બાબાસાહેબ આંબેડકર

વિકિપીડિયામાંથી
(ડૉ. ભીમરાવ રામજી આંબેડકર થી અહીં વાળેલું)
બાબાસાહેબ આંબેડકર
જન્મ૧૪ એપ્રિલ ૧૮૯૧ Edit this on Wikidata
મૃત્યુ૬ ડિસેમ્બર ૧૯૫૬ Edit this on Wikidata
Dr. Ambedkar National Memorial Edit this on Wikidata
અંતિમ સ્થાનChaitya Bhoomi Edit this on Wikidata
અભ્યાસવિનયન સ્નાતક, માસ્ટર ઓફ આર્ટ્સ, Master of Science, Doctor of Science, Doctor of Law (honorary), Doctor of Literature (honorary) Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મુંબઈ વિશ્વવિદ્યાલય
  • કોલંબિયા વિશ્વવિદ્યાલય
  • London School of Economics and Political Science
  • સરકારી લો કોલેજ Edit this on Wikidata
વ્યવસાયઅર્થશાસ્ત્રી, રાજકારણી, જ્યુરીસ્ટ, educational theorist Edit this on Wikidata
કાર્યોAdministration and Finance of the East India Company, Annihilation of Caste, Castes in India: Their Mechanism, Genesis and Development, Communal Deadlock and a way to Solve it, Federation Versus Freedom, Maharashtra as a Linguistic Province, Mr. Gandhi and the Emancipation of the Untouchables, Pakistan or Partition of India, Ranade, Gandhi and Jinnah, Revolution and Counter-revolution in Ancient India, Riddles in Hinduism, Small Holdings in India and Their Remedies, States and Minorities, The Evolution of Provincial Finance in British India, The Problem of the Rupees: Its Origin and Its Solution, The Rise and Fall of Hindu Women, The Untouchables: Who Were They and Why They Became Untouchables, Thoughts on Linguistic States, Waiting for a Visa, What Congress and Gandhi Have Done to the Untouchables, Who Were the Shudras?, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ Edit this on Wikidata
રાજકીય પક્ષScheduled Castes Federation, Independent Labour Party, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા Edit this on Wikidata
જીવન સાથીરમાબાઈ આંબેડકર, સવિતા આંબેડકર Edit this on Wikidata
માતા-પિતા
  • Ramji Maloji Sakpal Edit this on Wikidata
  • Bhimabai Ramji Sakpal Edit this on Wikidata
પુરસ્કારો
સહી
પદની વિગતMinister of Law and Justice of India (૧૯૪૭–૧૯૫૧), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦), member of the Negotiating Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦), member of the Committee on Subjects Assigned to the Union Centre (૧૯૪૭–૧૯૫૦), member of the Steering Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦) Edit this on Wikidata

બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.[૧]

જન્મ અને બાળપણ[ફેરફાર કરો]

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ[૨] (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.[૩] ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

શિક્ષણ[ફેરફાર કરો]

ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલફિન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.

તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાં જ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

પ્રથમ ગોળમેજી પરિષદમાં[ફેરફાર કરો]

ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શકાઇ નહી. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત[ફેરફાર કરો]

તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.

લોકનેતા[ફેરફાર કરો]

૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ બ્રિટીશ વડાપ્રધાને "કોમ્યુનલ એવોર્ડ" ની જાહેરાત કરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ. ગાંધીજી, હિંદુ નેતાઓ અને ડૉ.આંબેડકર વચ્ચે છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયા અને સમાધાન થયું. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા. ડૉ. આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે, દાદર, મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ. ૧ જૂન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી. ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકરનું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ.આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. ૧૪મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટમાં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી"ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા?" નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.

બૌદ્ધ ધર્મ અંગીકાર[ફેરફાર કરો]

દિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો લેખ

ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.[૪] ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે, જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી.[૫] તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી હતી.[૬]

બંધારણના ઘડવૈયા[ફેરફાર કરો]

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

સ્વતંત્રતા પછી[ફેરફાર કરો]

૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "List Of Recipient Of Bharat Ratna" (PDF). Ministry of Home Affairs Government Of India. મૂળ (PDF) માંથી 2013-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૩.
  2. "Dr. B R Ambedkar". www.ambedkar.org. મેળવેલ 2020-09-22.
  3. Pritchett, Frances. "In the 1890s" (PHP). મૂળ સંગ્રહિત માંથી 7 September 2006 પર સંગ્રહિત. મેળવેલ 2 August 2006.
  4. https://www.buddhistdoor.net/news/90-year-old-buddhist-monk-recalls-babasaheb-ambedkars-conversion-to-buddhism
  5. p. 65, notes that "The concept of Ambedkar as a Bodhisattva or enlightened being who brings liberation to all backward classes is widespread among Buddhists." He also notes how Ambedkar's pictures are enshrined side-to-side in Buddhist Vihars and households in India|office = Labour Member in Viceroy's Executive Council Buddhist homes.
  6. Omvedt, Gail (૨૦૦૩). Buddhism in india : challenging Brahmanism and caste. Thousand Oaks, CA: Sage Publications. પૃષ્ઠ ૨૬૧-૨૬૨. ISBN 0761996648.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]