ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ

વિકિપીડિયામાંથી
ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ
આંગ્લ મરાઠા યુદ્ધો નો ભાગ
તિથિ નવેમ્બર ૧૮૧૭-ફેબ્રુઆરી ૧૮૧૮
સ્થાન આધુનિક મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો
પરિણામ અંગ્રેજોનો નિર્ણાયક વિજય
મરાઠા સામ્રાજ્યનો અંત;
ભારત પર અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કબ્જો
યોદ્ધા
મરાઠા સામ્રાજ્ય યુનાઇટેડ કિંગડમ બ્રિટિશ સામ્રાજ્ય
સેનાનાયક
બાપુ ગોખલે (પેશવા બાજી રાવ બીજાના સેનાધ્યક્ષ)
અપ્પા સાહેબ ભોંસલે
મલ્હારરાવ હોલકર ત્રીજા
ફ્રાન્સીસ રૉડન-હેસ્ટિંગ્સ
જ્હોન માલ્કમ
થોમસ હિઝલોપ
શક્તિ/ક્ષમતા
આશરે ૧,૦૦,૦૦૦ આશરે ૧,૧૦,૦૦૦

ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ (૧૮૧૭-૧૮૧૮) મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ આખરી અને નિર્ણાયક યુદ્ધ હતું. યુદ્ધના અંતે મોટાભાગનું ભારત કંપનીના કબ્જામાં જતું રહ્યું. યુદ્ધની શરુઆત અંગ્રેજ સૈનિકો દ્વારા મરાઠા વિસ્તાર પર હુમલા દ્વારા થઈ,[૧] જે ભારતમાં અંગ્રેજો હસ્તકની સૌથી મોટી સેના હતી. સૈન્યનું નેતૃત્વ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ (બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ સાથે કોઈ સંબંધ નથી)ના હાથમાં હતું અને તેમની સહાયમાં બીજી સેના જનરલ થોમસ હિઝલોપના નેતૃત્વ હેઠળ હતી. મુસ્લિમ ભાડૂતી સૈનિકો જે પિંડારી તરીકે ઓળખાતા હતા તેમની અને મરાઠાઓ વિરુદ્ધ કાર્યવાહીની શરુઆત મધ્ય ભારતમાંથી થઈ.[note ૧]

પેશવા બાજી રાવ બીજાનું સૈન્ય નાગપુરના મુધોજી બીજા ભોંસલે અને ઈંદોરના મલ્હારરાવ હોલકર ત્રીજાની સહાયથી આ દબાણ સામે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડવા ઉતર્યું. ગ્વાલિયરના દૌલતરાવ સિંદે દબાણ અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે રાજસ્થાન ગુમાવીને પણ તટસ્થ રહ્યા.

અંગ્રેજ વિજયો ઘણા ઝડપી હતા અને તેને કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું અને તેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. પેશવા ખડકીની લડાઈ અને કોરેગાંવની લડાઈમાં હારી ગયા. પેશવાને અંગ્રેજોના કબ્જામાંથી બચાવવા તેમના સૈન્યએ સંખ્યાબંધ નાની લડાઈઓ લડી.[૩]

આખરે પેશવા પકડાયા અને કાનપુર નજીક બિથુર ખાતે નાના મકાનમાં તેમને રાખવામાં આવ્યા. તેમનો મોટાભાગનો વિસ્તાર ખાલસા કરાયો અને તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. સાતારાના મહારાજાને તેમના વિસ્તારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા અને તેમનું રજવાડું અંગ્રેજ પ્રભુત્વ હેઠળ રહ્યું. ૧૮૪૮માં લોર્ડ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ આ પ્રદેશ પણ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બનાવાયો. ભોંસલે સિતાબુલદીની લડાઈમાં અને હોલકર મહિદપુરની લડાઈમાં હારી ગયા. ભોંસલેના વિસ્તારનો ઉત્તરી હિસ્સો અને નાગપુર અને આસપાસનો વિસ્તાર બુંદેલખંડ સાથે અંગ્રેજોના કબ્જામાં આવ્યો. ભોંસલે અને હોલકરની હારના પરિણામે અંગ્રેજોએ તેમના રાજ્યો પર પણ કબ્જો કર્યો. આ સિવાય શિંદે પાસેથી ગ્વાલિયર અને પેશ્વા પાસેથી ઝાંસી અંગ્રેજોએ લઈ લીધાં. આ તમામ વિસ્તારો રજવાડાં બન્યા અને અંગ્રેજોના પ્રભુત્વ હેઠળ આવ્યા. ખડકી, સિતાબુલ્દી, મહિદપુર, કોરેગાંવ અને સતારા ખાતે અંગ્રેજોના ત્વરિત વિજયના પરિણામે તેમની ભારતમાં યુદ્ધ લડવાની ક્ષમતાનું પ્રદર્શન થયું.[૪]

મરાઠા અને અંગ્રેજો[ફેરફાર કરો]

૧૮૦૫માં બીજા આંગ્લ-મરાઠા યુદ્ધ પછી ભારતનો નક્શો

મરાઠા સામ્રાજ્યની સ્થાપના ૧૬૭૪માં ભોંસલે રાજવંશના છત્રપતિ શિવાજીએ કરી હતી. આ સામ્રાજ્યના પ્રમુખ લક્ષણોમાં મરાઠી ભાષા, હિંદુ ધર્મ અને રાષ્ટ્રિયતા અને પોતાનું હોવાની લાગણી હતી.[૫] હિંદુઓને મુઘલ સામ્રાજ્ય અને બિજાપુરની સલ્તનતથી મુક્ત કરી અને હિંદુ શાસિત રાજ્યની સ્થાપના કરવા વિરોધિ સંઘર્ષ કર્યો હતો. મરાઠી ભાષામાં આ રાજ્ય હિન્દવી સ્વરાજ્ય (હિંદુ સ્વશાસન) નામે ઓળખાતું હતું. શિવાજીનું પાટનગર રાયગડ ખાતે હતું. શિવાજીએ પોતાના સામ્રાજ્યને મુઘલ સામ્રાજ્યના હુમલાઓથી સફળતાપૂર્વક સુરક્ષિત રાખ્યું હતું અને તે થોડા દાયકાઓમાં જ મુઘલો કરતાં આગળ નીકળી અને ભારતનું પ્રમુખ સત્તાકેન્દ્ર બન્યું. મરાઠા વહીવટના મુખ્ય લક્ષણોમાં આઠ મંત્રીઓનું મંડળ જે અષ્ટ પ્રધાન તરીકે ઓળખાતું હતું. આ મંડળના સૌથી અનુભવી સભ્ય પેશવા અથવા મુખ્ય પ્રધાન તરીકે ઓળખાતા હતા.

અંગ્રેજોની સત્તામાં વધારો[ફેરફાર કરો]

૧૮મી સદીની શરુઆતે જ્યારે મરાઠાઓ મુઘલ સાથે લડતા હતા ત્યારે અંગ્રેજો મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે નાની વ્યાપારી છાવણી ધરાવતા હતા. મે ૧૭૩૯માં જ્યારે મરાઠાઓએ વસઈ પાસે પોર્ટુગલના સૈન્યને હાર આપી તે નિહાળી અંગ્રેજોએ મુંબઈના વ્યાપારી મથકની કિલ્લેબંધી કરી. મરાઠાઓને મુંબઈથી બહાર રાખવા અંગ્રેજોએ રાજદૂત મોકલી અને સંધિ કરવા કોશિષ કરી. આ રાજદૂતો સફળ રહ્યા અને જુલાઈ ૧૨, ૧૭૩૯ના રોજ સંધિ કરાઈ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મરાઠા વિસ્તારમાં મફત વ્યાપાર કરવાની છૂટ મળી.[૬] દક્ષિણમાં હૈદરાબાદના નિઝામે મરાઠાઓ વિરુદ્ધના તેના યુદ્ધમાં ફ્રાન્સની મદદ લીધી હતી.[note ૨] તેની પ્રતિક્રિયા સ્વરુપે પેશવાએ અંગ્રેજોની મદદ માંગી પણ તેમણે ઇન્કાર કર્યો. અંગ્રેજોની વધતી સત્તા અને તાકાતનો તાગ મેળવવામાં નિષ્ફળ પેશવાએ મરાઠા સામ્રાજ્યના આંતરિક ઝઘડા ઉકેલવા વારંવાર અંગ્રેજોની સહાયનો આધાર લીધો.[૬] સહાયના અભાવ છતાં પાંચ વર્ષમાં મરાઠાઓએ નિઝામને હાર આપી.[૬]

૧૭૫૦થી ૧૭૬૧ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી અને ૧૭૯૩માં તેઓ પૂર્વમાં બંગાળમાં અને દક્ષિણમાં મદ્રાસમાં મજબૂત સ્થિતિમાં કબ્જો જમાવી ચૂક્યા હતા. તેઓ પશ્ચિમમાં મરાઠા સામ્રાજ્યને કારણે વિસ્તાર નહોતા કરી શક્યા, પણ તેઓ પશ્ચિમી કાંઠા પર સુરત ખાતે દરિયાઇ માર્ગે પ્રવેશ્યા હતા.[૬]

મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર થતાં તેઓએ સિંધુ નદી પાર કરી.[૬] વિશાળ મરાઠા સામ્રાજ્યના ઉત્તરી પ્રદેશોના વહીવટની જવાબદારી શિંદે અને હોલકર; બે મરાઠા સરદારોને સોંપાઈ હતી કારણ કે પેશવા દક્ષિણમાં વ્યસ્ત હતા.[૬] આ બંન્ને સરદારો તાલમેલથી નહોતા ચાલતા અને તેમની નીતિઓ ખાનગી હિતો અને આર્થિક જરુરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડાતી હતી. તેમણે અન્ય હિંદુ શાસકો જેમ કે રાજપૂત, જાટ અને રોહિલ્લા સાથે દુશ્મનાવટ ઉભી કરી હતી અને મુસ્લિમ શાસકોને રાજદ્વારી વાટાઘાટો વડે પોતાના પક્ષે કરવામાં નિષ્ફળ રહ્યા હતા.[૬] જાન્યુઆરી ૧૪, ૧૭૬૧ના રોજ અફઘાન અહમદ શાહ અબ્દાલી વિરુદ્ધ પાણીપતની ત્રીજી લડાઈ દરમિયાન મરાઠાઓને હાર મળી અને તેમણે નેતૃત્વની એક આખી પેઢી ગુમાવી જેને કારણે મરાઠા સામ્રાજ્યને મોટો ફટકો પડ્યો.[૬] જોકે, ૧૭૬૧ અને ૧૭૭૩ વચ્ચે મરાઠાઓએ ઉત્તરમાં ગુમાવેલ પ્રદેશો પરત મેળવી લીધા હતા.[૬]

આંગ્લ-મરાઠા સંબંધો[ફેરફાર કરો]

હોલકર અને શિંદેની વિરોધિ નીતિઓ અને પેશવાના પરિવારની આંતરિક ખટપટો જે ૧૭૭૩માં નારાયણ રાવ પેશવાની હત્યામાં પરિણમી, તેને કારણે મરાઠાઓએ ઉત્તરમાં મેળવેલ સિદ્ધિઓ નિષ્ફળ ગઈ.[૬] આ કારણોને લીધે મરાઠાઓ ઉત્તર ભારતમાંથી ગાયબ જ થયા. મરાઠાઓના આંતરિક ઝઘડાઓને કારણે રઘુનાથ રાવને પેશવા પદ પરથી દૂર કરાયા. તેણે અંગ્રેજોની મદદ માંગી અને તેમની વચ્ચે માર્ચ ૧૭૭૫માં સુરતની સંધિ થઈ.[૬] આ સંધિ હેઠળ પેશવાને અંગ્રેજોએ સૈન્ય સહાય કરી અને બદલામાં સાલસેત્તે ટાપુઓ અને વસઈનો કિલ્લો અંગ્રેજોના કબ્જામાં ગયો.[૬]

આ સંધિને કારણે શક્તિશાળી મરાઠાઓ સાથે સંઘર્ષની શક્યતા ઉભી થઈ, તેથી ભારતમાં અને યુરોપમાં તેના પર ચર્ચા થવા લાગી. અંગ્રેજો માટે અન્ય ચિંતાનો વિષય એ હતો કે મુંબઈની સમિતિએ પોતાની બંધારણીય સત્તાની ઉપરવટ જઈ અને સંધિ કરી હતી.[૬] આ સંધિને કારણે પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધની શરુઆત થઈ.[note ૩] આ યુદ્ધ લગભગ સ્થગિત અવસ્થામાં જ પરિણમ્યું અને કોઈ પક્ષ દુશ્મનને હાર ન આપી શક્યો.[૯] મહાડજી શિંદેની મધ્યસ્થતાથી મે ૧૭૮૨માં સાલબાઈની સંધિ થઈ અને યુદ્ધનો અંત આવ્યો. વૉરન હેસ્ટિંગ્સની દૂરંદેશીને કારણે અંગ્રેજો યુદ્ધમાં સફળ રહ્યા હતા. તેમણે અંગ્રેજ વિરોધિ જોડાણને તોડી અને શિંદે, ભોંસલે તેમજ પેશવા વચ્ચે ખટરાગ ઉભો કર્યો.[note ૪]

૧૭૮૬માં જ્યારે અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ ભારત આવ્યા ત્યારે મરાઠાઓ શક્તિશાળી હતા.[૬] સાલબાઈની સંધિ બાદ અંગ્રેજોએ ઉત્તરમાં સહવાસની નીતિ અપનાવી. ૧૧ વર્ષ પેશવા સવાઈ માધવરાવના દરબારમાં મંત્રીપદ સંભાળતા નાના ફડણવીસના રાજદ્વારી કુનેહને કારણે મરાઠા અને અંગ્રેજો વચ્ચે બે દાયકા કરતાં વધુ સમય સુધી શાંતિ જળવાઈ. ૧૮૦૦માં નાના મૃત્યુ બાદ પરિસ્થિતિ તુરંત જ બદલાઈ. હોલકર અને શિંદે વચ્ચે રાજકીય ખેંચતાણના પરિણામે પેશવાએ શિંદેનો પક્ષ લેતાં હોલકરે ૧૮૦૧માં પુના ખાતે પેશવા પર હુમલો કર્યો. પોતાની સલામતી જાળવવા માટે પેશવા બાજી રાવ બીજા નાશી અને અંગ્રેજ યુદ્ધજહાજનો આશરો લીધો. પેશવાને પોતાની સત્તાનો ક્ષય થવાનો ભય હતો અને આથી તેમણે વસઈની સંધિ પર હસ્તાક્ષર કર્યા. તેને કારણે પેશવા અંગ્રેજોના પ્રભુત્વ હેઠળના મિત્ર રાજવી બન્યા.

સંધિની પ્રતિક્રિયા સ્વરુપે ભોંસલે અને શિંદે એ પેશવા દ્વારા તેમના સાર્વભૌમત્વની શરણાગતિ સ્વીકારવા ઇનકાર કર્યો અને અંગ્રેજો ઉપર હુમલો કર્યો. ૧૮૦૩માં બીજા આંગ્લ-મરાઠા યુદ્ધની આ શરુઆત હતી. આ બંને મરાઠા સરદારોને અંગ્રેજોએ હાર આપી અને તમામ મરાઠા સરદારોએ મોટા વિસ્તારો અંગ્રેજોને સોંપવા પડ્યા.[૯]

અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની[ફેરફાર કરો]

અંગ્રેજોએ હજારો કિમીનો પ્રવાસ કરી અને ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે ભારતીયો સાથે કાર્ય કરવા માટે ભારતની ભૂગોળ અને સ્થાનિક ભાષાઓનો અભ્યાસ કર્યો હતો.[note ૫] તે સમયે, અંગ્રેજો તકનિકી દૃષ્ટિએ આગળ પડતા હતા અને અનેક મહત્વના ક્ષેત્રોમાં તેમના ઓજારો સ્થાનિક ઓજારો કરતાં વધુ ગુણવત્તા ધરાવતા હતા. છાબરાના વિશ્લેષણ અનુસાર અંગ્રેજો તકનિકી દૃષ્ટિએ આગળ પડતા ન હોત તો પણ તેમના સૈનિકોની શિસ્ત અને સંગઠનના કારણે તેઓ સફળ રહેત.[૧૨] પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ બાદ ૧૭૮૩માં વૉરન હેસ્ટિંગ્સે જાહેરાત કરી કે મરાઠાઓ સાથે સ્થપાયેલ શાંતિ એટલી મજબૂત છે કે તે આવનાર વર્ષોમાં ટકી રહેશે.[૬]

અંગ્રેજોના મત અનુસાર પુના ખાતે પેશવાના દરબાર સાથે સતત સંપર્ક જળવાઈ રહે તે રીતની નવી નીતિની જરુર હતી. અંગ્રેજોએ સ્થાનિક ભાષા અને રીતરિવાજોની જાણકારી ધરાવતા મુંબઈ સ્થિત અંગ્રેજ વ્યાપારી ચાર્લ્સ માલેટને પેશવા દરબારમાં કાયમી રાજદૂત તરીકે નીમ્યા.[૬]

પ્રસ્તાવના[ફેરફાર કરો]

બીજું આંગ્લ-મરાઠા યુદ્ધને કારણે મરાઠા સામ્રાજ્યની તાકાતનો કેટલાક અંશે ક્ષય થયો હતો.[૧૨] સૈન્યના આધુનિકીકરણની કોશિષો શિસ્ત વિનાની અને અધૂરા મનથી કરાતી હતી: જૂની તકનિકો અને અનુભવ કાળગ્રસ્ત થયા હતા જ્યારે નવી તકનિકો અપનાવવામાં સૈનિકો સક્ષમ નહોતા.[૧૨] મરાઠા સામ્રાજ્ય પાસે કાર્યક્ષમ જાસુસીતંત્રનો અભાવ હતો અને અંગ્રેજોની સાપેક્ષ રાજદ્વારી ક્ષમતાઓ નબળી હતી. મરાઠા તોપખાનું જૂનું હતું અને હથિયારોની આયાત કરાતી હતી. આયાતી બંદૂકો ચલાવવા માટે વિદેશી અધિકારીઓ નિયુક્ત કરાયા હતા અને આ માટે મરાઠા સૈનિકોનો ઉપયોગ ક્યારેય નહોતો કરાયો. જોકે વેલિંગ્ટન જેવા કેટલાક નિષ્ણાતોએ મરાઠા પાયદળની પ્રશંસા કરી હતી પણ તેનું નેતૃત્વ નબળી ગુણવત્તાનું હતું અને પિંડારી જેવા ભાડુતી સૈનિકો પર તે બહુ આધાર રાખતું. સામ્રાજ્યમાં ઉભા થયેલ સંઘીય ઢાંચાને કારણે યુદ્ધ સમયે જરુરી એકતાનો અભાવ હતો.[૧૨]

માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટોન

યુદ્ધ સમયે અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વધુ બળવાન બની રહી હતી જ્યારે મરાઠા સામ્રાજ્ય પતન તરફ આગળ વધી રહ્યું હતું. અંગ્રેજોનો આગલા આંગ્લ-મરાઠા યુદ્ધમાં પણ વિજય થયો હતો.તત્કાલીન પેશવા બાજી રાવ બીજા હતા. સંખ્યાબંધ મરાઠા સરદારો જે અગાઉ પેશવાના પક્ષે હતા તેઓ હવે અંગ્રેજ પ્રભુત્વ હેઠળ તેમના પક્ષે હતા. અંગ્રેજો અને વડોદરાના ગાયકવાડ રાજવંશ વચ્ચે પેશવા વડોદરા હસ્તકના પ્રદેશોમાંથી મહેસુલ એકત્ર ન કરી શકે તે પ્રકારની ગોઠવણ હતી. ગાયકવાડે મહેસુલ એકત્ર કરવાની બાબતમાં ઉભો થયેલ મતભેદ દૂર કરવા પુના ખાતે પેશવાના દરબારમાં પ્રતિનિધિ ગંગાધર શાસ્ત્રીને રવાના કર્યા હતા. ગંગાધર શાસ્ત્રી અંગ્રેજોના રક્ષણ હેઠળ હતા. તેમનું ખૂન થયું અને આ અપરાધની શંકા પેશવાના મંત્રી ત્રિંબક ડેંગલે પર આવી.

