હડકવા

વિકિપીડિયામાંથી

હડકવા (અંગ્રેજી: Rabies) એ વિષાણુ દ્વારા થતો ખૂબ ગંભીર રોગ છે. આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્ર પર હુમલો કરે છે અને તેનો ચેપ મગજ સુધી પહોંચતા માણસ મૃત્યુ પામે છે. આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.(ઇસ. પુર્વે ૫૦૦ થી ૧૫૦૦ ના ગાળા માં.)[૧] આ રોગનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૧૯૩૦માં લખાયેલા મેસોપોટેમિયન પુસ્તક 'એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)'માં જોવા મળે છે.[૨] આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કુતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માંકડા, ચામાચિડીયા, મનુષ્ય, વગેરે.[૩] હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫૦૦૦ લોકો મૃત્યુ પામે છે.[૪] જેમા ના ૯૫% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે.[૫] કુલ મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે.[૬]

વિષાણુ અને રસીકરણ[ફેરફાર કરો]

હડકવાનો વાઈરસ (વિષાણુ) સામાન્ય રીતે હડકાયા પશુની લાળ અને જ્ઞાનતંતુમાં જોવા મળે છે.[૭][૮]. મોટેભાગે આ વિષાણુનો માનવ શરીરમાં પ્રવેશ તે પશુના કરડવાથી થાય છે. હડકાયું પશુ આક્રમક સ્વભાવ ના ધરાવતુ હોય તો પણ અને રંજાડ્યું ના હોવા છતાં કરડી જાય છે.[૯] વિષાણુની પ્રકૃત્તિનું આ એક અજોડ ઉદાહરણ છે કે કઈ રીતે વિષાણુ પોતાના યજમાનની વૈચારિક શક્તિ પર કબજો કરી લે છે અને ત્યારબાદ પોતાના ફેલાવા માટે બીજા યજમાન શરીરમાં પ્રવેશવાની સગવડ કરી લે છે. વિષાણુ નિર્જીવ હોય છે, પરંતુ તેમના વંશવેલાના વિસ્તાર કરવાની વૃત્તિ જોતા તેમને 'સજીવ અને નિર્જીવ'ને જોડતી કડી તરીકે પણ ઓળખાવાય છે.

હડકવાના વિષાણુ મનુષ્યના શરીરમા પહોચ્યા પછી ચેતાતંત્રમાં દાખલ થાય છે. અને ત્યારબાદ તે મગજ સુધી પહોચે છે.[૧૦] વાઈરસ માનવ મગજની અંદરના ભાગમાં પહોચ્યા પછી દરદી હડકાયો બને છે. ત્યારબાદ ગમે તેટલી સારવાર કે સાર-સંભાળ છતાં પણ બે થી દસ દિવસમાં તેનું મોત નિશ્વીત બને છે. હડકાયા બનેલા ૯૯% દરદી મૃત્યુ પામે છે.[૧૧][૧૨] પરંતુ હડકવા થયા પહેલા એટલે કે હડકાયું જાનવર કરડ્યા પછી યોગ્ય સમયમાં અથવા પહેલેથી હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શક્તા નથી અને પીડિત ઉગરી જાય છે. હડકવાની રસીની શોધ ઈસવીસન ૧૮૮૫માં વિજ્ઞાની લૂઈ પાશ્ચરે કરેલી છે.

હડકાયા માણસના લક્ષણો[ફેરફાર કરો]

પ્રાથમિક લક્ષણો માથુ દુઃખવું, તાવ આવવો, નબળાઈ આવવી, ખોટી ચિંતા, મૂંઝવણ, હતાશા, વિચિત્ર વર્તન, અતાર્કિક વિચારો, આક્રમકતા વગેરે છે[૧૩][૧૪][૧૫]; જ્યારે હડકવા ઉપડ્યા પછીના લક્ષણો નીચે પ્રમાણે છે:

  • બીજા માણસોને કે જાનવરને કરડવા દોડવું
  • બચકા ભરવા, વિચિત્ર વિચારો આવવા, વિચિત્ર વર્તન
  • હિંસક વર્તન, ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરવો
  • પાણીથી ભય લાગવો, દૂર ભાગવું
  • ઘણા અંગોમાં લકવાની અસર થવી
  • મોઢામાં લકવાને કારણે ખોરાક, પ્રવાહી ગળવાની અક્ષમતા
  • વધુ પ્રમાણમાં લાળ અને આંસુ પડવા
  • વધુ પ્રકાશ, અવાજ કે સ્પર્શ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બની જવું

