સિહોર

વિકિપીડિયામાંથી
સિહોર
—  શહેર  —
સિહોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′N 71°58′E / 21.7°N 71.97°E / 21.7; 71.97
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

સિહોર અથવા શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું મુખ્યમથક છે. સિહોર એ ભાવનગર શહેરની જુની રાજધાની અને સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે. અહીં અનેક શિવ મંદિર હોવાથી સિહોર છોટા કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે.[સંદર્ભ આપો]

ભૂગોળ[ફેરફાર કરો]

ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠે ગ્રેનાઈટ પથ્થરના ડુંગરની ખરબચડી ગિરિમાળા ચમારડી ગામ તરફ ઝૂકતી જાય છે. સિહોર આ પર્વતમાળાની તળેટીમાં વસેલું છે. અહીંની પર્વતમાળાના મુખ્ય ફાંટા આ પ્રમાણે છે: મોદળ, છાપરો, બોડીધાર, લાંબધાર, ખેરીઓ,અગથીઓ, વાવીઓ, જરખીઓ, કાળો, શૂળીધાર, દીપડીઓ, તરશિંગડો અને નળીઓ વગેરે. અહીંથી ઇમારતી પથ્થર, લીલા, કાળા અને પીળા પથ્થર, તાંબા અને લોઢાનાં રજકણો, ચિનાઈ માટી, કોલસા વગેરે ખનિજ સંપત્તિ સંપત્તિ મળી આવી છે.

સિહોરની રચના પર્વત વચ્ચે તળેટીમાં આવેલા શહેર જેવી પણ પાઘડીપને છે.

નામ[ફેરફાર કરો]

સિહોર નામ વિષે જાતજાતની દંતકથાઓ ચાલે છે. કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસતી હતી તેથી તે સિંહપુર કહેવાતું. જ્યારે એક મત એવો પડે છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહવંશના રાજાઓ થઈ ગયેલા. તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું. ઇતિહાસનો પહેલો થર એમ દર્શાવે છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહવંશના રાજાઓ થઈ ગયેલા. તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું. સિહોર સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી પણ જાણીતું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇતિહાસનો પહેલો થર એમ દર્શાવે છે કે, મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણઓનું બહુમાન કરી પાંચ ગામ દાનમાં આપ્યાં અને ધીમે ધીમે બ્રાહ્મણોનું પિઠબળ જામતું ગયું. ગુર્જરેશ્વર જયસિંહ મહારાજે મહારુદ્ર કરેલો ત્યારે દેશદેશના વિદ્વાન ઔદિચ્ય બ્રાહ્મણોને બોલાવેલા; તેમાંના મોટા ઋત્વિજો સિદ્ધપુર અને સિંહપુરના હતા એમ તો કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં સ્વીકારે છે. અહીં રણા અને જાની એવા ગોત્રના બ્રાહ્મણો વસતા હતા. નજીવા પ્રસંગ ઉપરથી બંને પક્ષ વચ્ચે વર્ગવિગ્રહ થયો અને કતલ ચાલી. પછી રણાએ ગારીયાધારના રજપૂતોની અને જાનીએ ઉમરાળાના ગોહિલોની સહાય માટે ધા નાખી. આમ જૂનું સિહોર નાશ પામ્યું. તેના અવશેષ સાતથંભીએ આજે પણ જોવા મળે છે.

નાનાસાહેબ પેશ્વા પણ સિહોરના ઈતિહાસ સાથે સંકળાયેલા છે. તેમણે અંગ્રેજો સામે વિગ્રહ દરમિયાન અહીં આવેલ ગાઢ જંગલોવાળી કોતરોમાં આશ્રય લીધેલો હતો અને એ દરમિયાન તેમણે અહીં ખજાનો પણ છુપાવ્યો હતો.[સંદર્ભ આપો]

કિલ્લો[ફેરફાર કરો]