આ તકનો લાભ લઈ અંગ્રેજોએ પેશવાને સંધિ માટે મજબુર કર્યા.[૧૩] જૂન ૧૩, ૧૮૧૭ના રોજ પુનાની સંધિ પર હસ્તાક્ષર થયા. પેશવા માટેની મુખ્ય શરતોમાં ડેંગલેના અપરાધની કબૂલાત, ગાયકવાડ પરના હક્કને જતો કરવો અને અંગ્રેજોને મોટો વિસ્તાર સોંપવો હતી. તે વિસ્તારોમાં ડેક્કન અને કોંકણના દરિયાકિનારા પરના અતિ મહત્ત્વના વિસ્તારો હતા, નર્મદાની ઉત્તરે અને તુંગભદ્રાની દક્ષિણે રહેલ તમામ વિસ્તાર હતો. વધુમાં, પેશવાએ ભારતમાં અન્ય કોઈ સત્તાકેન્દ્ર સાથે સંપર્ક નહોતો રાખવાનો.[૧૨] અંગ્રેજ પ્રતિનિધિ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને પેશવાને તેમનું અશ્વદળ વિખેરી નાખવા પણ જણાવ્યું.[૧૩]

મરાઠાઓની રણનીતિ[ફેરફાર કરો]

રાયગડ કિલ્લામાં સ્થિત પૌરાણિક મહેલનાં ખંડેરો

પેશવાએ પોતાનું અશ્વદળ વિખેરી નાખ્યું પરંતુ ખાનગીમાં તેમને ગુપ્ત આદેશ આપી તૈયાર રહેવા જણાવ્યું અને સાત મહિનાનો પગાર અગાઉથી જ આપી દીધો.[૧૩] બાજી રાવે યુદ્ધની તૈયારીની જવાબદારી બાપુ ગોખલેને સોંપી.[૧૪] ઓગષ્ટ ૧૮૧૭માં પેશવાએ સિંહગઢ, રાયગડ અને પુરંદર ખાતેના કિલ્લાઓને મજબૂત કર્યા.[૧૪] ગોખલે એ આવનાર યુદ્ધ માટે ગુપ્ત રીતે સૈનિકોની ભરતીની શરુઆત કરી.[૧૪] ભીલ અને રામોશી સમુદાયના લોકોને સૈનિકો તરીકે રોકવામાં આવ્યા. ભોંસલે, શીંદે અને હોલકરને સંયુક્ત મોરચો બનાવવા સમજાવવા માટે કોશિષ કરવામાં આવી. પિંડારી તરીકે ઓળખાતા ભાડુતી સૈનિકોને પણ સાધવામાં આવ્યા.[૧૪] અંગ્રેજ દૂત એલ્ફિન્સ્ટનની નોકરીમાં રહેલ નારાજ મરાઠાઓને પેશવાએ ખાનગી રીતે પોતાના સૈન્યમાં ભરતી કર્યા. તેવા એક વ્યક્તિ જશવંત રાવ ઘોરપડે હતા. ખાનગી રીતે યુરોપી લોકોને પણ ભરતી કરવા કોશિષ કરવામાં આવી પણ તે નિષ્ફળ રહી.[૧૪] બાલાજી પંત નાટુ જેવા કેટલાક લોકો અંગ્રેજો સાથે અડગ રહ્યા.[૧૪] સંખ્યાબંધ સૈનિકોએ પેશવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો,[૧૪] અને અન્યોએ આ બાબત તેમના ઉપરી અધિકારીઓને જણાવી.[૧૪] ઓક્ટોબર ૧૯, ૧૮૧૭ના રોજ બાજી રાવ બીજાએ પુના ખાતે દશેરાના તહેવારની ઉજવણી કરી અને તેમાં મોટી સંખ્યામાં સૈનિકો એકઠા કર્યા.[૧૩] ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં મરાઠા અશ્વદળે અંગ્રેજ સૈનિકો તરફ ધસી અને હુમલાનો ઢોંગ કર્યો પણ આખરી ક્ષણે દિશા બદલી નાંખી. આ પ્રદર્શન એલ્ફિન્સ્ટનના અપમાન[૧૪] અને અંગ્રેજ સિપાઇઓને ડરાવી અને પેશવાના પક્ષે પક્ષપલટો કરી આવવા દબાણ ઉભું કરવાના હેતુથી કરાયું હતું.[૧૪] પેશવાએ ગોખલેના વિરોધ છતાં એલ્ફિન્સ્ટનનું ખૂન કરવા ષડયંત્ર રચ્યું હતું. ઘોરપડે અને બાલાજી પંત નાટુના જાસૂસી કાર્યને કારણે એલ્ફિન્સ્ટન આ તમામ બાબતોથી જાણકાર હતા.[૧૩]

બર્ટનના અંદાજ અનુસાર વિવિધ મરાઠા રાજ્યોની ૧૮૧૭ની તાકાતમાં કુલ ૮૧,૦૦૦ પાયદળ, ૧,૦૬,૦૦૦ અશ્વદળ અને ૫૮૯ તોપો હતી. તેમાં પેશવા સૌથી શક્તિશાળી હતા અને તેઓ ૨૮,૦૦૦ અશ્વદળ, ૧૪,૦૦૦ પાયદળ અને ૩૭ તોપો ધરાવતા હતા. પેશવાનું મુખ્યાલય પુના હતું જે તમામ મરાઠા રાજ્યોમાં સૌથી દક્ષિણે હતું. હોલકર પાસે ૨૦,૦૦૦ અશ્વદળ, ૮,૦૦૦ પાયદળ અને ૧૦૭ તોપો હતી. શીંદે અને ભોંસલે પાસે લગભગ સમાન સંખ્યામાં પાયદળ અને અશ્વદળ હતા જેમાં અનુક્રમે ૧૫,૦૦૦ અને ૧૬,૦૦૦ અશ્વદળ અને ૧૬,૦૦૦ અને ૧૮,૦૦૦ પાયદળ હતા. શીંદે પાસે ૧૪૦ તોપો જ્યારે ભોંસલે પાસે ૮૫ તોપો હતી. હોલકર, શીંદે અને ભોંસલે અનુક્રમે ઈંદોર, ગ્વાલિયર અને નાગપુર ખાતે મુખ્યાલય ધરાવતા હતા. રાજપુતાના ટોંક ખાતે સ્થિત અફઘાન સરદાર અમીર ખાન ૧૨,૦૦૦ અશ્વદળ, ૧૦,૦૦૦ પાયદળ અને ૨૦૦ તોપો ધરાવતો હતો.[૧૫][૧][૧૬] નર્મદાની ઉત્તરે મધ્ય ભારતના ચંબલ અને માળવા પ્રદેશોમાં પિંડારીઓ સ્થિત હતા. સેતુ, કરીમ ખાન અને દોસ્ત મોહમ્મદ નામના ત્રણ પિંડારી નેતાઓએ શીંદેનો સાથ આપ્યો. તેઓ મુખ્યત્વે અશ્વદળ ધરાવતા હતા અને અનુક્રમે ૧૦,૦૦૦, ૬૦૦૦ અને ૪૦૦૦ સૈનિકો ધરાવતા હતા. આ સિવાયના તુલસી, ઇમામ બક્ષ, સાહિબ ખાન, કાદિર બક્ષ, નાથુ અને બાપુ નામક બાકીના તમામ પિંડારી સરદારો હોલકર સાથે જોડાયા હતા. તુલસી અને ઇમામ બક્ષ બંને પાસે ૨૦૦૦ અશ્વદળ, કાદિર બક્ષ ૨૧,૫૦૦ અશ્વદળ ધરાવતા હતા. સાહિબ ખાન, નાથુ અને બાપુ અનુક્રમે ૧,૦૦૦, ૭૫૦ અને ૧૫૦ અશ્વદળ ધરાવતા હતા.[૧૩]

શરુઆત[ફેરફાર કરો]

રિચાર્ડ વેલેસ્લી, વેલેસ્લીના પ્રથમ માર્કિ

પેશવા હસ્તકનો વિસ્તાર દેશા નામે ઓળખાતા પ્રદેશમાં હતો જે આધુનિક મહારાષ્ટ્રનો ભાગ છે. તે વિસ્તારમાં કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના ખીણપ્રદેશો અને સહ્યાદ્રિ પર્વતમાળાના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો. શીંદેનો ગ્વાલિયર અને બુંદેલખંડ આસપાસનો વિસ્તાર નાની ટેકરીઓ અને ફળદ્રુપ ખીણપ્રદેશોનો હતો જે ઉત્તર ભારતના ગંગાના મેદાન પ્રદેશ તરફ ઢોળાવ ધરાવતો હતો. પિંડારીઓનો વિસ્તાર ચંબલ ખીણો અને જંગલોનો પ્રદેશ હતો જે આધુનિક ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશનો ભાગ છે. તે પ્રતિકુળ હવામાન ધરાવતો પહાડી વિસ્તાર હતો. પિંડારીઓ વિંધ્યાચળની ઉત્તરે આવેલ માળવા પ્રદેશમાં પણ વર્ચસ્વ ધરાવતા હતા. હોલકર નર્મદા ખીણના ઉપરવાસમાં સ્થિત હતા.[૧૭]

