મનસુખરામ ત્રિપાઠી

વિકિપીડિયામાંથી
મનસુખરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
જન્મ(1840-05-23)23 May 1840
નડીઆદ, બ્રિટીશ ભારત
મૃત્યુ30 May 1907(1907-05-30) (ઉંમર 67)
નડિઆદ, બ્રિટીશ ભારત
વ્યવસાયનિબંધકાર, જીવનચરિત્રકાર, અને ચિંતક
ભાષાગુજરાતી
જીવનસાથીડાહીલક્ષ્મી
સંબંધીઓગોવર્ધનરામ ત્રિપાઠી (નાના પિતરાઈ)

મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી (૧૮૪૦–૧૯૦૭) એક ગુજરાતી નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક હતા. તેમણે ગુજરાતી લેખકોની સંરક્ષક વિચારધારાનું નેતૃત્વ કર્યું, જેમાં લખવા અને બોલવામાં થતા વિદેશી શબ્દોના ઉપયોગને ટાળવાની હિમાયત કરતા, અને સંસ્કૃત અથવા સંસ્કૃતિક શબ્દોના ઉપયોગને પ્રોત્સાહન આપતા. તેઓ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પિતરાઈ ભાઈ હતા.

જીવન[ફેરફાર કરો]

મનસુખરામ ત્રિપાઠીનો જન્મ ૨૩ મે ૧૮૪૦ના રોજ ગુજરાતના નડીઆદમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ સૂર્યરામ અને માતાનું નામ ઉમેદકુંવર હતું. જ્યારે તેઓ આઠ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.[૧] તેમણે માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ ખેડા અને અમદાવાદમાં મેળવ્યું.[૨] તેઓ ૧૮૬૧ માં, એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, પરંતુ આંખની તકલીફને કારણે તેમણે અભ્યાસ છોડ્યો. ત્યાર બાદ તેમણે જથ્થાબંધ વેપારી તરીકેની કારકિર્દી બનાવી. ૩૦ મે ૧૯૦૭ ના દિવસે નડીઆદમાં તેમનું અવસાન થયું.[૩]

મનુભાઈ ત્રિપાઠીએ નડીઆદ ખાતે સ્થાપેલ ડાહીલક્ષ્મી લાઇબ્રેરી.

મનુભાઈ ત્રિપાઠી ગુજરાતના અનેક સાહિત્યિક સંગઠનો સાથે સંકળાયેલા હતા. તેઓ ફાર્બસ ગુજરાતી સભાના સ્થાપક સભ્યોમાંના એક હતા અને બુદ્ધિવર્ધક સભાના સભ્ય હતા. ૧૮૭૦માં, તેમણે અમદાવાદમાં ધર્મ સભાની સ્થાપના કરી અને તેના મુખપત્ર ધર્મપ્રકાશના સંપાદક બન્યા. તેમણે પત્ની ડાહીલક્ષ્મીની યાદમાં નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઇબ્રેરીની સ્થાપના કરી.[૧] તેમની મુંબઈ યુનિવર્સિટીના પદવીધર તરીકે અને શાંતિના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[૪] ૧૮૬૬-૬૭ (વિક્રમ સંવત ૧૯૨૩), માં જૂનાગઢ રજવાડાના દિવાન ગોકુલજી ઝાલાએ મુંબઈમાં મનુભાઈ ત્રિપાઠીનું વ્યાખ્યાન સાંભળ્યું હતું, તેથી તેઓ પ્રભાવિત થયા. તેમણે તેમને મુંબઈમાં જૂનાગઢ રાજ્યના એજન્ટ તરીકે નિયુક્ત કર્યા.

સર્જન[ફેરફાર કરો]

તેમના નિબંધોનો સંગ્રહ અસ્તોદય (અસ્ત અને ઉદય) નામે પ્રકાશિત થયો હતો. તેઓ વર્ણનાત્મક અને પ્રકૃતિ પર લેખન કરતા. તેઓ સંસ્કૃત મૂળના જ શબ્દો વાપરવા માંગતા હોવાથી તેમના નિબંધોની ભાષા ખૂબ વધારે ભારવાહી છે.[૨]

