શંકર દયાલ શર્મા

વિકિપીડિયામાંથી
શંકર દયાલ શર્મા
शंकर दयाल शर्मा
૯મા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૨૫ જુલાઈ ૧૯૯૨ – ૨૫ જુલાઈ ૧૯૯૭
પ્રધાન મંત્રીપી. વી. નરસિંહ રાવ
અટલ બિહારી વાજપેયી
એચ. ડી. દેવગૌડા
ઇન્દ્ર કુમાર ગુજરાલ
ઉપ રાષ્ટ્રપતિકે.આર.નારાયણન
પુરોગામીઆર. વેંકટરમન
અનુગામીકે.આર.નારાયણન
ભારતના ઉપરાષ્ટ્રપતિ
પદ પર
૩ સપ્ટેમ્બર ૧૯૮૭ – ૨૫ જુલાઈ ૧૯૯૨
રાષ્ટ્રપતિઆર. વેંકટરમન
પુરોગામીઆર. વેંકટરમન
અનુગામીકે.આર.નારાયણન
મહારાષ્ટ્રના રાજ્યપાલ
પદ પર
૩ એપ્રિલ ૧૯૮૬ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૭
મુખ્ય મંત્રીશંકરરાવ ચવ્હાણ
પુરોગામીકોના પ્રભાકર રાવ
અનુગામીકે. બ્રહ્માનંદ રેડ્ડી
પંજાબના રાજ્યપાલ
ચંદીગઢના વહીવટકર્તા
પદ પર
૨૬ નવેમ્બર ૧૯૮૫ – ૨ એપ્રિલ ૧૯૮૬
મુખ્ય મંત્રીસુરજીત સિંઘ બરનાલા
પુરોગામીહોકીશે સેમા
અનુગામીસિદ્ધાર્થ શંકર રે
આંધ્ર પ્રદેશના રાજ્યપાલ
પદ પર
૨૯ ઓગસ્ટ ૧૯૮૪ – ૨૬ નવેમ્બર ૧૯૮૫
મુખ્ય મંત્રીએન. ભાસ્કર રાવ
એન. ટી. રામારાવ
પુરોગામીઠાકુર રામલાલ
અનુગામીકુમુદબેન મણીશંકર જોશી
અંગત વિગતો
જન્મ(1918-08-19)19 August 1918
ભોપાલ દેશી રજવાડું (હાલ ભારત)
મૃત્યુ26 December 1999(1999-12-26) (ઉંમર 81)
નવી દિલ્હી, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીવિમલા શર્મા
સંતાનોબે પુત્ર
એક પુત્રી
માતૃ શિક્ષણસંસ્થાસેન્ટ જ્‌હોન કોલેજ, આગ્રા (અલ્હાબાદ વિશ્વવિદ્યાલય)
આગ્રા કોલેજ
પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ
લખનઉ વિશ્વવિદ્યાલય
ફિત્ઝ વિલિયમ કોલેજ, કેમ્બ્રીજ
હાર્વર્ડ યુનિવર્સિટી
સહી

શંકર દયાલ શર્મા (૧૯ ઓગસ્ટ ૧૯૧૮ – ૨૬ ડિસેમ્બર ૧૯૯૯) ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન ભારતના નવમા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદ પહેલાં તેઓ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભોપાલ રાજ્યના (૧૯૪૯–૧૯૫૬) મુખ્યમંત્રી પદે (૧૯૫૨–૧૯૫૬) રહ્યા. ઉપરાંત, ૧૯૫૬થી ૧૯૬૭ દરમિયાન શિક્ષણ, કાયદો, લોકનિર્માણ, ઉદ્યોગ અને વાણિજ્ય, રાષ્ટ્રીય સંસાધન તેમજ મહેસૂલ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેબીનેટ મંત્રી તરીકે રહ્યા. તેઓ ૧૯૭૨થી ૧૯૭૪ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદે તથા ૧૯૭૪થી ૧૯૭૭ સુધી તત્કાલીન સરકારમાં સંચાર મંત્રી તરીકે કાર્યરત રહ્યા.