આ યુદ્ધ અગાઉના આંગ્લ-મરાઠા યુદ્ધ બાદ અંગ્રેજોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખતાં અધુરી મુકાયેલ કાર્યવાહી પૂર્ણ કરવાની કાર્યવાહી હતી.[૪] યુદ્ધની શરુઆત પિંડારી વિરુદ્ધના અભિયાન તરીકે થઈ.[૧૮] અંગ્રેજોને પિંડારીઓ જોડે લડતા જોઈ અને પેશવાના સૈન્યએ અંગ્રેજો પર નવેમ્બર ૫, ૧૮૧૭ના રોજ સાંજે ૪ વાગ્યે હુમલો કર્યો. મરાઠા સૈન્યમાં ૨૦,૦૦૦ અશ્વદળ, ૮૦૦૦ પાયદળ અને ૨૦ તોપો હતી[૧૩] જ્યારે અંગ્રેજોના પક્ષે ૨,૦૦૦ અશ્વદળ, ૧,૦૦૦ પાયદળ અને આઠ તોપો હતી.[૧૩] મરાઠા પક્ષે પાર્વતી ટેકરી પર પેશવાના રક્ષણ માટે વધારાના ૫,૦૦૦ અશ્વદળ અને ૧,૦૦૦ પાયદળ મોજુદ હતા. અંગ્રેજ સૈન્યમાં કેપ્ટન ફોર્ડની પલટણ પણ સામેલ હતી જે તે સમયે દાપોડી થી ખડકી તરફ આવી રહી હતી.[૧૩] અંગ્રેજોએ જનરલ સ્મીથને પણ ખડકી પહોંચવા આદેશ આપ્યો હતો પણ તે યુદ્ધક્ષેત્ર સુધી સમયસર પહોંચે તેવી અંગ્રેજોને ધારણા નહોતી.[૧૩]

તે પ્રદેશમાં ત્રણ ટેકરીઓ હતી જેમાં પાર્વતી ટેકરી, ચતુરશૃંગી ટેકરી અને ખડકી ટેકરીનો સમાવેશ થતો હતો. પેશવાએ લડાઈ પાર્વતી ટેકરી પરથી નિહાળી જ્યારે અંગ્રેજ સૈન્ય ખડકી ટેકરી પર સ્થિત હતું.[૧૩] બંને ટેકરીઓ વચ્ચે ચાર કિમીનું અંતર હતું. મુલા નદીનું વહેણ સાંકડું અને છીછરું હતું માટે તે અનેક જગ્યાઓએથી ઓળંગી શકાય તેમ હતી.[૧૩] નદીમાં કેટલાક નાળાં વિલીન થતા હતાં પણ તે અડચણરુપ નહોતા અને કેટલાક ઝાડીઓને કારણે દેખાતા નહોતાં.[૧૩]

મરાઠા સૈન્યમાં રોહિલ્લા, રાજપુત અને મરાઠા સમુદાયના સૈનિકો હતા. તેમાં ડે પિન્ટો નામક અધિકારીના નેતૃત્વ હેઠળ કેટલાક પોર્તુગાલી સૈનિકો પણ હતા.[૧૩] મરાઠા સૈન્યની ડાબી પાંખનું નેતૃત્વ મોરોપંત દિક્ષિત અને રાસ્તેના હાથમાં હતું અને તે સપાટ જમીન પર ગોઠવાયેલી હતી. તે સ્થળ પર હાલમાં પુના વિશ્વવિદ્યાલય સ્થિત છે.[૧૩] કેન્દ્ર બાપુ ગોખલેના અને જમણી પાંખ વિંચુરકરના નેતૃત્વ હેઠળ હતી. અંગ્રેજ સૈન્યએ કૂચની શરુઆત નવેમ્બર ૧, ૧૮૧૭ના રોજ કર્નલ બરની પલટણ દ્વારા કરી.[૧૩] અંગ્રેજ સૈન્યના ડાબી પાંખ અને કેન્દ્ર વચ્ચે જગ્યા ઉભી કરી અને તેનો મરાઠાઓએ શરુઆતમાં ફાયદો ઉઠાવવામાં સફળતા મેળવી. આ સફળતાનો ફાયદો ન મળી શક્યો કેમ કે મરાઠા અશ્વદળ એક છૂપા નાળાને કારણે અસ્તવ્યસ્ત બન્યું અને બાપુ ગોખલેનો ઘોડો ગોળીબારમાં મૃત્યુ પામ્યો. તે જ સમયે મોરોપંત દિક્ષિતને ગોળી વાગતાં તેઓ મૃત્યુ પામ્યા અને મરાઠા સૈન્ય ટૂંક સમય માટે નેતૃત્વ વિહોણું બન્યું. અંગ્રેજ પાયદળની આગેકૂચ સતત ચાલુ રહી અને તેણે સતત ગોળીબાર ચાલુ રાખ્યો. તેને કારણે મરાઠા અશ્વદળે માત્ર ચાર કલાકમાં પીછેહઠ કરવી પડી. અંગ્રેજોએ ટૂંક સમયમાં વિજયી હોવાની ઘોષણા કરી. આ લડાઈમાં અંગ્રેજ પક્ષે ૮૬ સૈનિકો મૃત્યુ પામ્યા જ્યારે મરાઠા પક્ષે આશરે ૫૦૦.[૧૯][૧૨]

પિંડારી[ફેરફાર કરો]

બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ બાદ શીંદે અને હોલકરે મોટા વિસ્તારો અંગ્રેજોને હવાલે કર્યા હતા. તેમણે પિંડારીઓને અંગ્રેજ વિસ્તારમાં છાપામાર હુમલા કરવા પ્રોત્સાહન આપ્યું હતું.[૧૩] હારેલા મરાઠા સરદારો પાસેથી આશ્રય મેળવતા પિંડારીઓ અનુક્રમે શીંદેશાહી અને હોલકરશાહી નામે ઓળખાતા હતા.[૧૩] પિંડારી સરદાર સેતુ, કરીમ ખાન અને દોસ્ત મોહમ્મદ શીંદેશાહી હતા અને બાકીના હોલકરશાહી.[૧૩] ૧૮૧૪માં આશરે ૩૩,૦૦૦ પિંડારી હતા.[૧૩] તેઓ મધ્ય ભારતમાં વારંવાર ગામો પર છાપામાર હુમલા કરતા. તેને કારણે મધ્ય ભારતમાં લોકો પોતાને ખેતી દ્વારા નિભાવી શકવા અસમર્થ બનવા લાગ્યા હતા અને અંતે લૂંટ અને ચોરી જેવા ગુનાઓ તરફ વળતા હતા.[૨૦] ૧૮૧૫માં આશરે ૨૫,૦૦૦ પિંડારીઓ મદ્રાસ પ્રાંતમાં પ્રવેશ્યા અને કોરોમંડલ તટ પર છાપામાર હુમલો કરી ૩૦૦ ગામો લૂંટ્યા. બીજી ટોળીએ નિઝામના રાજ્ય પર હુમલો કર્યો અને ત્રીજીએ માલાબાર તટ પર. ૧૮૧૬ અને ૧૮૧૭માં વધુ અંગ્રેજ વિસ્તારમાં તેમણે હુમલા કર્યા. ફ્રાન્સીસ રૉડન-હેસ્ટિંગ્સના મત અનુસાર પિંડારીઓને ખતમ ન કરવામાં આવે ત્યાં સુધી ભારતમાં સંપૂર્ણ શાંતિ નહિ સ્થપાય.[૨૧]

અંગ્રેજોની યોજના[ફેરફાર કરો]