મનુભાઈ ત્રિપાઠીએ બે જીવનચરિત્રો લખ્યા: એક ફાર્બસ જીવન ચરિત્ર (૧૮૬૯), જે બ્રિટીશ ભારતના સંસ્થાનના સંચાલક એલેકઝાન્ડર ફાર્બસની કારકિર્દી અને સિદ્ધિઓ રજૂ કરે છે. અને બીજું જીવનચરિત્ર, સુજણા ગોકુલજી ઝાલા જીવનચરિત્ર (૧૯૦૦) લખ્યું, જેમાં જૂનાગઢ રાજ્યના દિવાન ગોકુલજી ઝાલાની જીવનકથા છે. તેમાં તેઓ ૧૮૬૦ થી ૧૮૮૦ ની વચ્ચેના કાઠિયાવાડી રાજકારણ અને સમાજનું ચિત્ર પણ રજૂ કરે છે. ગોકુલજી વેદાંતવાદી હોવાથી, પુસ્તકમાં શંકરાચાર્યનો વિગતવાર અધ્યાય પણ છે, જેઓ હિંદુ દર્શનની વેદાંત શાખાના સ્થાપકોમાંના એક છે.[૫]

તેમણે રણછોડભાઈ ઉદયરામ દવેના સહયોગથી શેક્સપિયર કથા સમજ નામનું પુસ્તક લખ્યું હતો, જે શેક્સપિયરના નાટકોના સંક્ષિપ્ત સંસ્કરણો રજૂ કરે છે.[૨]

રૂઢીચુસ્તા[ફેરફાર કરો]

ત્રિપાઠીના જન્મસ્થળ પરની તકતી

મનુભાઈ ત્રિપાઠી ગુજરાતી લેખકોના એક રૂઢીચુસ્ત વર્ગનું નેતૃત્વ કરતા હતા.[૬] તેઓ ઉચ્ચ સંસ્કૃતિની ગુજરાતી ભાષાના પ્રારંભિક અને મજબૂત સમર્થક હતા. તેમણે ગુજરાતીમાંથી ફારસી, અરબી અથવા અંગ્રેજી મૂળના તમામ શબ્દોને દૂર કરવા અને તેના સ્થાને સંસ્કૃત શબ્દો મૂકવાનો આગ્રહ કર્યો. આના પરિણામ સ્વરૂપે, ઉદાર બૌદ્ધિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સમર્થક, રમણભાઈ નીલકંઠે તેમની નવલકથા ભદ્રંભદ્રમાં તેમને નિશાન બનાવ્યા, જેમાં આગેવાન સંસ્કૃતિક ભાષાનો ઉપયોગ કરવાનો બહુ આગ્રહ રાખે છે.[૩]

મનુભાઈ ત્રિપાઠીએ દેવનાગરીમાં અનેક કૃતિઓ લખીને દેવનાગરી લિપિને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.[૬] તેમની સંસ્કૃત ગુજરાતી શૈલીને તેમના નાના પિતરાઈ ભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા તેમના મહાકાવ્ય નવલકથા સરસ્વતીચંદ્ર માં અનુસરવામાં આવી હતી. ગુજરાતી લેખક મણિલાલ દ્વિવેદી (૧૮૮૨–૧૮૯૮), પણ તેમના અનુયાયી હતા.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Joshi, Ramanlal (1997). Thaker, Dhirubhai (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VIII. Ahmedabad: Gujarati Vishwakosh Trust. પૃષ્ઠ 765–766. OCLC 164810484.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Lal, Mohan, સંપાદક (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4395. ISBN 978-81-260-1221-3.
  3. ૩.૦ ૩.૧ Shukla, Sonal (1995). "Gujarati Cultural Revivalism". માં Patel, Sujata (સંપાદક). Bombay: Mosaic of Modern Culture. New Delhi: Oxford University Press. પૃષ્ઠ 93. ISBN 978-0-19-563689-5.
  4. Vaidyashastri, Manishankar Govindaji (1902). ગુજરાતી ગ્રંથકારો અને ગ્રંથો. 1. પૃષ્ઠ 32–42.
  5. V. K. Chavda (1982). Modern Gujarat. Ahmedabad: New Order Book Company. પૃષ્ઠ 48. OCLC 9477811.
  6. ૬.૦ ૬.૧ Diwanji, Prahlad C. (1932–1933). "NĀGARA APABHRAṀŚA AND NĀGARĪ SCRIPT: A REVIEW". Annals of the Bhandarkar Oriental Research Institute. Bhandarkar Oriental Research Institute. 14 (3/4): 268. JSTOR 41682433.closed access publication – behind paywall
  7. Shukla, Sonal (26 October 1991). "Cultivating Minds: 19th Century Gujarati Women's Journals". Economic and Political Weekly. 26 (43): 64. eISSN 2349-8846. ISSN 0012-9976EPW વડે.closed access publication – behind paywall