ભારતમાં હડકવા[ફેરફાર કરો]

વિશ્વભરમાં સૌથી વધુ હડકવાના કેસ ભારત દેશમાં થાય છે અને તેનુ કારણ શેરી પરના મુક્ત કુતરાં છે.[૧૬] ભારત દેશમાં ૧૯૮૫ થી ૨૦૦૪ સુધીના સમયગાળામાં દરેક વર્ષે દોઢ કરોડ લોકોને જાનવરે (મોટાભાગે કુતરાએ) બચકું ભર્યુ હતું. તેમાથી દર વર્ષે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આમાં મૃત્યુ પામનાર મોટાભાગના લોકો ગરીબી રેખા હેઠળ જીવનારા હતા.[૧૭]

ડબલ્યુ.એચ.ઓ.ના સહકારથી કરવામાં આવેલા વર્ષ ૨૦૦૪ ના સર્વે પ્રમાણે દર વર્ષે ભારત દેશમાં ૨૦,૫૬૫ લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે[૧૭]. ૨૦૦૪ ની ગણતરી પ્રમાણે ભારત માં અઢી કરોડ કુતરાં વસતા હતાં જેમાં ૨૦% પાલતુ અને ૮૦% બિનપાલતુ નો સમાવેશ થાય છે.[૧૭] ૯૧.૫% હડકવાના કેસ કુતરૂ કરડવાથી થાય છે, કરડનારા કુતરાઓ માં ૬૦% શેરીના અને ૪૦% પાલતું કુતરા હોય છે. ભારત દેશમાં દર બે સેકંડે કોઈકને જાનવર કરડે છે અને દર ૩૦ મીનીટે હડકવાથી કોઈ મરે છે.[૧૭] આમ છતાં અન્ય દેશોની જેમ ભારત દેશમાં હડકવાને એટલો ગંભીરતાથી ન લેવાતો હોવાથી, આ રોગ સામે લડવા એવુ કોઈ સુગઠિત તંત્ર નથી અને હડકવાથી મરનારા માણસો અને જાનવરની અલગથી નોંધ ન લેવાતી હોવાના કારણોસર મનાય છે કે હડકવાથી મરનાર લોકોના આંકડા જણાવેલા આંકડા કરતાં પણ વધુ હશે.[૧૭] રાષ્ટ્રીય સુત્રો દ્વારા હડકવા થી વાર્ષીક મૃતાંક ૩૦,૦૦૦ ઉપરનો જણાવાય છે. પરંતુ એક અહેવાલ પ્રમાણે વાસ્તવિક ચિત્ર કઈંક ઓર છે, કેમકે રાષ્ટ્રીય સુત્રો ૧૯૮૫ વખત થી આ એક સરખો જ આંકડો આપે છે. અડસટ્ટે ગણતરી એવી લગાવાય છે કે હડકવાથી વાર્ષીક મૃતાંક ૩,૦૦,૦૦૦ જેટલો હશે.[૧૮]

ગુજરાત અને હડકવા[ફેરફાર કરો]

૨૦૧૧ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં પોણા ત્રણ લાખ લોકોને કુતરાં કરડ્યાં હતાં એવી માહિતી ગુજરાતનુ સ્વાસ્થ્ય સંરક્ષણ ખાતુ આપે છે. જાન્યુઆરી, ૨૦૧૨માં ગજરાત સરકારે ગરીબી રેખા ઉપરના એવા એપીએલ કાર્ડધારકો માટે પણ હડકવાની રસી મફત કરી નાખી. આ પહેલા આ રસી ફક્ત બીપીએલ કાર્ડધારક એવા ગરીબી રેખા હેઠળના લોકો માટે જ મફત હતી જ્યારે એપીએલ કાર્ડધારક માટે આની કીંમત ૫૦૦ રૂપિયા પ્રતી ડોઝ હતી.[૧૯] ચિરોન બેહરિંગ નામની પેઢી અંકલેશ્વર સ્થિત પોતાના પ્લાન્ટ દ્વારા હડકવા વિરોધી રસીનું મોટા પાયે ઉત્પાદન કરે છે.

