મૂળશંકર મૂલાણી

વિકિપીડિયામાંથી
મૂળશંકર મૂલાણી
જન્મની વિગત(1867-11-01)1 November 1867
ચાવંડ, ગુજરાત
મૃત્યુ14 December 1957(1957-12-14) (ઉંમર 90)
વ્યવસાયનાટ્યકાર, સંપાદક
સક્રિય વર્ષો૧૮૮૯–૧૯૧૫
નોંધપાત્ર કાર્ય
  • અજબકુમારી (૧૮૯૯, ૧૯૨૨)
  • સૌભાગ્ય સુંદરી (૧૯૦૧)
  • નંદબત્રીસી (૧૯૦૬)
  • કૃષ્ણચરિત્ર (૧૯૦૬)
માતા-પિતા
  • હરિનંદ (પિતા)
  • માનકુંવર (માતા)

મૂળશંકર હરિનંદ મુલાણી (૧ નવેમ્બર ૧૮૬૭ – ૧૪ ડિસેમ્બર ૧૯૫૭) ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર હતા. ગ્રામ વિકાસ અધિકારી તરીકે અને સાપ્તાહિક અખબારના સંપાદક તરીકે કામ કર્યા પછી તેઓ થિયેટર કંપની મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા, જ્યાં તેમણે દાયકાઓ સુધી નાટ્યકાર તરીકે કામ કર્યું. તેમણે રાજબીજ (૧૮૯૧), અજબકુમારી (૧૮૯૯, ૧૯૧૨), સૌભાગ્ય સુંદરી (૧૯૦૧), નંદબત્રીસી (૧૯૦૬) અને કૃષ્ણચરિત્ર (૧૯૦૬) જેવા વ્યાવસાયિક તથા વિવેચનાત્મક રીતે સફળ નાટકો સહિત સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો લખ્યા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧ નવેમ્બર ૧૮૬૭ના રોજ ચાવંડ[૧] (વર્તમાન અમરેલી જિલ્લામાં, ગુજરાત, ભારત)માં હરિનંદ દયાનંદ અને માનકુંવરના ધાર્મિક પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૨] તેઓ મુળા ભટ્ટના વંશજ હતા જેમણે ૧૦ કે ૧૨ પેઢીઓ પહેલા નવાનગર રાજ્યના મંત્રી તરીકે સેવા આપી હતી.[૨] તેમણે જુનાગઢમાં અંગ્રેજી માધ્યમમાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તેમના ઘરે ધાર્મિક કાર્યો અને સંસ્કૃત પુસ્તકો વાંચ્યા હતા,[૨][૩][૪] બાદમાં થોડો સમય સંસ્કૃત વિદ્વાન પાસે અભ્યાસ કરવા ગયા હતા.[૨]

મુલાણીએ ધારીમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે દસ રૂપિયાના પગારે નોકરી શરૂ કરી, પરંતુ ત્યારબાદ બોમ્બે (હાલનું મુંબઈ) જવાનું થતાં નોકરી છોડી દીધી. સંઘર્ષના સમયગાળા પછી, તેઓ વીસ રૂપિયાના પગારે સાપ્તાહિક અખબાર સત્યવક્તામાં પ્રૂફરીડર તરીકે જોડાયા. તેમણે તેમની કોલમ, ઘનઘટામાં સથઘટનાઓ આવરી લીધી અને લોકપ્રિય બન્યા. બાદમાં તેમણે સાપ્તાહિકના તંત્રી તરીકે સેવા આપી હતી.[૩][૪]

થિએટર કારકિર્દી[ફેરફાર કરો]