પિંડારી વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી અને તેમને આમનેસામનેની લડાઈમાં ઉતારવા એ શક્ય નહોતું. પિંડારીઓને સફળતાપૂર્વક ખતમ કરવા તેમને ભાગી ન શકે તે રીતે ઘેરવા એ જ માર્ગ હતો.[૨૧] ફ્રાન્સીસ રૉડન-હેસ્ટિંગ્સે પ્રમુખ મરાઠા સરદારો સાથે વાટાઘાટ થાય તે દરમિયાન જ પિંડારી વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગ્રેજો પાસેથી પરવાનો મેળવ્યો.[૨૦] પિંડારીઓને લગભગ તમામ મરાઠાઓની સહાનુભૂતિ ઉપલબ્ધ હતી. ૧૮૧૭માં રૉડન-હેસ્ટિંગ્સે ભારતમાં તે સમય સુધી અંગ્રેજ દ્વારા ઉતારાયેલ સૌથી બળવાન સૈન્ય એકઠું કર્યું જેમાં આશરે ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા. તેને બે ભાગમાં વહેચ્યું જેમાં ઉત્તરમાં પોતાના નેતૃત્વ હેઠળ સૈન્ય હતું જ્યારે દક્ષિણમાં જનરલ હિઝલોપના નેતૃત્વમાં.[૧] અંગ્રેજોની યોજના અનુસાર હોલકર, શીંદે અને અમીર ખાન સાથે સંબંધો સામાન્ય કરવા. તે ત્રણે પોતાના વિસ્તારમાં પિંડારીઓને શરણ આપતા હતા. શીંદે પેશવા અને નેપાલ સાથે અંગ્રેજો વિરુદ્ધ જોડાણ માટે ગુપ્ત મંત્રણા ચલાવી રહ્યા હતા. તેમનો નેપાલ સાથેનો પત્રવ્યવહારને આંતરી અને તેમની સામે દરબારમાં રજૂ કરવામાં આવ્યો.[૨૧] તેમને સંધિ કરવા ફરજ પડી અને તેની શરત મૂજબ તેમણે અંગ્રેજોને પિંડારીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સહાયની ખાતરી આપી અને પોતાના વિસ્તારમાં વધુ પિંડારી ટુકડીઓ ભવિષ્યમાં ન બનાવવા પણ બાંહેધરી આપી. રાજદ્વારી વાટાઘાટો, દબાણ અને સંધિને કારણે શીંદે યુદ્ધની બહાર રહ્યા. અમીર ખાને ટોંકમાં પોતાના રાજ્યની ખાતરીના બદલામાં પોતાનું સૈન્ય વિખેરી નાખ્યું. તેણે પોતાની તોપો અંગ્રેજોને વેંચી દીધી અને પિંડારીઓને પોતાના વિસ્તારમાં શરણ ન આપવા ખાતરી આપી.[૨૧] હવે યુદ્ધ માટે બંગાળ સૈન્યમાં ૪૦,૦૦૦ સૈનિકો હતા અને દક્ષિણના સૈન્યમાં ૭૦,૪૦૦ સૈનિકો. ઉત્તરી અથવા બંગાળ સૈન્યને ત્રણ ડિવિઝન અને અનામત ટુકડીમાં વહેંચવામાં આવ્યું. ડાબી ડિવિઝન મેજર જનરલ માર્શલ, મધ્યની રૉડન-હેસ્ટિંગ્સ અને અનામત જનરલ ઓક્ટરલોનીના નેતૃત્વ હેઠળ હતી.[૧] દક્ષિણના સૈન્યમાં પાંચ ડિવિઝન હતી. તેમનું નેતૃત્વ જનરલ હિઝલોપ, બ્રિગેડિયર ડોવટન, જનરલ માલ્કમ, બ્રિગેડિયર સ્મીથ અને લેફ્ટનન્ટ કર્નલ એડમ્સના હસ્તક હતું. આમ બંને સૈન્યમાં કુલ ૧,૧૦,૪૦૦ સૈનિકો હતા.[૧] વધુમાં મદ્રાસ અને પુનાના દૂતો પાસે બે પલટણો અને એક તોપચી દળ હતું. મદ્રાસમાં ૬ઠી બંગાળ અશ્વદળના કેટલાક સૈનિકો પણ હતા.[૧૬] ઓક્ટોબર અને નવેમ્બરની શરુઆતે ઉત્તરના સૈન્યએ એક ડિવિઝન સિંધ, બીજી ચંબલ અને ત્રીજી પૂર્વ નર્મદાના વિસ્તારમાં મોકલી અને અનામત વડે અમીર ખાન પર દબાણ ઉભું કરાયું. પ્રથમ અને બીજી ડિવિઝન વડે શીંદેને તેના મિત્રોથી સંપર્ક વિહોણ કરી દેવાયા. આમ, તેમને અને અમીર ખાનને સંધિ કરવા ફરજ પાડવામાં આવી.[૧૬]

દક્ષિણના સૈન્યની પ્રથમ અને ત્રીજી ડિવિઝનને હર્દા ખાતે નર્મદાના ખીણ પ્રદેશ પર કબ્જો જાળવી રાખવા નિયુક્ત કરાઈ. બીજી ડિવિઝનને બેરાર ઘાટો પર નજર રાખવા મલકાપુર ખાતે તૈનાત કરાઈ. ચોથી ડિવિઝને ખાનદેશ તરફ કૂચ કરી અને પુના અને અમરાવતી વચ્ચેનો વિસ્તાર કબ્જે કર્યો. પાંચમી ડિવિઝન હોશંગાબાદ ખાતે અને અનામત ડિવિઝન ભીમા અને કૃષ્ણા નદી વચ્ચેના પ્રદેશમાં ગોઠવવામાં આવી.[૧૬]

પિંડારીઓ પર હુમલો[ફેરફાર કરો]

પિંડારીઓ પર યોજનાબદ્ધ રીતે હુમલો કરવામાં આવ્યો. તેમનાં ઘરોને ઘેરી અને તેમનો નાશ કરવામાં આવ્યો. જનરલ હિઝલોપે મદ્રાસ પ્રાંતમાંથી હુમલો કરી અને તેમને નર્મદાને પાર ધકેલી દીધા જ્યાં ગવર્નલ જનરલ રૉડન-હેસ્ટિંગ્સ પોતાના સૈન્ય સાથે તૈયાર હતા.[૨૨] કરીમ ખાને અંગ્રેજો પાસે શરણાગતિ સ્વીકારી અને તેને ગોરખપુર પાસે જમીન આપવામાં આવી.[૨૩] મધ્ય ભારતથી બહાર તરફના મુખ્ય માર્ગો પર અંગ્રેજ ટુકડીઓનો કબ્જો હતો. પિંડારી સૈન્ય સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયું અને એક જ અભિયાનમાં તે તૂટી ગયું. તેણે શિસ્તબદ્ધ સૈન્ય વિરુદ્ધ એકપણ લડાઈ ન લડી અને તે નાની ટુકડીઓમાં પણ ઘેરો ઘાલેલા સૈન્યની ગોઠવણીને પાર ન કરી શક્યા. સમગ્ર પ્રદેશમાં પિંડારીઓ વિખેરાઈ ગયા. પિંડારી સરદારો ભાગેડુ ગુનેગાર માત્ર બની ગયા. પિંડારીઓએ મરાઠાઓ પાસે સહાયની આશા રાખી પણ તેમાંથી કોઈએ તેમના પરિવારોને પણ આશરો આપવા હિંમત ન બતાવી. કરીમ અને સેતુ પાસે હજુ ૨૩,૦૦૦ સૈનિકો હતા પણ તેઓ તેમને ઘેરીને તૈનાત સૈન્યના મુકાબલે કંઈ નહોતા. તે કોઈપણ દિશામાં જતા હતા અંગ્રેજ સૈન્યનો સામનો થતો હતો. હાર ઉપર હારના અંતે એક ટુકડી તેમનો તમામ સામાન છોડી અને દક્ષિણમાં નાશી છૂટવામાં સફળ થઈ. ઘણા જંગલોમાં ભાગ્યા અને ત્યાં માર્યા ગયા. અન્યોએ ગામોમાં આશ્રય લીધો જ્યાં તેમની સાથે છાપામાર હુમલાનો બદલો લેવા ગામલોકોએ મારી નાખ્યા.[૨૨] પિંડારી સરદારો કરીમ ખાન અને વલી મોહમ્મદ મહીદપુરની લડાઈ દરમિયાન પોતાના ડેરા સાથે મોજૂદ હતા. આ સમય સુધીમાં મરાઠા સરદારોની તાકાતમાં ઘણો ઘટાડો થયો હતો અને તેથી સેતુ અને અન્ય સરદારો વિરુદ્ધ અભિયાનને નવો વેગ આપવામાં આવ્યો. ફેબ્રુઆરીના અંત પહેલાં તમામ સરદારોએ શરણાગતિ સ્વીકારી હતી અને પિંડારી પ્રથા અને સત્તાકેન્દ્ર નાબુદ થયાં. તેમને ગોરખપુર ખાતે જમીન આપવામાં આવી. કરીમ ખાનને ગંગાના કિનારે ગોરખપુરમાં જમીન મળતાં તે ખેડુત બન્યા. વલી મોહમ્મદે નાશી છૂટવા પ્રયાશ કર્યો જેના અંતે ધરપકડ થતાં ઝેર ખાઈ તેણે આત્મહત્યા કરી.[૨૪] સેતુ, જે જાટ સમુદાયના હતા,[૨૫] તેમને જ્હોન માલ્કમ દ્વારા સતત શોધવામાં આવ્યો અને જ્યારે કોઈ સાથી ન બચ્યા ત્યારે ૧૮૧૯માં તે મધ્ય ભારતના જંગલોમાં અદૃશ્ય બન્યો[૨૧] અને તેને વાઘ દ્વારા મારી નંખાયા.[૨૩][note ૬]

પેશવાનું પલાયન[ફેરફાર કરો]

એલ્ફિન્સ્ટનના હુકમ અનુસાર જનરલ સ્મિથ પુના પાસે યરવડા ખાતે ૧૩ નવેમ્બરના રોજ પહોંચ્યા.[૧૩] સ્મિથ અને તેમના સૈનિકોએ ૧૫ નવેમ્બરના રોજ નદી ઓળંગી અને ઘોરપડી ખાતે ગોઠવાયા. ૧૬ નવેમ્બરની શરુઆતે મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે લડાઈની શરુઆત થઈ. મરાઠા સૈન્યનું નેતૃત્વ કરી રહેલ પુરન્દરે, રાસ્તે અને બાપુ ગોખલે અંગ્રેજ સૈન્ય પર કૂચ કરવા તૈયાર હતા પણ પેશવા અને તેમના ભાઈ પુરન્દર તરફ નાશી ગયા હોવાના ખબર મળતાં તેમનું મનોબળ તૂટી ગયું. મુળા અને મુઠા નદીના સંગમ પાસે ૫,૦૦૦ સૈનિકો વિંચુરકરના નેતૃત્વ હેઠળ તૈનાત હતા પણ તેઓએ કોઈ કાર્યવાહી કરી નહિ. બાપુ ગોખલે એ પેશવાની સુરક્ષા માટે લડતાં લડતાં પીછેહઠ કરી. બીજે દિવસે સ્મિથ પુના તરફ આગળ વધ્યા અને તેમને જાણકારી મળી કે પેશવા સતારા તરફ ભાગી છૂટ્યા હતા.[૧૪] દિવસ દરમિયાન પુનાએ શરણાગતિ સ્વીકારી અને સ્મિથે લોકોની સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે ખૂબ જ તકેદારી રાખી. તુરંત જ કાયદો વ્યવસ્થા પુનઃસ્થાપિત થયા.[૧૪] ૧૭ નવેમ્બરના રોજ અંગ્રેજો શનિવાર વાડામાં પ્રવેશ્યા અને બાલાજી પંત નાટુએ યુનિયન જેક ધ્વજ લહેરાવ્યો. જોકે બાજી રાવ અશ્ટિ ખાતે હાર્યા નહિ ત્યાં સુધી કોતવાલી ચાવડી ખાતેથી પેશવાનો ભગવો ધ્વજ ન ઉતારાયો. અંગ્રેજો એવું બતાવવા માગતા હતા કે યુદ્ધ પેશવાએ સ્વેચ્છાથી નહિ પણ બાપુ ગોખલે, ત્રિંબકજી ડેંગલે અને મોરેશ્વર દિક્ષિતના દબાણમાં આવીને શરુ કર્યું હતું. [૧૩][૨૮]

