જનરલ મોહન સિંહ

વિકિપીડિયામાંથી
મોહનસિંહ
મોહનસિંહ
એપ્રિલ ૧૯૪૨માં કેપ્ટન મોહનસિંહનું (પાઘડીમાં) સ્વાગત કરતા જાપાનીઝ મેજર ફ્યુજીવારા
જન્મની વિગત૩ જાન્યુઆરી ૧૯૦૯
ઉગોકે, સિલાકોટ, પંજાબ, પાકિસ્તાન
મૃત્યુ૧૯૮૯
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસૈનિક
પ્રખ્યાત કાર્યપ્રથમ ભારતીય રાષ્ટ્રીય સેનાના સંસ્થાપક જનરલ
ચળવળભારતીય સ્વાધીનતા સંગ્રામ

મોહનસિંહ (૧૯૦૯ – ૧૯૮૯) ભારતીય સૈન્ય અધિકારી અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યકર્તા હતા જેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન દક્ષિણ–પૂર્વ એશિયામાં પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સેનાની સ્થાપના અને નેતૃત્ત્વમાં તેમની ભૂમિકા માટે ઓળખાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ તેમણે સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભાના સદસ્ય તરીકે જાહેર જીવનમાં પણ યોગદાન કરેલ છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ તારાસિંહ અને હુકમ કૌરના એકમાત્ર સંતાન તરીકે સિયાલકોટ નજીક ઉગોકે ગામે (હાલ પાકિસ્તાન) થયો હતો. તેમના જન્મના બે મહિના પૂર્વે જ તેમના પિતાનું અવસાન થતાં તેમની માતા બડિયાના ગામે પોતાના માતા–પિતા પાસે સ્થળાંતરીત થયાં. મોહનસિંહનો ઉછેર આ જ ગામમાં થયો.

સૈન્ય કારકિર્દી[ફેરફાર કરો]

મોહનસિંહે સેકન્ડરી સ્કૂલ પાસ કર્યા બાદ ૧૯૨૭માં બ્રિટીશ ઇન્ડિયન આર્મીની ૧૪મી પંજાબ રેજીમેન્ટમાં ભરતી કરવામાં આવ્યા. હ્રોજપુર ખાતે સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યા બાદ તેઓ રેજીમેન્ટની બીજી ટૂકડીમાં ફરજ પર મૂકાયા. ત્યારબાદ ઉત્તર–પશ્ચિમી–સીમાંત પ્રાંત પર સેવારત રહ્યાં. ૧૯૩૧માં તેઓ સંભવિત અધિકારી તરીકે પસંદ થયાં. કિચનર કોલેજ, નોગોંગ, મધ્ય પ્રદેશ ખાતે છ મહિનાની તાલીમ મેળવ્યા બાદ, ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદૂનમાં અઢી વર્ષની તાલીમ પૂરી કરી ૧ ફેબ્રુઆરી ૧૯૩૪માં બ્રિટીશ સૈન્ય એકમની બીજી ટૂકડી સીમા રેજીમેન્ટમાં જોડાયા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ તેમને ઝેલમ સ્થિત ૧૪મી પંજાબ રેજીમેન્ટની પ્રથમ ટૂકડીમાં સામેલ કરવામાં આવ્યા.[૧]

તેમની બટાલિયન પૂર્વમાં પરિચાલન સેવાઓ માટે નિર્ધારીત કરવામાં આવી ત્યારે મોહનસિંહને અસ્થાયી કપ્તાન તરીકે બઢતી આપવામાં આવી હતી.[૨] ડિસેમ્બર ૧૯૪૦માં સૈન્ય અધિકારીની બહેન જસવંત કૌર સાથે લગ્ન કર્યા. ૪ માર્ચ ૧૯૪૧ના રોજ પોતાની ટૂકડી સાથે મલાયા (બ્રિટીશ હસ્તક) જવા રવાના થયા.

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

જાપાને ૭ ડિસેમ્બર ૧૯૪૧ના દિવસે અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો કરી યુદ્ધમાં પ્રવેશ કર્યો. ઓક્ટોબરમાં બેંગકોકમાં જાપાની ઇમ્પીરીયલ મુખ્યાલયે મેજર ફુજીવારા એવચીની અધ્યક્ષતામાં ફુજીવારા કિકન (એફ–કીકન) નામના એક ગુપ્ત અભિયાનની શરૂઆત કરી. જાપાન સાથે મિત્રતા અને સહયોગને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ગુપ્ત માહિતી મેળવવા તેમજ ભારતીય સ્વતંત્રતા આંદોલન, વિદેશી ચીની અને મલય સુલતાનોનો સંપર્ક કરવાની જવાબદારી સોંપી.[૩] ફુજીવારા કર્મચારીઓમાં પાંચ અધિકારીઓ અને બે હિન્દી દુભાષિયાનો સમાવેશ થતો હતો. તેમણે સૌ પ્રથમ જ્ઞાની પ્રિતમસિંહનો સંપર્ક કર્યો. આ એજ પ્રિતમસિંહ હતા જેમણે મોહનસિંહને ભારતીય રાષ્ટ્રીય સેનાના નિર્માણ માટે અનુરોધ કર્યો હતો. શરૂઆતમાં મોહનસિંહ ખચકાટ અનુભવતા હતા પરંતુ અંતે સહમત થયા. ફુજીવારાએ લગભગ ૪૦૦૦૦ જેટલા ભારતીય સૈનિકો તેમને હવાલે કરી દીધા જેમણે આત્મસમર્પણ કર્યું હતું. આમ, ભારતીય રાષ્ટ્રીય સેનાના નિર્માણમાં તે પહેલું કદમ હતું.