હડકવા પ્રત્યે લોક જાગૃતી અને વલણ અંગે અભ્યાસ કરવાના હેતુથી આણંદ જિલ્લાના કરમસદ તાલુકા આસપાસના નવ ગામોના ૨૨૫ કુટુંબોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના તારણો એવા નિકળ્યા કે[૧૮], ૧૦૦% લોકો હડકવાના રોગ વિષે અવગત હતાં. ૯૮.૬% લોકો માહિતગાર હતાં કે કુતરૂં કરડવાથી હડકવા થાય છે. ફક્ત ૩ વ્યક્તિ આ બાબતથી અજાણ હતી, જેમાં બે અભણ ખેડુત અને એક શિક્ષિત સ્નાતક એવો નોકરીયાત આ બાબતે અજાણ હતાં કે હડકવા શા કારણથી થાય છે. કોઇ પ્રાણી કરડી જાય તો તમે શુ કરશો એવા પ્રશ્નના જવાબમાં ૩૧.૧% લોકોએ જણાવ્યુ કે તેઓ ઘાને સાફ કરવો, પટ્ટી લગાવવા જેવી પ્રાથમિક સારવાર લેશે. ૩૬.૪% લોકો ડૉક્ટર પાસે જશે, જ્યારે ૧૩.૪% લોકો કઈં જ નહી કરે. બાકીના ૧૯.૨% લોકો કેટલીક અંધશ્રદ્ધા ભરી સારવાર કરશે જેમકે, ઘા પર લાલ મરચું ભરી દેવુ, હડકાઈ માતાના મંદિરે જવું, વગેરે[૧૮].

કેટલાંક વિશિષ્ટ અને કરૂણ કિસ્સાઓ અહિં આપેલા છે.