પેશવા ત્યારબાદ કોરેગાંવ તરફ ભાગ્યા. જાન્યુઆરી ૧, ૧૮૧૮ના રોજ ભીમા નદીને કાંઠે, પુનાની ઉત્તર પૂર્વમાં કોરેગાંવની લડાઈ થઈ. જનરલ સ્ટાઉટન કોરેગાંવ પાસે ૫૦૦ પાયદળ, બે તોપો અને ૨૦૦ અશ્વદળ સાથે પહોંચ્યા. માત્ર ૨૪ પાયદળ યુરોપી મૂળના હતા અને તેઓ મદ્રાસ તોપખાનાંની તોપચી ટુકડીના સભ્યો હતા.[૧૩] કોરેગાંવ નદીના ઉત્તર કાંઠે હતું અને નદી સાંકડી અને છીછીરી હતી. ગામમાં સામાન્ય મરાઠા સૈન્યના સંરક્ષિત ઢાંચાઓ પર આધારિત સૈન્ય મથકો હતાં. સ્ટાઉટને ગામ ઉપર કબ્જો કર્યો પણ મરાઠાઓના કબ્જામાં રહેલ સૈન્ય મથકો ન લઈ શક્યા. અંગ્રેજો તેમના પાણીના એકમાત્ર સ્રોત એવી નદીથી સંપર્ક નહોતા ધરાવતા. આખો દિવસ ભીષણ લડાઈ ચાલી. ગામની ગલીઓ અને તોપો અનેક વખત બંને પક્ષોના હાથમાં ગઈ. લડાઈ દરમિયાન બાજી રાવના સૈન્ય અધિકારી ત્રિંબકજીએ બાપુ ગોખલેના એકમાત્ર પુત્ર ગોવિંદરાવ ગોખલેના મૃત્યુનો બદલો લેફ્ટ ચિઝમને મારીને લીધો.[૧૩] પેશવાએ આશરે સાડા ત્રણ કિમી દુર સ્થિત ટેકરી પર રહીને લડાઈ નિહાળી. રાત્રિ દરમિયાન મરાઠાઓએ ગામ ખાલી કરી અને પીછેહઠ કરી. મરાઠાઓના પક્ષે આ પગલું ન્યાયિક હતું કેમ કે તેઓ રંગડી મસલત સ્થાને ગનિમી કાવાની રણનીતિ અપનાવી રહ્યા હતા.[૨૯] અંગ્રેજોએ ૧૭૫ સૈનિકો ગુમાવ્યા અને ૬૬ અશ્વદળ, જ્યારે અડધા કરતાં વધુ અંગ્રેજ અધિકારીઓ ઘાયલ હતા. મરાઠાઓએ આશરે ૫૦૦થી ૬૦૦ સૈનિકો ગુમાવ્યા.[૧૪] સવારમાં જ્યારે અંગ્રેજોએ ગામને ખાલી થયેલું જોયું ત્યારે તેણે પોતાના ભારે નુક્શાન વેઠેલ સૈન્યને પુના તરફ કૂચ કરવાનો ઢોંગ કર્યો જ્યારે તેઓ શિરુર તરફ ગયા હતા.

લડાઈ બાદ જનરલ પ્રિટ્ઝલરના નેતૃત્વ હેઠળ[૧૪] અંગ્રેજ સૈન્યએ પેશવાનો પીછો કર્યો જે સતારાના રાજા સાથે કર્ણાટક તરફ વધુ દક્ષિણમાં ગયા.[૧૪] સમગ્ર જાન્યુઆરી દરમિયાન પેશવાએ દક્ષિણમાં ભાગવાનું ચાલુ રાખ્યું.[૧૪][૧૪] મૈસુરના રાજાની સહાય ન મળતાં પેશવા પાછા ફર્યા અને જનરલ પ્રિટ્ઝલરને ઓળંગી અને સોલાપુર તરફ આગળ વધ્યા.[૧૪] ૨૯ જાન્યુઆરી સુધી પેશવાના પીછા દરમિયાન કોઈ સફળતા મળી નહોતી. જ્યારે પણ બાજી રાવ અંગ્રેજ સૈન્યની પાસેથી પસાર થતા ત્યારે ગોખલે અને તેના સૈનિકો પેશવાની આસપાસ રહી અને દૂરથી ગોળીબાર કરતા. કેટલીક અથડામણો થઈ અને મરાઠાઓને સંખ્યાબધ વખત ઘોડા પર લાદેલી તોપોના ગોળા સહેવા પડ્યા. પણ બંને પક્ષે કોઈ ફાયદો થયો નહિ.[૧૪] ફેબ્રુઆરી ૭ના રોજ જનરલ સ્મિથે સતારામાં પ્રવેશ કર્યો અને મરાઠાઓના રાજવી મહેલને કબ્જે કર્યો. તેમણે ચિહ્નરુપે અંગ્રેજ ધ્વજ ચડાવ્યો.[૧૪] આગામી દિવસે શિવાજી અને મરાઠાઓનો ભગવા ધ્વજે તેનું સ્થાન લીધું.[૧૪] સ્થાનિક વસ્તીનો સાથ મેળવવા અંગ્રેજોએ જાહેરાત કરી કે તેઓ કોઈપણ ધાર્મિક પરંપરા સાથે છેડછાડ નહિ કરે. તેમણે જાહેરાત કરી કે તમામ વતન, ઇનામ,[note ૭] નિવૃત્તિ વેતન અને વાર્ષિક સાલિયાણાં ચાલુ રહેશે જો લાભકર્તા બાજી રાવની સેવામાંથી રાજીનામું આપશે.[૧૪] આ સમય દરમિયાન બાજી રાવ સોલાપુરની પાસેના વિસ્તારમાં રહ્યા હતા.[૧૪]

ફેબ્રુઆરી ૧૯ના રોજ જનરલ સ્મિથને ખબર મળ્યા કે પેશવા પંઢરપુર તરફ આગળ વધી રહ્યા છે. તેના માર્ગમાં અશ્ટિ ખાતે અંગ્રેજ સૈન્યએ પેશવા પર હુમલો કર્યો. લડાઈ દરમિયાન અંગ્રેજોથી પેશવાનું રક્ષણ કરતાં ગોખલેનું મૃત્યુ થયું. સતારાના રાજા તેમના ભાઈ અને માતા સાથે કબ્જે થયા. ૧૭૫૦ના દાયકામાં મરાઠા રાજાને તારાબાઈએ કેદ કર્યા હતા અને તેમણે સત્તા બહુ પહેલાં જ ગુમાવી હતી. પણ માધવ રાવ પેશવા એ ૧૭૬૩માં તેમને ગાદી પર પુનઃસ્થાપિત કર્યા હતા. ત્યારથી રાજા માત્ર સાંકેતિક હતા. સમ્રાટ આલમગીર બીજાએ પેશવાને છત્રપતિના પરિવારની કાળજી રાખવા માટે પ્રશસ્તિ પત્રક પણ લખ્યો હતો.[૩૧] છત્રપતિએ અંગ્રેજોની તરફેણ કરી અને તેને કારણે પેશવાની કાયદાકીયતા રદ થઈ. એક જાહેરનામું બહાર પડાયું કે પેશવા મરાઠા સંઘના નેતા નહોતા. જોકે બાજી રાવ બીજા એ જાહેરનામાંનો વિરોધ કર્યો અને વિરોધમાં જાહેરનામું બહાર પાડ્યું કે માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન તેમના રાજ્યના અંગ્રેજ દૂત નહોતા. પણ આ લડાઈ અને ગોખલેના મૃત્યુને કારણે યુદ્ધનો ઝડપી અંત આવ્યો.[૧૪] ટૂંક સમય બાદ બાજી રાવના પટવર્ધનોએ તેમનો સાથ છોડી દીધો.[૧૪]

એપ્રિલ ૧૦, ૧૮૧૮ સુધીમાં જનરલ સ્મિથના સૈન્યએ સિંહગઢ અને પુરન્દરના કિલ્લાઓ પર કબ્જો કર્યો હતો.[૧૪] ફેબ્રુઆરી ૧૩, ૧૮૧૮ના રોજ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને પોતાની રોજનીશીમાં નોંધ કર્યા અનુસાર "સિંહગઢના કિલ્લામાં કોઈ મરાઠા સૈનિકો નહોતા પણ ૧૦૦ આરબ, ૬૦૦ ગોસાંઇ અને ૪૦૦ કોંકણી હતા. કિલ્લેદાર ૧૧ વર્ષનો છોકરો હતો અને ખરેખરી સત્તા એક અપ્પાજી પંત સેવરા નામના કારકુનના હાથમાં હતી. સૈનિકોને ખાસ્સી છૂટ આપવામાં આવી હતી અને કિલ્લામાં મોટા પ્રમાણમાં સંપત્તિ અને રોકડ હતી. કિલ્લેદારને મનગમતી વસ્તુ પોતાને હસ્તક રાખવા છૂટ હતી."[૧૪][note ૮] જૂન ૩, ૧૮૧૮ના રોજ બાજી રાવે અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારી અને વાર્ષિક રુ આઠ લાખનું સાલિયાણું સ્વીકાર્યું.[૧૪] બાજી રાવે જાગીરદારો, પોતાના પરિવાર, બ્રાહ્મણો અને ધાર્મિક સંસ્થાઓ માટે અંગ્રેજો પાસેથી બાંહેધરીઓ મેળવી.[૧૪] પેશવાને કાનપુર નજીકના બિથુર ખાતે મોકલી દેવામાં આવ્યા.[૧૪] પેશવાના પતન અને દેશનિકાલને સમગ્ર મરાઠા સામ્રાજ્યમાં શોક સ્વરુપે મનાવવામાં આવ્યું જ્યારે પેશવા પર કોઈ અસર ન જણાઈ. તેમણે વધુ લજ્ઞો કર્યાં અને સમગ્ર જીવન વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ અને દારુ પીવામાં વિતાવ્યું.[૧૨]