આંતરરાષ્ટ્રીય બાર એસોશિયેશને શર્માને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાયદાના વ્યવસાયમાં ઉત્કૃષ્ઠ યોગદાન બદલ તથા કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધતા બદલ લિવિંગ લિજેન્ડ ઓફ લો ઍવોર્ડ ઓફ રેકગ્નિશનથી સન્માનિત કર્યા હતા.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

શંકર દયાલ શર્માનો જન્મ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમનો પ્રારંભિક અભ્યાસ ભોપાલની સરકારી કુમાર શાળામાં થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ સેન્ટ જ્‌હોન કોલેજ (અલ્હાબાદ વિશ્વવિદ્યાલય), આગ્રા કોલેજ, પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) તથા લખનઉ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ લખનઉ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક રહ્યા હતા.

રાજનૈતિક શરૂઆત[ફેરફાર કરો]

૧૯૪૦ના દશકમાં તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રીય ભાગીદારી સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભોપાલના નવાબ ભોપાલને એક સ્વતંત્ર રાજ્ય તરીકે રાખવા ઇચ્છુક હતા. શર્માએ ડિસેમ્બર ૧૯૪૮માં નવાબ વિરુદ્ધ જન આંદોલનનું નેતૃત્ત્વ કર્યું, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી. જાહેર સભાઓ પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ ૨૩ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ ફરીથી ધરપકડ કરવામાં આવી તેમજ આઠ માસની સજા ફટકારવામાં આવી પરંતુ જનતાના વિરોધને પગલે નવાબ શર્માને મુક્ત કરવા બાધ્ય બન્યા તથા ૩૦ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ભારતીય સંઘમાં સામેલ થવાના વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા.[૨]૧૯૫૨માં તેઓ ભોપાલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને તે સમયના સૌથી યુવા મુખ્ય મંત્રી હતા. ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનયમ અંતર્ગત ભોપાલ રાજ્યને મધ્ય પ્રદેશ રાજ્ય બનાવવા માટે અન્ય પ્રદેશો સાથે ભેળવી દેવાયું, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા.

સક્રિય રાજકીય જીવન[ફેરફાર કરો]

૧૯૬૦ના દશક દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતૃત્ત્વ માટે ઈન્દિરા ગાંધીનું સમર્થન કર્યું. ૧૯૭૨માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા તથા કલકત્તા ખાતેના અધિવેશનની અધ્યક્ષતા સંભાળી. ૧૯૭૪થી ૧૯૭૭ સુધી તત્કાલીન સરકારમાં સંચાર મંત્રી તરીકે કાર્યરત રહ્યા. ૧૯૭૧ તથા ૧૯૮૦માં તેમણે લોકસભામાં ભોપાલ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્ત્વ સંભાળ્યું. ૧૯૮૪માં તેઓ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બન્યા. આ સમય દરમિયાન તેમની પુત્રી ગીતાંજલી માકન તથા યુવા સાંસદ અને રાજનેતા લલિત માકન (જમાઈ)ની શીખ ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી. ૧૯૮૫માં તેઓ આંધ્ર પ્રદેશ છોડી પંજાબના રાજ્યપાલ પદે નિયુક્ત થયા. આ સમય દરમિયાન પંજાબમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વધી રહી હતી. ૧૯૮૬માં તેઓએ મહારાષ્ટ્રમાં પોતાનું અંતિમ રાજ્યપાલ પદ સંભાળ્યું. ૧૯૮૭માં તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા.

ભારતના રાષ્ટ્રપતિ[ફેરફાર કરો]

૧૯૯૨માં તેઓ ભારતના નવમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેમને ૬૬% મત મળ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં તેમણે ત્રણ પ્રધાનમંત્રીઓ સાથે કામ કર્યું હતું.

અવસાન[ફેરફાર કરો]

જીવનના અંતિમ પાંચ વર્ષો દરમિયાન શર્મા ખરાબ સ્વાસ્થ્યથી પીડિત હતા. ૨૬ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ હૃદયરોગના હુમલાને કારણે નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયું હતું. રાજઘાટ સમાધિ પરિસરમાં કર્મભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Shankar Dayal Sharma - President of India". www.gloriousindia.com. મેળવેલ 2 April 2018.
  2. S. R. Bakshi and O. P. Ralhan (2007). Madhya Pradesh Through the Ages. Sarup & Sons. પૃષ્ઠ 360. ISBN 978-81-7625-806-7.