સવિનય કાનૂનભંગની ચળવળ

વિકિપીડિયામાંથી
મીઠાના સત્યાગ્રહ સમયની એક સભામાં ગાંધીજી
ગાંધીજી સાથે ગફાર ખાન

અંગ્રેજ સરકારે મીઠા પર લગાડેલા કરના વિરોધમાં ગાંધીજીએ દાંડી યાત્રા અને મીઠાનો સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહ સવિનય કાનૂનભંગનો ભાગ હતો. દાંડી યાત્રાને અનુલક્ષીને દેશમાં ઠેર ઠેર સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ.

મીઠું બનાવીને કે ગેરકાયદેસર રીતે વેચાતું મીઠું ખરીદીને કરોડો લોકોએ સવિનય કાનૂનભંગની શરૂઆત કરી[૧]. ભારતના દરિયા કિનારે મીઠું ગેરકાયદેસર વેચાતું હતું. ગાંધીજી દ્વારા જાતે બનાવાયેલા મીઠાની ચપટી ૧૬૦૦ રૂપિયામાં તે જમાનામાં વેચાઈ હતી. તેના પ્રતિધાત રૂપે અંગ્રેજ સરકારે તે મહિનાના અંત સુધી ૬૦,૦૦૦ લોકોને અટકાયતમાં લીધા.[૨]

મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે શરૂ થયેલી ચળવળે એક વિશાળ આંદોલનનું સ્વરૂપ લીધું[૩]. આ સાથે બ્રિટિશ માલ અને કાપડનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય મધ્ય ભારતીય ક્ષેત્રમાં જંગલ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પોતાના પાક અને જમીન જપ્ત થવાની ધમકી હેઠળ ગુજરાતના ખેડૂતોએ કર ભરવાનો બંધ કર્યો. બંગાળના મિદનાપુરના લોકોએ ચોકીદાર કર ન ભરીને વિરોધ દર્શાવ્યો.[૪]. આને પરિણામે બ્રિટિશ સરકારે વધુ કડક કાયદા લાદ્યા. તેમણે પત્રાચારની ગુપ્તતા રદ્દ કરી અને મહસભા અને તેની સહાયક સંસ્થાઓને ગેરકાયદે જાહેર કરી. આવા કોઈ પણ દમનથી સવિનય કાનૂનભંગની ચળવળ અટકી નહી.[૫]

પેશાવરમાં મુસ્લીમ પશ્તુ જાતિના ગફાર ખાને ખુદાઈ ખિદમતગાર નામનું સંગઠન શરૂ કર્યું. તેમણે ૫૦,૦૦૦ અનુયાયીઓને સત્યાગ્રહની તાલિમ આપી.[૬] ૨૩ એપ્રિલ ૧૯૩૦ના દિવસે ગફારખાનની ધરપકડ થઈ. ખુદાઈ ખિદમતગારના અનુયાયીઓ પેશાવરના કિસ્સા કહાની બજારમાં જમા થયાં. બ્રિટિશ સરકારે સેના બોલાવીને નિશસ્ત્ર પ્રદર્શનકારીઓ ઉપર મશીનગનથી ગોળીબર કર્યો. જેમાં ૨૦૦-૨૫૦ લોકો માર્યા ગયા.[૭] પશ્તુન સત્યાગ્રહીઓ તેમને મળેલી તાલિમ અનુસાર અહિંસક રહ્યાં, અને શહીદ થયાં[૮]. બ્રિટિશ સેનાની એક ટુક્ડી રોયલ ગઢવાલ રેજીમેંટે નિશસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવવાની ના પાડી. આખી પલટનને સજા થઈ અમુકને જન્મ ટીપની સજા સુદ્ધાં થઈ.[૭]

જ્યારે ગાંધીજીએ ભારતના પશ્ચિમ દરિયા કિનારે સમાંતર દાંદી યાત્રા કરી ત્યારે સી. રાજગોપાલાચારીએ તેને સમાંતર એવી યાત્રા પૂર્વી કિનારે કરી હતી. તેમની યાત્રા તે સમયના મદ્રાસ પ્રેસીડેંસીના તીરુચિરાપલ્લીથી શરૂ થઈ ને વેદર્ન્યામ નામના ગામ સુધી ચાલી. ત્યાં તેમણે ગેરકાયદેસર મીઠું બનાવ્યું અને તેમની પણ ધરપકડ થઈ. સી. રાજગોપાલાચારી સ્વતંત્ર ભરતના સર્વ પ્રથમ ગવર્નર જનરલ બન્યાં હતાં[૯]