નાગપુર ખાતેની ઘટનાઓ[ફેરફાર કરો]

સીતાવર્દી કિલ્લો આજે
કિર્કિની લડાઈ, ૧૮૧૭

અપ્પા સાહેબ તરીકે ઓળખાતા મધોજી ભોંસલે એ નાગપુર ખાતે તેમના અણસમજુ પિત્રાઈ ભાઈ અને શાસક પરસોજી ભોંસલેની મે ૨૭, ૧૮૧૬ના રોજ હત્યા બાદ પોતાની સત્તા વધુ મજબુત કરી.[૧૩] તેમણે અંગ્રેજ દૂત જેનકિન્સની બાજી રાવ બીજા સાથે સંપર્ક ન કરવાની સલાહને અવગણી. જેનકિન્સે અપ્પા સાહેબને તેમના મોટી સંખ્યામાં એકઠા થઈ રહેલ સૈન્યને વિખેરી અને દૂતાવાસમાં આવવા જણાવ્યું પણ તેમણે તે પણ ન માન્યું. અપ્પા સાહેબે પેશવાને ટેકાની ખુલ્લી જાહેરાત કરી, જે અંગ્રેજો સાથે પુના નજીક લડી રહ્યા હતા. લડાઈ શરુ થવાનો અંદેશો જણાતાં જેનકિન્સે નજીકમાં રહેલ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો પાસે સહાય માંગી. તેમની પાસે લેફ્ટ કર્નલ હોપેનટોન સ્કોટના નેતૃત્વ હેઠળ ૧,૫૦૦ સૈનિકો પહેલેથી હતા.[૧૫] જેનકિન્સે કર્નલ એડમ્સને સંદેશ મોકલી નાગપુર તરફ કૂચ કરવા જણાવ્યું.[૧૩] અન્ય મરાઠા સરદારોની જેમ અપ્પા સાહેબે પણ આરબોને પોતાના સૈન્યમાં નોકરી પર રાખ્યા હતા.[૧૫] તેઓ પરંપરાગત રીતે કિલ્લાઓ પર કબ્જો રાખવાનું કાર્ય કરતા. તેઓ બહાદુર સૈનિકો તરીકે વિખ્યાત હતા પણ શિસ્ત અને હુકમ પાલનની બાબતમાં તેઓ નબળા હતા. મરાઠાઓનું કુલ સંખ્યાબળ આશરે ૧૮,૦૦૦ જેટલું હતું.[૧૫]

અંગ્રેજ છાવણી ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલ સીતાવર્દી ટેકરીની પશ્ચિમમાં આશરે ૩૦૦ મિટર દૂર હતી. ટેકરીના ઉત્તર છેડા પર અંગ્રેજ સૈન્યનો કબ્જો હતો.[૧૩] મરાઠા પક્ષે આરબ સૈનિકોએ લડતાં શરુઆતમાં ઉપરી હાથ મેળવ્યો અને અંગ્રેજોને દક્ષિણ તરફ પીછેહઠ કરવા ફરજ પાડી. અંગ્રેજ અધિકારીઓ વધુ સૈન્યો સાથે આવવા લાગ્યા જેમાં ૨૯ નવેમ્બરના રોજ લેફ્ટ કર્નલ રાહાન, ૫ ડિસેમ્બરના રોજ મેજર પિટ્ટમાન અને ડિસેમ્બર ૧૨ ના રોજ કર્નલ ડોવટન હતા. અંગ્રેજોનો વળતો હુમલો તીવ્ર હતો અને અપ્પા સાહેબને શરણાગતિ સ્વીકારવા ફરજ પડી. અંગ્રેજો ૩૦૦ સૈનિકો ગુમાવ્યા જેમાં ૨૪ યુરોપી હતા અને મરાઠાઓએ પણ તેટલા જ સૈનિકો ગુમાવ્યા. જાન્યુઆરી ૯, ૧૮૧૮ ના રોજ સંધિ પર હસ્તાક્ષર થયા અને અપ્પા સાહેબને બહુ થોડા પ્રદેશ પર ખૂબ નિયંત્રણો સાથે સત્તા ચલાવવા અધિકાર મળ્યો. તેમના મોટાભાગના વિસ્તાર અને કિલ્લાઓ પર અંગ્રેજોએ કબ્જો કર્યો અને સિતાવર્દીના કિલ્લા પર અંગ્રેજોએ વધુ કિલ્લેબંધી કરી.[૧૩]

થોડા સમય બાદ અપ્પા સાહેબની ધરપકડ કરવામાં આવી. જ્યારે તેઓને અલ્હાબાદ તરફ ચોકી હેઠળ લઈ જવાતા હતા ત્યારે માર્ગમાં તેઓ નાશવામાં સફળ રહ્યા અને પંજાબ જઈ શીખ સામ્રાજ્યના શરણમાં ગયા. તેમણે સહાય કરવા ના કહી અને જોધપુર નજીક ફરી તેમની ધરપકડ થઈ. જોધપુરના રાજા માનસિંહે તેમની ખાતરી આપી અને તેઓ તેમના મૃત્યુ સુધી જોધપુર ખાતે રહ્યા. તેઓ જુલાઈ ૧૫, ૧૮૪૯ના રોજ ૪૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા.[૧૩]

હોલકરની શરણાગતિ[ફેરફાર કરો]

હોલકરને શીંદેને અપાયેલ શરતોનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. ફક્ત એટલો જ તફાવત હતો કે શીંદે એ તે માન્ય રાખી અને અમીર ખાનની સ્વતંત્રતાને પણ સ્વીકૃતી આપી. તે સમયે હોલકરના દરબારનું લગભગ અસ્તિત્વ જ નહોતું. જ્યારે હોલકરના એક અધિકારી તાંતીયા જોગે અંગ્રેજોની શરતો સ્વીકારવા આજીજી કરી ત્યારે તે અંગ્રેજોના મળતિયા હોવાની શંકા કરવામાં આવી. પણ હકીકતમાં તેણે અંગ્રેજો વિરુદ્ધ લડતાં એક પલટણનું નેતૃત્વ કર્યું હતું અને તેઓ અંગ્રેજોની તાકાતથી પરિચિત હતા.[૩૩] હોલકરે અંગ્રેજો વિરુદ્ધ બળવાના પેશવાના આહવાનને સ્વીકારી અને અંગ્રેજો વિરુદ્ધ મહિદપુરની લડાઈ લડી.[૧]

આ લડાઈ ડિસેમ્બર ૨૧, ૧૮૧૭ના રોજ લડવામાં આવી. અંગ્રેજ સૈન્યનું નેતૃત્વ માલ્કમના હાથમાં હતું. લડાઈની શરુઆત બપોરે ૧૨ વાગ્યે થઈ અને ભીષણ લડાઈ રાત્રિના ત્રણ વાગ્યા સુધી ચાલી. મદ્રાસ સૈન્યનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ હિઝલોપના હાથમાં હતું અને તે હોલકરના સૈન્યની દૃષ્ટિમર્યાદામાં સવારે ૯ વાગ્યે પ્રવેશ્યા.[૩૪] અંગ્રેજોએ ૮૦૦ સૈનિકો ગુમાવ્યા[૧૮] પણ હોલકરના સૈન્યનો નાશ પામ્યો.[૩૫] મરાઠા પક્ષે ૩,૦૦૦ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.[૨૪] આ નુક્શાનના પરિણામે હોલકર અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર બળવો કરવા અસમર્થ બન્યા,[૩૫] અને તેને કારણે હોલકર રાજવંશની સત્તાનો ક્ષય થયો. હેન્રી ડ્યુરાન્ડ અનુસાર "મહિદપુરની લડાઈ બાદ માત્ર પેશવા જ નહિ પણ શીંદે અને હોલકરની સત્તાનો ક્ષય થયો અને તેનું સ્થાન કંપનીએ લીધું."[૩૬] તેમ છતાં બાકી રહેલ મરાઠા સૈનિકોએ લડવાનું ચાલુ રાખ્યું અને એક ડિવિઝન જેટલા સૈનિકો તેમને કાબૂમાં કરવા નિયુક્ત કરાયા. મંત્રીઓએ વિષ્ટિ માટે અપીલ કરી,[૨૪] જાન્યુઆરી ૬, ૧૮૧૮ના રોજ માંડેશ્વરની સંધિ પર હસ્તાક્ષર કરાયા;[૨૧] હોલકરે તમામ અંગ્રેજ શરતો સ્વીકારી.[૩૫] હોલકર અંગ્રેજોના પ્રભુત્વ હેઠળ સ્વતંત્ર રાજવી તરીકે સત્તા પર રહ્યા.[૨૧]

યુદ્ધનો અંત અને તેના પ્રત્યાઘાત[ફેરફાર કરો]

