નારીપ્રતિષ્ઠા

વિકિપીડિયામાંથી
નારીપ્રતિષ્ઠા
'નારીપ્રતિષ્ઠા' નિબંધનું પ્રથમ પાનુ (સ્ત્રોત: 'મણિલાલના ત્રણ લેખો'; સંપાદક: ધીરુભાઈ ઠાકર)
લેખકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
મૂળ શિર્ષકનારીપ્રતિષ્ઠા
ભાષાગુજરાતી
પ્રકારનિબંધ
પ્રકાશન તારીખ૧૮૮૪
પ્રથમ પ્રકાશિતગુજરાતી (સાપ્તાહિક)
વિકિસ્ત્રોતનારીપ્રતિષ્ઠા at Gujarati Wikisource

નારીપ્રતિષ્ઠા ગુજરાતી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા લખાયેલ નિબંધ છે. ૧૮૮૪માં લખાયેલ આ નિબંધ એ જ વર્ષમાં 'ગુજરાતી' સાપ્તાહિકમાં આઠ હપ્તે પ્રગટ થયો હતો અને ત્યારબાદ ૧૮૮૫માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયો હતો.

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૮૮૨માં મણિલાલ 'ગુજરાતી સોશિયલ યુનિયન' નામે ઓળખાતી મુંબઈના ગુજરાતી ગ્રેજ્યુએટોની મંડળીના સભ્ય બન્યા. આ મંડળીમાં એકવાર પુર્નલગ્નના વિષય ઉપર ચર્ચા ચાલી. બધાએ એમ માનેલું કે ગ્રેજ્યુએટોની મંડળી તો પુર્નલગ્નની તરફેણમાં જ હોય; પરંતુ મણિલાલે બધાથી વિરુદ્ધ પોતાનો મત આપ્યો અને પુર્નલગ્નનો વિરોધ કર્યો. આથી આ ચર્ચા એક કલાકને બદલે એક માસ પર્યન્ત ચાલી. બંને પક્ષ દ્વારા કોઈ નિર્ણય લઈ શકાયો નહિ, આથી આ વિવાદ કશા પણ તારણ વગર બંધ કરવામાં આવ્યો. મણિલાલે પોતાની રોજનીશીમાં લખ્યું છે કે, ચર્ચા દરમ્યાન બે ગૃહસ્થો પોતાની તરફેણમાં હતા.[૧]

આ પ્રસંગે મણિલાલે પુર્નલગ્નના વિવિધ પાસાઓ પર વિચાર કર્યો. આને આધારે પાછળથી તેમણે 'નારીપ્રતિષ્ઠા' નામનો વિસ્તૃત લેખ તૈયાર કરો હતો. આ લેખ બે-ત્રણ વર્ષ સુધી તેમની પાસે અપ્રગટ સ્થિતિમાં પડ્યો રહ્યો. ૧૮૮૪માં ફ્રેન્ચ તત્ત્વચિંતક ઑગુસ્ત કૉમ્તનું 'પૉઝિટિવ પૉલિટી' નામનું પુસ્તક વાંચવામાં આવતાં તેમાંના નારીવિષયક વિચારો મણિલાલને પોતાના વિચારોની સાથે મળતા આવતા માલૂમ પડ્યા. આથી તેમને એ જ વર્ષે આ લેખ 'ગુજરાતી' સાપ્તાહિકમાં આઠ હપ્તે પ્રગટ કર્યો. તેમાં પાછળથી પુર્નલગ્નનો ભાગ ઉમેરીને તેમણે ૧૮૮૫ના ઑક્ટોબર માસમાં એ લેખ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો.[૧]

સારાંશ[ફેરફાર કરો]

આ નિબંધ હિન્દુ પરંપરામાં સ્ત્રીઓની સ્થિતિ સાથે સંબંધિત છે.[૨] લેખકે પોતાની દલીલોને મજબૂત કરવા માટે નિવેદન અને વિવાદ સહિત અનેક શૈલીગત તકનીકો અખત્યાર કરી હતી.[૩] નારી પ્રતિષ્ઠામાં મણિલાલે વ્યક્ત કરેલા સ્ત્રી, લગ્ન અને પરિવાર વિશેના વિચારોનો સારાંશ આ મુજબ આપી શકાય:[૨]