મુલાણી પ્રભુરાય પોપટલાલને મળ્યા, જેમણે તેમને થિયેટર કંપની મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં પાંચ રૂપિયાના પગારે નાટક સંપાદક તરીકે નોકરીની ઓફર કરી. શરૂઆતમાં તેમણે નાટકોની નકલો લખી.[૩][૪] આખરે, તેમણે સાપ્તાહિક અખબાર સત્યવક્તા છોડી દીધુ. પૂર્ણકાલીન નોકરી શરૂ થતાં તેમનો પગાર વધીને ત્રીસ રૂપિયા થઈ ગયો. તેમનું પહેલું નાટક શાકુંતલ (૧૮૮૯) હતું. ત્યારબાદ બાપુલાલ નાયક અભિનીત તેમનું બીજું નાટક રાજબીજ (૧૮૯૧) ગેઈટી થિયેટરમાં ભજવવામાં આવ્યું હતું અને તે વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. તે પછી કુંદબાળા (૧૮૯૨) અને માનસિંહ અભયસિંહ (૧૮૯૩) મુખ્ય હતા. કુંદબાળામાં રજવાડા અને બ્રિટિશ રાજ વચ્ચેના સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ પગલે, બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા સેન્સરશીપની સ્થાપના કરવામાં આવી હતી. તેમની તબિયત લથડતાં તેઓ તેમના વતન પાછા ફર્યા હતા જ્યાં તેમણે તેમના સફળ નાટકો, મૂળરાજ સોલંકી (૧૮૯૫) અને નંદશંકર મહેતાના કરણ ઘેલો પર આધારિત કરણઘેલો (૧૮૯૬) લખ્યા. આ દરમિયાન તેમનો પગાર વધીને ૩૫ રૂપિયા થઈ ગયો. શેક્સપિયર અને કાલિદાસનો અભ્યાસ કર્યા પછી, તેમણે બેરિસ્ટર (૧૮૯૭) નામનું નાટક લખ્યું, જે એક એવા યુવક વિશેનું નાટક હતું જે પશ્ચિમી વિશ્વ પ્રત્યેના આકર્ષણને કારણે બરબાદ થઈ ગયો હતો. [૩] તે નાટક સફળ થયું અને તેમનો પગાર વધીને ૭૫ રૂપિયા થઈ ગયો. બાદમાં તેમને કંપનીમાં ભાગીદાર બનાવવામાં આવ્યા હતા.[૩]

મુલાણીએ ગુજરાતી રંગભૂમિને ટ્રેજડીનો પરિચય કરાવ્યો.[૧] તેમના જયરાજ (૧૮૯૮) અને અજબકુમારી (૧૮૯૯) બોમ્બેમાં પ્લેગની ઘટનાને કારણે શરૂઆતમાં સફળ થયા ન હતા. જો કે, ૧૯૧૨-૧૩માં ફરીથી રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓ સફળ રહ્યા હતા.[૨][૩] ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા વિદ્વાનોએ અજબકુમારીના વખાણ કર્યા હતા પણ શ્રોતાઓને તે ગમ્યું ન હતું.[૨] કંપનીની નાણાકીય સ્થિતિ કથળી હોવા છતાં, શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી પર આધારિત તેમનું વિક્રમચરિત્ર (૧૯૦૦) વ્યાવસાયિક રીતે સફળ થયું અને કંપનીને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી. તેમણે કંપની પાસે તેમની ૨૮,૦૦૦ રૂપિયાની બાકી રકમની માંગણી કરી, પરંતુ માત્ર ૧૦,૦૦૦ રૂપિયા જ મળ્યા. દુઃખી થઈને તેમણે કંપની છોડી દીધી. જો કે, તેમના કરારની શરતોએ તેમને અન્ય કંપનીઓ માટે બીજા દસ વર્ષ માટે નાટકો લખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ તેમણે તેમના જમાઈ વિશ્વનાથ માધવજી ભટ્ટના નામે ૧૯૦૬માં કાઠિયાવાડી નાટક મંડળીની સ્થાપના કરી. વિઠ્ઠલદાસ ભોજક અને બાપુલાલ પુંજીરામ નાયક અનુક્રમે તેના દિગ્દર્શક અને સંગીતકાર હતા.[૩]

નથુરામ શુક્લએ તેમને સૌભાગ્યસુંદરીને ફરીથી લખવા વિનંતી કરી ત્યારે તેઓ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ફરી જોડાયા, જે કંપનીના માલિકો અને દિગ્દર્શકને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી. તેમણે આ નાટક ફરીથી લખ્યું અને તેનું પ્રીમિયર ૧૯ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ થયું. મુખ્ય ભૂમિકામાં બાપુલાલ નાયક અને જયશંકર ભોજક તેમજ માધવની ભૂમિકામાં મોહનલાલની ભૂમિકાએ, નાટકને મોટી સફળતા અપાવી અને જયશંકર તેમની સુંદરી તરીકેની સ્ત્રી અવતરણની ભૂમિકા માટે જાણીતા બન્યા. બાપુલાલ નાયક અને જયશંકર સુંદરીની જોડી પ્રેક્ષકોમાં લોકપ્રિય બની હતી અને તેઓએ પછીથી ઘણા નાટકોમાં સાથે અભિનય કર્યો હતો. પ્રભાશંકર 'રામાણી'એ તેમના અનેક નાટકોમાં અભિનય કર્યો અને ખ્યાતિ મેળવી.[૩] જુગલ જુગારી (૧૯૦૨) તેમનું સામાજિક નાટક હતું.[૨]

