કાન્તા

વિકિપીડિયામાંથી

કાન્તા એ એક ઐતિહાસિક ઘટના પર આધારિત મણિલાલ નભુભાઈ દ્વિવેદી કૃત ગુજરાતી નાટક છે. પંચાસરના રાજા ભુવડ દ્વારા પાટણના રાજા જયશિખરીની હત્યાના ઐતિહાસિક કથાવસ્તુવાળું આ નાટક ૧૮૮૨ની સાલમાં પ્રગટ થયું હતું.[૧] આ નાટકને ગુજરાતી સાહિત્યમાં ૧૯મી સદીનું સૌથી ઉત્કૃષ્ટ નાટક કહેવામાં આવ્યું છે. રંગમંચ પર કાન્તાને મધ્યમ સફળતા મળી હતી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ૨૯ જૂન ૧૮૮૯ના રોજ આ નાટકનું મંચન કરીને તેની નાટ્ય પ્રવૃત્તિઓનું ઉદઘાટન કર્યું હતું.

અવલોકન[ફેરફાર કરો]

મણિલાલ દ્વિવેદી

મણિલાલ વિદ્વાન, કવિ, નવલકથાકાર, ફિલસૂફ અને પ્રિયંવદા અને સુદર્શન સામયિકોના સંપાદક હતા. તેમણે કાન્તા લખવાનું શરૂ કર્યું તે પહેલાં જ તેમણે ભવભૂતી દ્વારા સંસ્કૃત નાટક માલતીમાધવમ્‌નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. ૧૮૮૧-૧૮૮૨ દરમિયાન જ્યારે કાન્તા લખાઈ રહ્યું હતું ત્યારે તે જ સમયે ભવભૂતિ, ઉત્તરરામચરિતના બીજા નાટકનું ભાષાંતર કરી રહ્યા હતા. વળી, તેમણે શેક્સપિયરના નાટકોનો અભ્યાસ કર્યો હતો, જે તેમના મનમાં તાજા હતા. આથી સંસ્કૃત નાટક અને શેક્સપિયરની કરુણાંતિકાના કેટલાક તત્ત્વો આ નાટકના નિર્માણમાં પ્રતિબિંબિત થાય છે.[૨] આ નાટક ઇતિહાસ, કલ્પના અને પરંપરાગત મૂલ્યો અને જીવનશૈલી માટે લેખકની પસંદગીનું મિશ્રણ છે, અને તેમાં પહેલી વાર ગુજરાતી નાટકમાં એક કરુણ નાયક (હીરો) દર્શાવવામાં આવ્યો છે.[૩]

દ્વિવેદીએ પોતાની કલ્પનાથી તરલા, હરદાસ અને રત્નદાસના પાત્રો ઉમેર્યા હતા અને મૂળ વાર્તાને નાટકીય વળાંક આપ્યો હતો.[૨] અહેવાલ મુજબ, દ્વિવેદીના સંસ્કૃત નાટક માલતીમાધવમ્‌ના અનુવાદ અને શેક્સપિયરના નાટકોના અભ્યાસને કારણે આ નાટકમાં સંસ્કૃત નાટક અને શેક્સપિયરના કરુણાંતિકાના નાટ્યતત્ત્વો પ્રતિબિંબિત થાય છે.

પાત્રો[ફેરફાર કરો]

નાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[૪]

  • જયચંદ્ર - પાટણનો રાજા
  • સુરસેન - જયચંદ્રનો મિત્ર, સાળો અને સેનાધિપતિ તથા મંત્રી
  • કરણ - કલ્યાણના રાજા ભુવનાદિત્યનો પુત્ર
  • હરદાસ - સુરસેનનો મિત્ર
  • રત્નદાસ - કરણનો અપકૃત મિત્ર
  • યૌવનશ્રી - જયચંદ્રની રાણી
  • કાન્તા - સુરસેનની પત્ની
  • તરલા - યૌવનશ્રીની દાસી
  • ભીલ, યોદ્ધા, નગરવાસી જનો, સેવક, પ્રતિહાર ઇત્યાદિ

કથાવસ્તુ[ફેરફાર કરો]

ભુવનાદિત્યને હરાવીને ઘેર આવેલા સુરસેનને માન આપવા રાજા જયચંદ્ર તેને ઘેર પધારવાના છે તેની તૈયારીમાં કાન્તા-સુરસેન મંડપનાં ચિત્રો નિહાળે છે, ત્યાં જયચંદ્ર સુરસેનને બોલાવીને ભુવનાદિત્ય પ્રાત:કાળે ચઢી આવવાનો છે એવા સમાચાર આપે છે અને સુરસેનને ગર્ભવતી રાણી યૌવનશ્રીને વનમાં સુરક્ષિત જગાએ મૂકી આવવા હુકમ કરે છે. સુરસેન તે પ્રમાણે રાણીને પોતાની પત્ની કાન્તા અને દાસી તરલાની સાથે ભીલ લોકોની પાસે વનમાં મૂકી આવે છે. પાછા વળતાં સુરસેન કાન્તાના ગળામાં મોતીનો હાર નાખતાં કહે છે કે આ હારનાં મોતી વિખૂટાં નહિં પડે ત્યાં સુધી હું અને જયચંદ્ર જીવતા છીએ એમ માનજો. દરમિયાનમાં જયચંદ્ર લડાઈમાં મૃત્યુ પામે છે. ભુવનાદિત્યનો પુત્ર કરણ પાટણની ગાદીએ આવે છે. અધિકારના લોભે હરદાસ સુરસેનને પકડાવે છે. કરણ અને રત્નદાસ જંગલમાંથી કાન્તા અને તરલાને પકડી લાવે છે. કાન્તા કરણને વશ થતી નથી, પણ તરલા રાણી થવાના લોભથી રાત્રે કાન્તાની માળા કાપે છે. બીજે દિવસે સવારે કાન્તા સતી થાય છે તે જ વખતે સુરસેન આવી પહોંચે છે અને તે પણ કાન્તાની સાથે ચિતામાં બળી મરે છે.[૧]

