વલ્લભ વિદ્યાનગરભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં આવેલું એક શહેર છે. આ શહેર રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ અહીં ધીરે ધીરે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના વિવિધ શાખાઓના અભ્યાસક્રમો માટે સંસ્થાઓ શરુ થતાં, એની સાથે સાથે કોચિંગ ક્લાસ, શોપિંગ સેન્ટરો, દવાખાનાં, રેસ્ટોરન્ટ, બેંક વગેરે પણ આવવાથી શહેરીકરણ માટેનો જરૂરી વિકાસ થયો છે.
મૂળ સોજિત્રાના નામાંકિત ઇજનેર પુજ્ય ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવીદ શ્રી ભિખાભાઇની જોડીએ વિદ્યાનગરની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો. સૌપ્રથમ ચરોતર વિદ્યા મંડળ[૧] અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની[૨] સ્થાપના અહીં કરવામાં આવી હતી.
વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર તરીકે જાણીતું છે.[સંદર્ભ આપો]