કાઠિયાવાડી નાટક મંડળીએ કૃષ્ણને પ્રથમ વખત ગુજરાતી મંચ પર પ્રસ્તુત કરતા તેમના નાટક કૃષ્ણચરિત્ર (૧૯૦૬) નું નિર્માણ કર્યું.[૩] પ્રકૃતિમાં ભક્તિભાવ, તે ભાગવતની વાર્તાઓ પર આધારિત હતી, જેમાં કૃષ્ણ અને ગોપી વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો હતો.[૨] તેમના નાટકોએ ઉર્દૂ તેમજ મરાઠી નાટકોને પ્રભાવિત કર્યા છે. તેમણે માત્ર એક જ દિવસમાં વીરમંડળ લખી દીધું હતું. આ ઉપરાંત તેણે ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી હતી.[૩] ૧૯૦૯ માં દેવું કરીને, તેમણે કાઠિયાવાડી નાટક મંડળી વેચી, અને ૧૯૧૫ માં, તેમણે મુંબઈ ગુજરાતી નાટક મંડળી છોડી દીધી.[૫] રોયલ નાટક મંડળી માટે લખાયેલ તેમની એક જ ભૂલ (૧૯૧૯), તેની સ્ક્રિપ્ટમાં માનવરહિત હવાઈ વાહન (ડ્રોન) પર ચર્ચા હતી.[૨] ૧૯૨૦ના દાયકામાં, તેમણે આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળી સાથે કામ કર્યું.[૩]

નિવૃત્તિ પછી તેઓ કાનપુર અને ભાવનગરમાં રહ્યા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ તેમનું અવસાન થયું.[૩]

સર્જન[ફેરફાર કરો]

મુલાણીના લોકપ્રિય નાટક સૌભાગ્ય સુંદરી (૧૯૦૧)માં બાપુલાલ નાયક અને જયશંકર સુંદરી
મુલાણી દ્વારા લખાયેલ નંદબત્રીસી (૧૯૦૬)માં બાપુલાલ નાયક, દયાશંકર ઓઝા અને મોહન મારવાડી
મુલાણી દ્વારા લખાયેલ વિક્રમચરિત (૧૯૦૦)માં જેઠાલાલ નાયક, દયાશંકર વસનજી અને જયશંકર (લાખવડવાલા)
મુલાણીના વસંતપ્રભામાં બાપુલાલ નાયક અને મોહન મારવાડી, ૧૯૨૨

મુલાણી જૂના ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકારોમાંના એક હતા.[૨][૪] તેમણે સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો[૧] લખ્યા હતા; જેમાંથી લગભગ ૨૮ મંચસ્થ થયા હતા,[૨] ચાર મંચન ન થયા અને ચૌદ નાટકો રૂપાંતરિત થયા હતા.[૧][૩][૫] તેમના લોકપ્રિય નાટકોમાં રાજબીજ (૧૮૯૧), અજબકુમારી (૧૮૯૯, ૧૯૧૨), સૌભાગ્ય સુંદરી (૧૯૦૧), નંદબત્રીસી (૧૯૦૬) અને કૃષ્ણચરિત્ર (૧૯૦૬)નો સમાવેશ થાય છે. કૃષ્ણચરિત્ર અને દેવકન્યા પુસ્તક તરીકે પ્રકાશિત થયા છે. તેમનું નાટક પોરસ સિકંદર મંચપર ક્યારેય રજૂ થયું નથી.r[૩][૪]

તેમણે નાટકો લખતા પહેલા લોક-ધૂન અને છંદના તેમના જ્ઞાનની મદદથી સંગીતના નાટકો માટે ગીતો લખ્યા અને કંપોઝ કર્યા. કુલીન કાન્તા માટેના તેમના ગીતો લોકપ્રિય બન્યા હતા.[૧]

તેમના નાટકો જૂની ગુજરાતી રંગભૂમિની સૌથી નોંધપાત્ર લાક્ષણિકતાઓ દર્શાવે છે, જેમાં સેટિંગ, સંગીત અને અભિનયની ટેકનિકનો સમાવેશ થાય છે, અને તેમના નાટકોમાં અનિષ્ટ પર સારાની જીતની થીમ કેન્દ્રિય હતી. તેમણે ઐતિહાસિક અથવા પૌરાણિક ઘટનાઓમાંથી પ્રેરણા લીધી અને તેને સમકાલીન ઘટનાઓમાં વણી લીધી. તેમના નાટકો માનવીય સંબંધોમાંથી ઉદ્ભવતા સંઘર્ષો પર પણ કેન્દ્રિત હતા.[૧]