સન્નિવેશ[ફેરફાર કરો]

  • સુરસેનના આવાસનો સભામંડપ, રાજાનું ગુહ્યાગાર, રાજાનું શયનગૃહ, વન, રણભૂમી.
  • કરણની છાવણી, તેનું દિવાનખાનું, તેનો આવાસ, વનમાં સરોવર
  • પાટણનું બંદીખાનું, કરણનો આવાસ, સરોવર તથા વનપ્રદેશ
  • કાન્તાને રાખેલી તે ઘરનો ઉપલો માળ, કરણનો આવાસ, કાન્તાને રાખેલી તે મેડો, કાન્તાનો ઓરડો, રાજમાર્ગ, વનમાંનું સરોવર, કાન્તાનો ઓરડો, રાજમાર્ગ, સ્મશાન.[૧]

ભજવણી[ફેરફાર કરો]

ઈ.સ. ૧૮૮૯માં કુલીન કાન્તા એ નામથી મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ આ નાટક ભજવેલું. તેનાથી જ એ નાટક કંપનીની પ્રવૃત્તિનું ઉદ્‌ઘાટન થયેલું.[૧]

તકનિક[ફેરફાર કરો]

દ્વિવેદીએ સંસ્કૃત નાટકમાંથી સોરઠા, દોહા, અનુષ્ઠપ, હરિગિત, ઇન્દ્રવિજય, ડિંદિ, ઉપજાતી અને ઇન્દ્રવ્રજ જેવા વિવિધ મીટરમાં રચાયેલા છંદ કે ગીતો દ્વારા પાત્રોના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની તકનીકનો ઉપયોગ કર્યો હતો.[૨] નાટકનો અભિનય, દૃશ્યોમાં વિભાજન, તેના સંવાદોમાં શ્લોકોનું મિશ્રણ અને શૃંગાર, વીર, કરુણ અને બિભત્સ જેવા અનેક રસનું ચિત્રણ, સંસ્કૃત નાટકની શૈલીમાં છે. તેનું પાત્રાલેખન, પાત્રોના આંતરિક સંઘર્ષો અને નાટકનો કરુણ અંત એ શેક્સપિયરના નાટકોના પ્રભાવનો પુરાવો છે.[૫] જ્યારે તે ચોરીછૂપીથી કાંતાનો હાર તોડવા આગળ વધે છે ત્યારે તરલાના ડગમગતા મનનું ચિત્રણ ડંકનની હત્યા કરવા આગળ વધતી વખતે મેકબેથની માનસિક સ્થિતિને મળતું આવે છે. નાટક હેમ્લેટની જેમ સમાપ્ત થાય છે, જેમાં એકાધિક વ્યક્તિઓ મૃત્યુ પામે છે.[૨]

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

મણિલાલને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં સત્કાર આ નાટક દ્વારા મળ્યો હતો. શિષ્ટતા અને ઉચ્ચ રસિકતાના નમૂના રૂપે આ નાટકનો તે જમાનામાં સ્વીકાર થયો હતો. રમણભાઈ નીલકંઠે કાન્તા નાટકની પ્રશંસા કરતાં છેક ઈ.સ. ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં 'એક જ આશ્વાસનસ્થાન' તરીકે તેને ઓળખાવ્યું હતું. આજે પણ ગુજરાતી સાહિત્યનાં શિષ્ટ કરુણાન્ત નાટકોમાં કાન્તા નાટકની ગણના થાય છે.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ઠાકર, ધીરુભાઈ (2008). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૮-૨૯. OCLC 945585883.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Thaker, Dhirubhai (1983). Manilal Dwivedi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 63–67. OCLC 10532609.
  3. George, K. M., સંપાદક (1992). Modern Indian Literature, an Anthology: Surveys and Poems. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 126. ISBN 978-81-7201-324-0.
  4. દ્વિવેદી, મણિલાલ. કાન્તા (Unknown આવૃત્તિ). પૃષ્ઠ ૧.
  5. Jhaveri, Mansukhlal Maganlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 102–103. OCLC 462837743. CS1 maint: discouraged parameter (link)
  6. ઠાકર, ધીરુભાઈ (1972). પ્રતિભાવ (દસ વિવેચનલેખો). અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૭૨-૧૭૩. OCLC 40459815.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]