  • ૧૪ ઓક્ટોંબર ૨૦૧૧, અમરેલી જિલ્લાના બાબરાના કરિયાણા રોડ પર એક દેવીપૂજક પરિવારના પાંચ સભ્યોને ગામની સીમમાં હડકાયું મરેલું શિયાળ મળ્યું હતું, જે તેઓ રાંધીને ખાઈ ગયા. બે દિવસ બાદ તેમને હડકવા ઊપડ્યો અને તેઓ ગામના લોકોને કરડવા તેમની પાછળ દોડ્યા અને ગામમાં ખૂબ આતંક મચાવ્યો હતો[૨૦].
  • ૩ જુલાઈ ૨૦૧૦, પાટણના હારીજ તાલુકાના ખાખલ ગામના ૩૫ વર્ષિય યુવાનને હડકવા ઉપડતાં તેમને ખાટલા સાથે દોરડા વડે બાંધીને ટ્રેક્ટરમાં નાખી દવાખાને લઈ જવામા આવ્યો પરંતુ આ શખ્સ ટ્રેક્ટરમાંથી ઠેકડો મારી નીચે પડી અને નાસભાગ મચાવતા તેના પરિવારજનો તેને દવાખાનાને બદલે બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલા અજીયાણા ગામના હડકાઈ માતાના મંદિરે લઈ ગયા હતા[૨૧].
  • ૪ નવેમ્બર ૨૦૧૧, મોટાઈસનપુર ખાતે એક ૭૦ વર્ષના વૃદ્ધને હડકવા ઉપડતા તેઓ પોતાના વાડાના ભેંસ અને પાડાને બચકાં ભરવા લાગ્યા હતા[૨૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2244675/
  2. Dunlop, Robert H (1996). Veterinary Medicine: An Illustrated History. Mosby. ISBN 0-8016-3209-9. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  3. http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2244675/
  4. http://www.who.int/mediacentre/factsheets/fs099/en/
  5. http://www.who.int/rabies/en/
  6. "New Rabies Vaccine Shows Promise for Prevention, Treatment". Voice of America. 2009-07-08. મેળવેલ 2010-01-30.[હંમેશ માટે મૃત કડી]
  7. The Merck Manual. 11th Edition (1983). પૃષ્ઠ 183. Unknown parameter |Edition= ignored (|edition= suggested) (મદદ); Check date values in: |year= (મદદ)
  8. The Merck manual of Medical Information. Second Home Edition. 2003. પૃષ્ઠ 484.
  9. Turton, Jenny (2000). "Rabies: a killer disease". National Department of Agriculture. મૂળ માંથી 2006-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-25.
  10. Jackson, Alan C., Wunner, William H. (2002). Rabies. Academic Press. પૃષ્ઠ 290. ISBN 978-0-12-379077-4.CS1 maint: multiple names: authors list (link)
  11. Joanne Lynn, M.D. (ઓક્ટોબર ૧૯૯૭). "Transverse Myelitis: Symptoms, Causes and Diagnosis". The Transverse Myelitis Association. મેળવેલ 2013-06-27.
  12. Larry Ernest Davis; Molly K. King; Jessica L. Schultz (15 June 2005). Fundamentals of neurologic disease. Demos Medical Publishing. પૃષ્ઠ 73. ISBN 978-1-888799-84-2.
  13. Cotran RS; Kumar V; Fausto N (2005). Robbins and Cotran Pathologic Basis of Disease (7th આવૃત્તિ). St. Louis: Elsevier/Saunders. પૃષ્ઠ 1375. ISBN 0-7216-0187-1. Unknown parameter |author-separator= ignored (મદદ); Invalid |display-authors=3 (મદદ)
  14. Schoenstadt A (2008-07-21). "Rabies Symptoms". eMedTV. મૂળ માંથી 2019-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-30.
  15. "Dog Infections". Arogya.com. મેળવેલ 2013-06-27.
  16. Dugan, Emily (2008-04-30). "Dead as a dodo? Why scientists fear for the future of the Asian vulture". The Independent. London. મૂળ માંથી 2008-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-11. India now has the highest rate of human rabies in the world.
  17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ૧૭.૪ Rozario Menezes, MD (2008). "Rabies in India". Canadian Medical Association Journal. 178 (5): 564–566. doi:10.1503/cmaj.071488. Unknown parameter |month= ignored (મદદ)
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ US Singh, SK Choudhary (2005). [www.ijcm.org.in/article.asp?issn=0970-0218;year=2005;volume=30;issue=3;spage=81;epage=83;aulast=Singh "Knowledge, Attitude, Behavior and Practice Study on Dog-Bites and Its Management in the Context of Prevention of Rabies in a Rural Community of Gujarat"] Check |url= value (મદદ). Indian Journal of Community Medicine. 30 (3): 81–83. doi:10.4103/0970-0218.42854. Unknown parameter |month= ignored (મદદ)
  19. Official Gujarat State Portal (18-01-2012). [www.gujaratindia.com/media/news.htm?enc=KIN4q/jNm90+toii5qZl5EPC7kzGIsfoo/Golnrswj7PkrflFUqQPYG0kEql86jV1FrdaxCSf0fQBGUkM9wiGK+LMzo7jWLEyXrsJcEfnHPd59PG3t3v8A6D/ogbwiZFHMVfrLU0X0aDslD5ZlkKxQ== "Gujarat Govt to provide anti-rabies vaccines free to APL patients"] Check |url= value (મદદ). સમાચાર. http://www.gujaratindia.com. મેળવેલ 2013-06-27. Check date values in: |date= (મદદ); External link in |publisher= (મદદ)
  20. ભાસ્કર ન્યૂઝ, બાબરા (૧૪ ઓક્ટોબર ૨૦૧૧). "મરેલુ શિયાળ ખાઇ જતાં આખા પરિવારને હડકવા ઉપડ્યો". સમાચાર. દિવ્ય ભાસ્કર. મેળવેલ 2013-06-27.[હંમેશ માટે મૃત કડી]
  21. administrator (૦૩ જુલાઇ ૨૦૧૦). "હડકવાગ્રસ્ત યુવાનને પાટણમાં સારવાર ન મળી". સમાચાર. સ્વદેશ, કેનેડા. મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-27. Check date values in: |date= (મદદ)
  22. "હડકવા ઉપડતાં વૃદ્ધે ભેંસ અને પાડાને બચકાં ભર્યાં !". સમાચાર. સંદેશ વર્તમાનપત્ર. ૧૧ એપ્રિલ ૨૦૧૧. મેળવેલ 2013-06-27.