મલાયામાં કાર્યવાહી[ફેરફાર કરો]

મોહનસિંહની બટાલીયન, ૧/૧૪ પંજાબ રેજીમેન્ટ સાથે મલાયા પ્રાયદ્વીપના ઉત્તર ભાગમાંથી દક્ષિણ તરફ જઈ રહી હતી ત્યારે જીત્ર ખાતે જાપાની સૈનિકોએ તેમના પર ગોળીબાર કર્યો અને સૈન્ય વિખરાઇ ગયું. જંગલમાં કેટલાક દિવસની રઝળપાટ બાદ જાપાની સૈન્યએ મોહનસિંહને ઘેરી લીધા અને તેમને એફ–કીકન અને ભારતીય સ્વતંત્રતા લીગના સંયુક્ત કાર્યાલય પર ફુજીવારા અને પ્રિતમસિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. કહેવામાં આવે છે કે ફુજીવારા એક મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હતા અને તેમણે તેમના કાર્યાલયના ઉદ્દેશને આ રાષ્ટ્રવાદી નેતાઓ સુધી પહોંચાડ્યો અને તેમના વચ્ચે સહમતી સધાઈ.[૪][૫]

ભારતીય રાષ્ટ્રીય સેના (INA)[ફેરફાર કરો]

ફુજીવારાએ મોહનસિંહને ભારતની સ્વતંત્રતાની ઉદ્દેશપુર્તિ માટે જાપાનના સહયોગની ખાતરી આપી. શરૂઆતમાં મોહનસિંહે અલોર સ્ટાર પ્રાંતમાં થઈ રહેલી આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ પર કાબૂ મેળવવામાં મદદ કરી. ડિસેમ્બર ૧૯૪૧માં જાપાનીઝ કમાન્ડીંગ અધિકારી સાથેની બેઠક બાદ મોહનસિંહ હથિયારબંધ ભારતીય એકમની રચના માટે સહમત થયા. ૧૯૪૨માં મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાકમાંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને સામેલ કરીને ભારતીય રાષ્ટ્રીય સેના (INA)નું ગઠન કરવામાં આવ્યું.

જાપાન સાથે અસહમતી[ફેરફાર કરો]

મોહનસિંહે એફ–કિકન સંગઠનના સભ્યો સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં જાપાની સેનાના મુખ્યાલયથી તેમનો મોહભંગ થઈ ગયો. જાપાની મુખ્યાલયના કેટલાક આદેશોથી તેમને એવું પ્રતીત થયું કે તેઓ ભારતીય રાષ્ટ્રીય સેનાનો ઉપયોગ ફક્ત જાપાની સેનાના એક ભાગ રૂપે કરવા ઇચ્છતા હતા. જાપાની સેનાના કેટલાક પ્રમુખ અધિકારીઓથી તેઓ અસહમત હતા. ૧૯ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ મોહનસિંહને તેમના પદ પરથી હટાવી જાપાની સૈન્યએ તેમની ધરપકડ કરી લીધી.

૧૯૪૭ બાદ[ફેરફાર કરો]

ફેબ્રુઆરી ૧૯૪૭માં સિંહે રાજનીતિમાં પ્રવેશ કર્યો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા.[૬] ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો પરંતુ ભાગલાના કારણે તેમને પાકિસ્તાન સ્થિત પોતાનું વતન છોડવું પડ્યું અને ભારતમાં એક શરણાર્થી તરીકે રહ્યા. પંજાબમાં વિધાયક તરીકેના કાર્યકાળ બાદ તેઓ બે કાર્યકાળ માટે રાજ્ય સભાના સભ્ય તરીકે નિયુક્ત થયા. આઝાદ હિંદ ફોજના સભ્યોને સ્વાતંત્ર્ય સેનાની તરીકેની માન્યતા આપવા તેઓ સંસદની અંદર અને બહાર કાર્યરત રહ્યા.

અવસાન[ફેરફાર કરો]

૨૬ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ જુગીઆના, લુધિયાણા ખાતે તેમનું અવસાન થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. April 1936 Indian Army List
  2. July 1941 Indian Army List
  3. Lebra 1977, p. 23
  4. Fay 1993, p. 75
  5. Lebra 1977, p. 24
  6. "Gen. Mohan Singh (INA) Joins Congress". Indian Daily Mail. 17 February 1947. મેળવેલ 16 May 2017.

સંદર્ભસૂચિ[ફેરફાર કરો]

  • "Mohan Singh, General, Soldiers Contnbution to Indian Independence Delhi, 1974"
  • Lebra, Joyce C. (1977), Japanese trained armies in South-East Asia, New York, Columbia University Press, ISBN 0-231-03995-6 .
  • Fay, Peter W. (1993), The Forgotten Army: India's Armed Struggle for Independence, 1942-1945., Ann Arbor, University of Michigan Press., ISBN 0-472-08342-2 .