ગોહિલવંશના રાજાઓએ નવું સિહોર વસાવી ગિરિમાળાની ગોદમાં એક મજબૂત કિલ્લો બંધાવ્યો. શહેરની સુરક્ષા માટે તેમાં જે કોઠાની કિલ્લેબંધી છે.જેમાં આજે પણ યુદ્ધમાં વપરાતી જૂની તોપ જોવા મળે છે.આ કિલ્લા ની કરામત છે તેવી જ કરામત જૂનાગઢ અને પાવાગઢના પુરાણા કિલ્લાઓમાં પણ જોવામાં આવતી નથી, ઔરંગઝેબના અવસાન પછી મોગલાઈ તૂટવા લાગી તે વખતે શિવાજી મહારાજના પૌત્ર શાહુએ પોતાના સરદાર કંતાજીકદમબંદે અને પિલાજી ગાયકવાડને ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા મોકલેલા. મરાઠા તરફથી શિવરામ ગાર્દી સૌરાષ્ટ્રમાં આવ્યો અને સિહોરના કિલ્લાની તોપો વડે મરાઠા લશ્કરને પરાજય મળ્યો. આમ સિહોર પ્રદેશમાંથી મરાઠાને ખંડણી અપાતી બંધ થઈ એટલે ગોહિલોએ ભાવનગરમાં ગાદી સ્થાપી. આખા ગોહિલવાડ પ્રદેશમાં પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કર્યું.

પુરાતન અવશેષો[ફેરફાર કરો]

ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ જોતાં તથા અત્યારે જે ઇતિહાસના અસ્થિશેષો પરિભ્રમણ કરતાં હાથ લાગે છે તે ઉપરથી એટલું સ્પષ્ટ જણાઈ આવે છે કે, આ શહેર એક કાળે સમૃદ્ધ પાટનગર હોવું જોઈએ. સિહોરથી માત્ર થોડે જ દૂર દરિયો હોવાનો તર્ક પણ પ્રામાણહીન તો નથી જ. ઘાંઘળી પાસેની ખારી નદી તેનું આજે પણ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. આ ફાંટો પશ્ચિમે વળાવડ સુધી જળવાઈ રહેલી ખારાશ પણ ઉપરના વિધાનનું કાંઈક અંશે સમર્થન કરે છે. જૈન કલ્પસૂત્રમાં એવી હકીકત આવે છે કે, વિમલાપુરી ( વલ્લભીપુર ) નો વિસ્તાર શત્રુંજય સુધી હતો. તેની તળેટીમાં એક શહેર હતું અને તે બંદર પણ હતું. બાર યોજનના ગણાવેલા તેના ઘેરાવામાં સિહોર, ચોગઠ, ચમારડી, ખોખરા અને તળાજા આવી જાય છે.

સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણશાસનના એવશેષો આજે સુખનાથ મહાદેવ, જોડનાથ મહાદેવ, પંચમુખ, દયાનંદગુફા, બ્રહ્મકુંડ. ગૌતમેશ્વર મહાદેવ, ગૌતમગુફા, વિશ્વનાથ, ભવનાથની જગ્યામાં વેરાયેલા છે. આ માંહેના બ્રહ્મકુંડની પૌરાણિક કૃતિ સિદ્ધરાજના સમયમાં કોઢ નિવારણાર્થે સિહોરમાં આજ પણ મોજૂદ છે. અને ગિરિગહ્વર માંહેની ગૌતમેશ્વરની જગ્યા સરસ્વતીચંદ્ર જેવી ગુજરાતી પ્રથમ પંક્તિની નવલકથામાં સુવર્ણગિરિની ટેકરી રૂપે અમર થયેલ છે. અહીંની સાતશેરી પણ ઘણાં રહસ્યો સંઘરી ને આજે પણ ઊભી છે.સાતશેરીની થંભીઓ ઉપર એક કાળે મંદિરના ઘુંમટ હતા. આજે તો એ છિન્નભિન્ન થઈ ગયા છે. સિહોરની નજીક એક દયાનંદગુફા છે, તેની રચના ધ્યાન ખેંચે તેવી છે. આ ગુફા પથ્થરવાળા ભાગમાં ઊંડાણથી કોરી કાઢેલી છે. ૧૮૫૭ના બળવામાં પરાજય પામી હતાશ થઈને કેટલાક તોપચી ગુપ્ત વેશે અહીં આવી ચડેલા. તેમાંના દયાનંદ, બલરામસિંહ અને રામચંદ્ર મુખ્ય હતા. સૌરાષ્ટ્રમાં પ્રાચીનતમ સ્થળો તો અનેક છે, પણ જેના પુરાણા અવશેષો, કડીબદ્ધ વિગતો અને હકીકતો ઉપલબ્ધ થતી હોય તેવું પ્રાકૃતિક રમણીયતાથી ભરપૂર જો કોઈ સ્થળ હોય તો તે આ છે. ચીની મુસાફર હ્યુએનસાંગે પણ વલ્લભીપુરના વર્ણન સાથે સિહોરનો માનભર્યો ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. તેના પુરાણા અવશેષો જુદી જુદી ટેકરીઓ ઉપર સાતશેરી નામે જે થંભો જળાવાઈ રહ્યા છે તે એક હજાર વર્ષ પહેલાંના સૂર્યમંદિરને મળતા આવે છે. જયમુનિકૃત પાંડવાશ્વમેધ ઉપરથી જણાય છે કે, આજથી પાંચ હજાર વર્ષ ઉપર સિહોર સારસ્વતપુરના નામથી પ્રસિદ્ધ હતું અને તેની આસપાસના પ્રદેશને સાર્સવત દેશ કહેતા. ઐતિહાસિક દ્રષિટિએ અમુલ્ય એવી અનેક માહિતીઓ આ વિસ્તારની ઘરતીના પેટાળમાં દટાયેલી પડી છે. હાલના સિહોરની દક્ષિણે આવેલ સાતશેરીના ડુંગરાની તળેટીના પૂર્વ ભાગમાં જમીન નીચેથી અર્ધ દટાયેલી ત્રણ દેરીઓ ડોકિયા કરી રહી છે. આ સાતશેરી ડુંગરાની બાજુમાં જ ` ઇંટડિયા ધાર.` કરીને એક ઇંટરી-ચણતર ટીંબો છે. મૌર્ય વંશના સિક્કાઓ તો આજ પણ અમુક ગૃહસ્થો પાસે તેમ જ સિહોરની લાયબ્રેરીમાં સંગ્રહાલેયા પડ્યા છે. પહેલાના સિંહપુરની ચણેલ દિવાલોના ખંડિયેરો પણ પુરાતત્ત્વ રસિકોને આકર્ષે છે. સૌરાષ્ટ્ર સરકારે ઇંટડિયા ધારના વિસ્તારને રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. એવી માન્યતા છે કે, સાતશેરી બાજુના ઇંટડી ટીંબા નીચે અતિ પ્રાચીન સમયમાં સારસ્વતપુર નામનું એક વિશાળ નગર હશે. એમ કહેવાય છે કે, મહાભારત સમયમાં યાદવોના આંતરકલહ પછી તેમનું એક સારસ્વત નામનું કુળ આ બાજુ આવી વસ્યું હતું. એથી શહેરનું નામ સારસ્વતપુર પડ્યું. આજના સિહોરની બાજુમાં જ વલ્લભીપુર અને પાદલિપ્તપુર (પાલીતાણા), પૂર્વે હસ્તિવપ્ર (હાથબ), કુંડીનપુર (ગુંદી કોળિયાક) અને તાલધ્વજ (તળાજા) તેમ જ દક્ષિણે મધુમાવતી (મહુવા) અને જરા દૂર ઉત્તરે વિરાટનગરી (ધોળકા) વગેરે પ્રાચીન શહેરોના કેન્દ્રમાં જ ભૌગોલિક સ્થાન જોતાં સારસ્વતપુરની મહત્તા સ્વયંસિદ્ધ છે. સિહોરની ગૌતમી નદી, ગૌતમ કુંડ અને ગૌતમેશ્વર મહાદેવ સાથે ગૌતમ ઋષિનું નામ જોડાએલું છે.

અહીંના પ્રાચીન સ્થળને (N-GJ-71) તથા દરબાર ગઢને (N-GJ-72) ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરેલ છે.

વેપાર[ફેરફાર કરો]

આજે આ શહેર વેપાર માટે જાણીતું છે. તાંબા પિત્તળનાં વાસણ અને છીંકણી માટે આ શહેર પ્રખ્યાત છે. તદુપરાંત અલંગના જહાજ ભંગાણવાડા સાથે તેના મુખ્ય બે ઉદ્યોગો નભે છે - પ્રથમ તો ઓક્સીજન પ્લાન્ટ અને બીજો છે લોહ ઉદ્યોગ જ્યા અલંગમાં ભંગાયેલા જહાજોનો લોહ-કચરાને ઓગાળીને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ મુખ્યત્વે સળીયાનો સમાવેશ થાય છે.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

ગૌતમેશ્વર મહાદેવ મંદિર સંકુલના પરીસરમાં જોવા મળતી મંદિરના ઈતિહાસની માહિતિ આપતી તક્તી

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

સિહોર રેલ્વે વડે ગુજરાત તેમજ દેશના અન્ય સ્થળો સાથે જોડાયેલું છે. અહીંનું રેલ્વે સ્ટેશન સિહોર જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે. સિહોર ભાવનગરથી ૨૪ કિ.મી.ના અંતરે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • "સિહોર". ભગવદ્ગોમંડળ. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૬.