીરાંબહેન દ્વારા ન્યુ અને ઓલ્ડ ગ્લેનિંગ્સ. નવજીવન પ્રકાશન ૧૯૬૪.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Lindley, Mark. "Mirabehn, Gandhi and Beethoven". Academia.edu.
  2. ૨.૦ ૨.૧ Gupta, Krishna Murti (14 August 1993). "Mira Behn: A friend of nature". India Environment Portal.
  3. ૩.૦ ૩.૧ Singh, Khushwant (1 October 2005). "IN LOVE WITH THE MAHATMA". The Telegraph.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Associates of Mahatma Gandhi, Mirabehn". mkgandhi.org.
  5. "WOMEN AND INDIA'S INDEPENDENCE MOVEMENT". મૂળ માંથી 2015-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-15.
  6. Langston, Nancy (22 April 2007). "Significant Women in Forestry". Society of American Foresters. મૂળમાંથી અહીં સંગ્રહિત 29 એપ્રિલ 2017. મેળવેલ 30 જુલાઈ 2022. Check date values in: |access-date= (મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
  7. Schouten, Jan Peter (2008). Jesus as Guru: The Image of Christ Among Hindus and Christians in India. Rodopi. પૃષ્ઠ 261. ISBN 90-420-2443-7.
  8. Elst, Koenraad. Ram Swarup (1920–1998) – Outline of a Biography સંગ્રહિત ૨૦૧૭-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન. koenraadelst.bharatvani.org
  9. Ghosh, Ruchira (2018-05-01). "Mirabehn: A Key Player In The Indian Freedom Struggle". Feminism In India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-15.
  10. "Associates of Mahatma Gandhi : Mirabehn". www.mkgandhi.org. મેળવેલ 2019-10-15.
  11. "Mira Behn, disciple of Mahatma Gandhi". indiavideo.org.
  12. "Books by Mirabehn". amazon.com.
  13. "The making of Mirabehn". The Hindu. 24 September 2000. મૂળ માંથી 19 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 15 ઑક્ટોબર 2019. Check date values in: |access-date= (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • લેટર્સ ટુ મીરાંબહેન - મહાત્મા ગાંધી # ગ્રીનલીફ બુક્સ. ૧૯૮૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]