૧૯૩૦ના સવિનય કાનૂન ભંગની ચળવળ દરમ્યાન સ્ત્રીઓએ સર્વ પ્રથમ વખત મોટા પ્રમાણમાં ભાગ લીધો. ગામડા અને શહેરોની હજારો સ્ત્રીઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો[૧૦]. ગાંધીજીએ કહ્યું હતું કે માત્ર પુરુષોજ દાંડી યાત્રામાં ભાગ લઈ શકશે પણ અંતમાં મહિલાઓએ પણ મીઠું બનાવીને વેચવાનું શરૂ કર્યું. વયસ્ક પ્રખર ગાંધીવાદી ઉષા મહેતાએ કહ્યું હતું કે, "અમારી વૃદ્ધ કાકીઓ અને મોટી કાકી અને દાદીઓ સુદ્ધાં ખારા પાણીની બાલદીઓ ભરી લાવતાં અને ઘરે ગેરકાયદે મીઠું પકવતાં. અને તેઓ મોટા અવાજે સૂત્રો બોલતા: "અમે મીઠાનો કાયદો તોડ્યો!'"[૧૧] લોર્ડ ઈરવીનના મતે સ્વતંત્રતાની ચળવળમાં સ્ત્રીઓનો વધતો જતો સહભાગ એક નવો અને ગંભીર મુદ્દો હતો. મહિલાઓના સહભાગ વિષે પ્રસિદ્ધ થયેલા સરકારી અહેવાલમાં જણાવ્યું હતું, "હજારો મહિલાઓ તેમના ઘરના અંધરામાંથી ફૂટી નીકળી... તેઓ કોંગ્રસમાં જોડાઈ અને પીકેટિંગના કાર્યમાં સહાયતા કરવા લાગી અને તેમની હાજરીને કરણે પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી અસૌજન્ય પૂર્ણ લાગતી."[૧૨]

કલકત્તા, કરાંચી અને ગુજરાતમાં આ લડત હિંસક બની હતી. આ વખતે ગાંધીજી મક્કમ રહ્યા અને તેમણે અસહકારની ચળવળની જેમ અ ચળવળ પાછી ના ખેંચી. તેમણે લોકોને હિંસા છોડવાની સલાહ આપી. સાથે સાથે તેમણે ચિત્તગોંગ ઘટનામાં શહીદ થયેલા ક્રાંતિકારીઓના માતા-પિતાને તેમના પુત્રોએ આપેલા આદર્શ બલિદાન બદલ અભિનંદન આપ્યા હતાં અને કહ્યું હતું કે સૈનિકનું મૃત્યુ ક્યારેય દુ:ખનું કારણ ન હોવું જોઈએ[૧૩].

અંગ્રેજોના સરકારી અહેવાલ અનુસાર બ્રિટિશ સરકર આ સત્યાગ્રહથી હચમચી ગઈ હતી. આ ચળવળ અહિંસક હોવાને કારણે ગાંધીજીને કારાવાસમાં મોકલવા કે નહી તે મુદ્દે અંગ્રેજ સરકાર મૂંઝવણમાં હતી. જ્હોન કોર્ટ કરી નામના પોલીસ અધિકારીએ પોતાની યાદગિરીઓમાં લખ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસના ૧૯૩૦ના પ્રદર્શનકારીઓનો સામનો કરવાનો મોકો આવતો ત્યારે તેઓ ચક્કર ખાઈ જતાં. કરી અને વેજવુડ બેન જેવા અધિકારીઓ અહિંસક સત્યાગ્રહીઓ કરતાં હિંસક લડાઈ લડવાનું વધુ પસંદ કરતાં[૧૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gandhi & Dalton, 1996, p. 72
  2. Gandhi & Jack, 1994, p. 238-239
  3. "The Salt Satyagraha in the meantime grew almost spontaneously into a mass satyagraha." Habib, p. 57
  4. Habib, p. 57
  5. "Correspondence came under censorship, the Congress and its associate organizations were declared illegal, and their funds made subject to seizure. These measures did not appear to have any effect on the movement..." Habib, p. 57.
  6. Habib, p. 55.
  7. ૭.૦ ૭.૧ Habib, p. 56.
  8. Johansen, p. 62.
  9. Gandhi, Gopalkrishna. "The Great Dandi March — eighty years after", The Hindu, April 5, 2010
  10. "...first, it is from this year (1930) that women became mass participants in the struggle for freedom.... But from 1930, that is in the second non-cooperation movement better known as the Civil Disobedience Movement, thousands upon thousands of women in all parts of India, not just in big cities but also in small towns and villages, became part of the satyagraha struggle." Chatterjee, p. 41
  11. Hardiman, p. 113.
  12. ૧૨.૦ ૧૨.૧ Johnson, p. 33.
  13. Wolpert, 2001, p. 149