૨૮ મંચસ્થ નાટકો[૩]
નાટક તારીખ થિએટર કંપની નોંધ
શાંકુતલ ૧૦ ઓગસ્ટ ૧૮૮૯ મુંબઈ ગુજરાતી નાટક મંડળી અન્નાસાહેબ કિર્લોસ્કરના મરાઠી નાટક શાકુંતલમાંથી રૂપાંતરિત આવ્યું છે
રાજબીજ ૨૧ ફેબ્રુઆરી ૧૮૯૧
કુંદબાળા ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૨ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
માનસિંહ અભયસિંહ ૮ જુલાઈ ૧૮૯૩ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
મૂળરાજ સોલંકી ૧૯ ઓક્ટોબર ૧૮૯૫ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
કરણઘેલો ૫ સપ્ટેમ્બર ૧૮૯૬ મુંબઈ ગુજરાતી નાટક મંડળી નંદશંકર મહેતાની નવલકથા કરણ ઘેલો પર આધારિત
બેરિસ્ટર ૧૪ ઓગસ્ટ ૧૮૯૭ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
જયરાજ ૨૭ ઓગસ્ટ ૧૮૯૮ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
અજબકુમારી ૩૦ સપ્ટેમ્બર ૧૮૯૯ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
વીરમંડલ ૧૬ ડિસેમ્બર ૧૮૯૯ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
વિક્રમચરિત્ર ૭ જુલાઈ ૧૯૦૦ મુંબઈ ગુજરાતી નાટક મંડળી શામળ ભટ્ટની સિંહાસન બત્રિસી પર આધારિત
સૌભાગ્ય સુંદરી ૧૯ ઓક્ટોબર ૧૯૦૧ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
જુગલ જુગારી ૨૩ ઓગસ્ટ ૧૯૦૨ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
કામલતા ૧૪ ઓક્ટોબર ૧૯૦૪ મુંબઈ ગુજરાતી નાટક મંડળી શાકુન્તલ પર આંશિક રીતે આધારિત[૨]
કૃષ્ણચરિત્ર ૧૯૦૬ કાઠિયાવાડી નાટક મંડળી ભાગવતની કથાઓથી પ્રેરિત[૨]
૧૯૧૨ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
નંદબત્રીસી ૧૯૦૬ મુંબઈ ગુજરાતી નાટક મંડળી શામળ ભટ્ટની નંદબત્રિસી પર આધારિત
ચૈતન્યકુમાર ૧૯૦૮ કાઠિયાવાડી નાટક મંડળી હરિલાલ મૂળશંકર મુલાણીની વાર્તા પર આધારિત
દેવકન્યા ૧૯૦૮ કાઠિયાવાડી નાટક મંડળી
૧૯૧૧ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
નવલશા હીરજી ૩ નવેમ્બર ૧૯૦૯ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
વસંતપ્રભા ૧૭ ડિસેમ્બર ૧૯૧૦ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
પ્રતાપલક્ષ્મી ૩૧ જાન્યુઆરી ૧૯૧૪ મુંબઈ ગુજરાતી નાટક મંડળી મણિલાલ દ્વિવેદીની નવલકથા ગુલાબસિંહ પર આધારિત
સંગતના ફળ ૨૮ ફેબ્રુઆરી ૧૯૧૫ મુંબઈ ગુજરાતી નાટક મંડળી
એક જ ભૂલ ૧૯૧૯ રોયલ નાટક મંડળી
ભાગ્યોદય ૧૯૨૦ રોયલ નાટક મંડળી
રત્નાવલી ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૫ આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળી
વિક્રમ અને શનિ ૨૮ મે ૧૯૨૫ આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળી શામળ ભટ્ટની સિંહાસન બત્રિસી પર આધારિત
વીરનારી આશા ૩ ઓક્ટોબર ૧૯૨૫ આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળી
કોકિલા ૧૯૨૬ આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળી

સન્માન[ફેરફાર કરો]

૧૯૪૪માં ભાવનગર સાહિત્ય સભા અને ૧૯૪૬માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા અમદાવાદમાં રંગ પરિષદ, એક નાટ્ય પરિષદ સત્ર દરમિયાન તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૪ ડિસેમ્બર ૧૯૪૮ના રોજ બોમ્બેના ભાંગવાડી થિયેટરમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ૧,૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા.[૩][૪]

જયશંકર ભોજક 'સુંદરી' તેમને ગુજરાતના શેક્સપિયર માનતા હતા.[૫] દિનેશ એચ. ભટ્ટે ૧૯૬૬માં તેમના જીવન અને કાર્યો પર શોધનિંબધ રજૂ કરી પીએચડીની પદવી મેળવી હતી.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Gujarat State Gazetteers: Amreli district. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. 1972. પૃષ્ઠ 553.
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ ૨.૧૨ ભોજક, દિનકર (2002). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XVI. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ 349. OCLC 163322996.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ ૩.૧૧ ૩.૧૨ ૩.૧૩ ૩.૧૪ ૩.૧૫ ચોક્સી, મહેશ; સોમાણી, ધીરેન્દ્ર, સંપાદકો (2004). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 34, 117–119.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Jani, Balvant (1988). Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: K to Navalram. VIII. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2793. ISBN 978-0-8364-2423-2.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Hansen, Kathryn (1 December 2013). Stages of Life: Indian Theatre Autobiographies. Anthem Press. પૃષ્ઠ 237–239. ISBN 978-1-78308-098-4.