આત્મવૃત્તાંત

વિકિપીડિયામાંથી
(આત્મવૃત્તાન્ત થી અહીં વાળેલું)
આત્મવૃત્તાંત
લેખકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારઆત્મકથા
પ્રકાશકનવભારત સાહિત્ય મંદિર
પ્રકાશન તારીખ
જુલાઈ ૧૯૭૯
OCLC6148165
LC વર્ગPK1859.D88
મૂળ પુસ્તકઆત્મવૃત્તાંત વિકિસ્રોત પર

આત્મવૃત્તાંતમણિલાલ દ્વિવેદી દ્વારા લીખિત આત્મકથા છે. આ પુસ્તકમાં મણિલાલે ૧૮૯૬ સુધીના પોતાના જીવનની હકિકતો આલેખી છે. મણીલાલના અવસાન પછી ૮૦ વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરે સંપાદન કરેલાં રુપમાં પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઘણો ઊહાપોહ થયો હતો કેમ કે તેમાં લેખકના અંગતજીવનનું અને તેમના લગ્નબાહ્ય સંબધોનું નીર્ભિક અને નિખાલસ આલેખન થયેલું છે. આ પુસ્તકમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

મણિલાલ દ્વિવેદી

૧૮૮૬ આસપાસ મણિલાલે ૨૮ વર્ષની ઉંમરે આ પુસ્તક કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું.[૨]

મણિલાલે પોતાના મૃત્યુ પહેલાં આ આત્મકથાની હસ્તપ્રત પોતાના વિશ્વાસુ મિત્ર આનંદશંકર ધ્રુવને સોંપી હતી, જે આનંદશંકરે જીવનપર્યંત સાચવી હતી. તેમના અવસાન પછી આ હસ્તપ્રત તેમના જ્યેષ્ઠ પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસે રહી હતી. આનંદશંકરના જીવનકાળ દરમિયાન (૧૯૨૯-૩૧ દરમિયાન) અંબાલાલ પુરાણી, વિજયરાય વૈદ્ય તેમજ બીજા કેટલાક યુવાન લેખકોએ મણિલાલની આ આત્મકથા પ્રગટ કરવા માટે વિવાદ ઊભો કર્યો હતો. તથા વિજયરાય વૈદ્ય સંપાદિત સામાયિક 'કૌમુદી'માં તેને લગતા ચર્ચાપત્રો પ્રગટ થયાં હતાં. આ ચર્ચાપત્રોનો જવાબ આનંદશંકરે પોતાના સામાયિક 'વસંત'માં આપ્યો હતો. આનંદશંકરે 'કૌમુદી'ના જુલાઈ ૧૯૩૦ના અંકમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરી વિજયરાય વૈદ્યને સંબોધીને લખ્યું છે:[૩]

આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quincyનાં 'Confessions' જેવું, કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી. એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઈષ્ટ નથી એમ તો સહજ સ્વીકારાશે, અને એ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એમ નથી બલકે સાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ.ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી. આ લેખ મારા ઉપરાંત હજુ સુધી માત્ર સ્વ. માધવલાલે (સ્વ. મણિલાલના નાના ભાઈએ) જ વાંચ્યો છે અને એમણે પણ એ વાંચીને મને સ્પષ્ટ કહેલું કે એ પ્રસિદ્ધ કરવા જેવો નથી...

— આનંદશંકર ધ્રુવ, ૧૯૩૦[૩]

ત્યાર પછી વિવાદ ઊભો કરનાર આ લેખકોની જિજ્ઞાસા સંતોષવા માટે આનંદશંકરે મણિલાલની આત્મકથા 'વસંત'માં ટુકડે ટુકડે પ્રગટ કરી હતી. તેમણે વિ.સં. ૧૯૮૬ (અંક ૪, ૭), ૧૯૮૭ (અંક ૧, ૮) અને ૧૯૮૮ (અંક ૧, ૩) દરમ્યાન છ ટૂકડે આત્મકથાનો કેટલોક ભાગ ખંડિત સ્વરૂપે પ્રગટ કર્યો હતો. તે દરમ્યાન આ યુવાન લેખકોનો ઊહાપોહ બંધ થઈ જતાં આનંદશંકરે આ આત્મકથાનો બાકીનો ભાગ પ્રગટ કરવાનું અટકાવી દીધું હતું. મૂળ હસ્તપ્રતનાં કુલ ૧૯૮ કે ૧૯૬ પાનામાંથી ૮૧ પાનાં જેટલું લખાણ આ રીતે પ્રગટ થવા પામ્યું હતું. અંબાલાલ પુરાણીએ આ આત્મકથાની હસ્તપ્રત મેળવવા ૧૫ વખત પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ એ મેળવી શકયા ન હતા. આનંદશંકરે સાચવી રાખેલી આ હસ્તપ્રત તેમના અવસાન બાદ તેમના પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસેથી ૧૯૫૦ની આસપાસ ધીરુભાઈ ઠાકરે પોતાના સંશોધનાત્મક અભ્યાસ માટે મેળવી હતી. ધીરુભાઈ ઠાકરે આ આત્મકથા પુસ્તકરૂપે ૧૯૭૯માં પ્રગટ કરી હતી.[૩]

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

ધીરુભાઈ ઠાકરે આ આત્મકથાને 'લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામનાર જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતુષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે જિંદગીભર ચલાવેલા યુદ્ધની દારૂણ કથા' કહીને ઓળખાવી છે.[૪] લેખકના જાતીય જીવનના સંઘર્ષની નિખાલસ કબૂલાતો આપતું આ આત્મચરિત્ર સત્યકથનથી નોખી ભાત પાડે છે - એમ કહીને ચંદ્રકાન્ત ટોપીવાળાએ એની પ્રશંસા કરેલ છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (૧૯૯૭). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૮. OCLC 248969185.
  2. "સવિશેષ પરિચય: મણિલાલ દ્વિવેદી, ગુજરાતી સાહિત્ય પરિષદ". Gujarati Sahitya Parishad. મેળવેલ ૫ જૂન ૨૦૧૮.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ઠાકર, ધીરુભાઈ (May 2011). કેટલાક સાહિત્યિક વિવાદો (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૩૪-૧૩૮.
  4. ઠાકર, ધીરુભાઈ (May 1980). મણિલાલ નભુભાઈ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૨૨ (1st આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. પૃષ્ઠ ૫૩-૫૪.
  5. ટોપીવાળા, ચંદ્રકાન્ત, સંપાદક (1998). ગુજરાતી આત્મકથાલેખન (1st આવૃત્તિ). ન્યૂ દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧૧. ISBN 81-260-0371-5.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]