  • પુરુષ અને સ્ત્રી એક અભિન્ન સંપૂર્ણના બે ભાગ છે. સ્ત્રી ડાબા અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જે હિન્દુ શાસ્ત્રો અનુસાર કોમળ અને કમજોર છે. તે ન તો શ્રેષ્ઠ છે કે ન તો કમતર છે, ફક્ત અલગ છે.
  • પુરુષો અને સ્ત્રીઓ માટે કામના ક્ષેત્રો ભિન્ન હોવા જોઈએ. તેનું કારણ એ છે કે સ્ત્રીઓને માસિક ચક્ર હોય છે. તેથી ઘરની બહાર રોજગારી પુરુષો પર છોડી દેવી જોઈએ. મહિલાઓની શુદ્ધતાનું રક્ષણ કરવા માટે આ જરૂરી છે.
  • સ્ત્રીઓ પ્રેમ, સ્નેહ અને કર્તવ્યનિષ્ઠ બનવા માટે વધુ સક્ષમ હોય છે.
  • સ્ત્રી શિક્ષણે સ્ત્રીઓને ફક્ત પ્રેમ અને કર્તવ્ય સંબંધિત પ્રશિક્ષિણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, આ અભિગમ પ્રમાણે સ્ત્રીઓને ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ અને અન્ય સમાન વિષયો શીખવવામાંથી બાકાત ન રાખવી જોઈએ. મણિલાલ જણાવે કે સમકાલીન શિક્ષણ પ્રતિકૂળ છે કારણ કે તે જાતિના મતભેદોનું સન્માન કરતું નથી અને મહિલાઓને અંગ્રેજી તેમજ વિવિધ સામાજિક અનુગ્રહ શીખવે છે જેને તેઓ ઉપરછલ્લું માને છે.
  • પ્રેમમાં જોડાનાર દંપતી મૃત્યુથી પણ અવિભાજિત છે. આ આધાર સાથે મણિલાલ એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે વિધવા પુનઃલગ્ન પાપ છે. આદર્શ રીતે, પુરુષે પણ ફરીથી લગ્ન ન કરવા જોઈએ, પરંતુ પ્રેમ અને સ્નેહ માટે મહિલાઓની શ્રેષ્ઠ ક્ષમતાને જોતાં, તેમના પર ફરીથી લગ્ન ન કરવાની જવાબદારી ફરજિયાત હોવી જોઈએ.

આવકાર અને ટીકા[ફેરફાર કરો]

એક અનામી લેખક દ્વારા લખાયેલ નારી પ્રતિષ્ઠાની વિવેચનાત્મક સમીક્ષા પર મણિલાલનો પ્રતિસાદ

નારી પ્રતિષ્ઠાને વિવેચકો મણિલાલનું મુખ્ય સર્જન માને છે, અને તેનાથી તેઓ તેમના સમયના મુખ્ય સામાજિક વિચારકોમાંના એક બન્યા હતા.[૨]'નારી પ્રતિષ્ઠા' સામાજિક સુધારણા અંગે મણિલાલના વિચારોમાં કેન્દ્રસ્થાને રહે છે. મહિલાઓના પ્રશ્નો અને સામાજિક સુધારણા ચળવળ પરના તેમના અન્ય તમામ લખાણો આ લખાણનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે.[૩]

૧૮૮૫માં તેના પ્રકાશન પછી ગુજરાતી ભાષાના સામયિક બુદ્ધિપ્રકાશના જાન્યુઆરી-માર્ચ, ૧૮૮૭ના અંકમાં નારી પ્રતિષ્ઠાની વિવેચનાત્મક સમીક્ષા પ્રકાશિત થઈ હતી. અનામી સમીક્ષકે મુખ્યત્વે બે કારણોસર મણિલાલની ટીકા કરી હતી: પ્રથમ એ કે ફરીથી લગ્ન કરવું પાપ નથી; અને બીજું, પ્રેમ પુનઃલગ્નની સંભાવનાને પૂર્વાહ્ન કરે છે તે દલીલ અમાન્ય છે.[૪]

મણિલાલે બાલાશંકર કંથારીયા દ્વારા સંપાદિત સામયિક ભારતીભૂષણના પ્રથમ અંકમાં આ ટીકાનો વળતો જવાબ આપ્યો હતો,[૧] જેમાં લખ્યું હતું કે તેમણે એવું સૂચન કર્યું ન હતું કે વિધવા પુનર્લગ્ન "પાપ" છે. તેમણે દાવો કર્યો હતો કે પ્રેમથી બંધાયેલી સ્ત્રીને ફરીથી લગ્ન 'પાપ' જેવો લાગી શકે છે. બંને વચ્ચેનો તફાવત સમજાવતાં તેમણે દલીલ કરી હતી કે જે લોકો પ્રેમથી બંધાયેલા નથી તેમને પુનઃલગ્નનો વિચાર 'પાપ જેવો' ન લાગે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ઠાકર, ધીરુભાઈ (May 2011). કેટલાક સાહિત્યિક વિવાદો (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦–૩૨. OCLC 741752210.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Shukla, Sonal (1995). "Gujarati Cultural Revivalism". માં Patel, Sujata (સંપાદક). Bombay: Mosaic of Modern Culture. New Delhi: Oxford University Press. પૃષ્ઠ 90–92. ISBN 978-0-19-563689-5.
  3. ૩.૦ ૩.૧ Suhrud 1999, p. 128.
  4. ૪.૦ ૪.૧ Suhrud 1999, p. 136.

સંદર્ભસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]