યુદ્ધના અંતે તમામ મરાઠા સત્તાકેન્દ્રોએ અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી હતી. શીંદે અને અફઘાન અમીર ખાનને દબાણ અને રાજદ્વારી વાટાઘાટોના અંતે નવેમ્બર ૫, ૧૮૧૭ના રોજ ગ્વાલિયરની સંધિ અંતર્ગત પ્રભુત્વ હેઠળ લાવવામાં આવ્યા હતા.[૩૫] આ સંધિ અનુસાર શીંદે એ રાજસ્થાન અંગ્રેજોને સોંપ્યું અને પિંડારીઓ સામે લડવા સહાય કરવા ખાતરી આપી. અમીર ખાને તેની તમામ તોપો અંગ્રેજોને વેંચી દીધી અને ટોંક પર સત્તા ચલાવવા પરવાનગી મેળવી. હોલકર ડિસેમ્બર ૨૧, ૧૮૧૭ના રોજ હાર્યા અને માંડેશ્વરની સંધિ પર હસ્તાક્ષર કર્યા.[૩૭] તે અનુસાર હોલકર અંગ્રેજોના પ્રભુત્વ હેઠળ આવ્યા. યુવા મલ્હાર રાવને ગાદી પર બેસારવામાં આવ્યા.[૩૮][૩૯] ભોંસલે નવેમ્બર ૨૬, ૧૮૧૭ના રોજ હાર્યા અને તેમની ધરપકડ કરાઈ. તે ભાગ્યા પણ અંતે જોધપુરમાં જ બાકીના દિવસો વીતાવ્યા.[૩૮][૪૦] પેશવા જૂન ૩, ૧૮૧૮ના રોજ શરણાગતિએ આવ્યા અને વાર્ષિક સાલિયાણા સાથે કાનપુર નજીક નિવૃત્ત જીવન ગાળવા મજબૂર થયા.[૪૧] પિંડારી સરદારોમાં કરીમ ખાને શરણાગતિ સ્વીકારી અને વલી મોહમ્મદે શરણાગતિ બાદ ઝેર ખાઈ આપઘાત કર્યો. સેતુ વાઘનો શિકાર બન્યા.[૩૯][૪૨][૪૩]

યુદ્ધના અંતે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અંગ્રેજો આધુનિક ભારતના વિસ્તારમાં સતલુજ નદીની દક્ષિણે સર્વોપરી સત્તા બન્યા. યુદ્ધના અંતે વિખ્યાત નાસ્સક હીરો કંપનીએ પોતાના કબ્જામાં લીધો.[૪૪] અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્યની મોટાભાગની જમીન કબ્જામાં લીધી અને તેમના સૌથી બળવાન વિરોધિનો અંત આણ્યો.[૪] પેશવાને માલ્કમ દ્વારા અપાયેલ શરણાગતિની શરતો વધુ પડતી ઉદાર હોવાનો અંગ્રેજોમાં વિવાદ થયો. તેની સરખામણી નેપોલિયન સાથે થઈ જે નાના ટાપુ પર કેદ હતા અને તેમને નાની રકમ સાલિયાણા પેટે મળતી હતી. યુદ્ધના અંતે ત્રિંબકજી ડેંગલેની ધરપકડ થઈ અને તેમને બંગાળમાં ચુનારના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા.[૪૫] તે સ્થળે તેમણે બાકીનું જીવન વિતાવ્યું. તમામ વિરોધ ખતમ થતાં જ્હોન માલ્કમે બાકી બચેલ વિદ્રોહીઓ અને ભાગેડુઓને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.[૪૬]

પેશવાના વિસ્તારોને બોમ્બે પ્રાંતમાં વિલિન કરવામાં આવ્યા અને પિંડારીઓનો વિસ્તાર મધ્ય પ્રાંતનો ભાગ બન્યો. રાજપુતાનાના શાસકો માત્ર મહોરાં બન્યા અને તેમણે અંગ્રેજોને સર્વોચ્ચ સત્તા તરીકે સ્વીકારી તેમના સામંતશાહીને સ્વીકારી. આમ, ફ્રાન્સીસ રૉડન-હેસ્ટિંગ્સે ભારતના નક્શાનું પુનઃચિત્રણ કર્યું અને તે લોર્ડ ડેલહાઉસીના સમય સુધી લગભગ સમાન જ રહ્યો.[૪૬] પેશવાની ગાદીને વિસ્થાપિત કરી અને અંગ્રેજો તેના સ્થાને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના એક અજાણ્યા વારસને ગાદી પર લાવ્યા. તે માત્ર મહોંરા સ્વરુપ હતા. નાગપુર ખાતે હોલકર પરિવારના એક શિશુને ગાદી પર અંગ્રેજ રક્ષણ હેઠળ નીમ્યું. પેશવાના દત્તક પુત્ર નાના સાહેબ પાછળથી ૧૮૫૭નો ભારતીય વિપ્લવ દરમિયાન એક નેતા બન્યા.[૪૬] ૧૮૧૮ બાદ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને મહેસુલ ઉઘરાણી માટેના વિભાગોને પુનઃગઠિત કર્યા,[૪૭] આમ તેમણે પાટીલ, દેશમુખ અને દેશપાંડેના મહત્ત્વને ઘટાડ્યું.[૪૭] નવી સરકારને મરાઠી બોલતી પ્રજા સાથે સંપર્ક વધારવા જરુર જણાઈ અને એલ્ફિન્સ્ટને બોમ્બે પ્રાંતમાં ૧૮૨૦ બાદ મરાઠી ભાષાનું પ્રમાણિત સ્વરુપનો આગ્રહ રાખ્યો.[૪૮]

નોંધ[ફેરફાર કરો]

  1. "Thus, many Pindaris were originally Muslim or Maratha cavalrymen who were disbanded or found Pindari life better than formal military service... Most Pindaris professed to be Muslims, but some could not even repeat the kalima or Muslim creed nor knew the name of the prophet."[૨]
  2. Meaning "Administrator of the Realm", the title of Nizam was specific to the native sovereigns of Hyderabad State, India, since 1719.[૭]
  3. This treaty, as Grant Duff says, occasioned infinite discussions amongst the British in India and in Europe, and started the First Maratha War.[૮]
  4. With justifiable pride Hastings wrote to one of his friends on 7 February 1783: "Indeed, my dear Sir, there have been three or four very critical periods in our affairs in which the existence of the Company and of the British dominion in India lay at my mercy and would have been lost had I coldly attended to the beaten path of duty and avoided personal responsibility. In the redress afforded to the Nizam I drew him to our interests from the most inveterate enmity. In my negotiations with Modajee Boosla (sic) I preserved these provinces from ravage and obtained evidence of his connections even beyond his own intentions; and I effected a peace and alliance with Madajee Sindhia (sic) which was in effect a peace with the Maratha State."[૧૦]
  5. "Opposed to these were the British who had come all the way from England to establish an empire in India. They had a (sic) previous experience not only in many European wars, but also in many Indian ones. Whatever they did, they did in a planned manner. No step was taken blindly. Everything was thoroughly discussed and debated upon before it was taken up. The network of their spies spread far and wide. They mastered the Indian languages to deal with the Indians in a perfect manner. They mastered Indian geography before they made any military movement in any part of the country. Nothing was left to chance and guess-work."[૧૧]
  6. Chithu is referred to as Setu in Marathi.[૨૬] "So the famous Chithu, the Pindari chieftain, who, wandering alone in the jungle on the banks of the Tapti River after the defeat and dispersal of his robber horde in 1818, fell a victim to a man-eating tiger, his remains being identified by the discovery of his head and a satchel containing his papers in the tiger's lair."[૨૭]
  7. Watans and Inams were the properties or lands of the absentee landlords, mostly the high caste Brahmins. Watan and Inam are terms specific to Maharasthra. Jagir is another such term in Maharashtra. Someone who held a Watan was called Watandar; a holder of an inam was an Inamdar. Zamindar is a similar term used in the state of Bengal. Watans and Inams were abolished in independent India.[૩૦]
  8. Killadar means the commandant of a fort, castle or garrison.[૩૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Bakshi & Ralhan 2007.
  2. McEldowney 1966, p. 18.
  3. Naravane, M.S. (૨૦૧૪). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ 79–86. ISBN 9788131300343.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Black 2006.
  5. Subburaj 2000.
  6. ૬.૦૦ ૬.૦૧ ૬.૦૨ ૬.૦૩ ૬.૦૪ ૬.૦૫ ૬.૦૬ ૬.૦૭ ૬.૦૮ ૬.૦૯ ૬.૧૦ ૬.૧૧ ૬.૧૨ ૬.૧૩ ૬.૧૪ ૬.૧૫ Sen 1994.
  7. Sen 1994, p. 2.
  8. Sen 1994, p. 11.
  9. ૯.૦ ૯.૧ Schmidt 1995.
  10. Sen 1994, pp. 12–13.
  11. Chhabra 2005, p. 40.
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ ૧૨.૫ ૧૨.૬ Chhabra 2005.
  13. ૧૩.૦૦ ૧૩.૦૧ ૧૩.૦૨ ૧૩.૦૩ ૧૩.૦૪ ૧૩.૦૫ ૧૩.૦૬ ૧૩.૦૭ ૧૩.૦૮ ૧૩.૦૯ ૧૩.૧૦ ૧૩.૧૧ ૧૩.૧૨ ૧૩.૧૩ ૧૩.૧૪ ૧૩.૧૫ ૧૩.૧૬ ૧૩.૧૭ ૧૩.૧૮ ૧૩.૧૯ ૧૩.૨૦ ૧૩.૨૧ ૧૩.૨૨ ૧૩.૨૩ ૧૩.૨૪ ૧૩.૨૫ ૧૩.૨૬ ૧૩.૨૭ ૧૩.૨૮ Naravane 2006.
  14. ૧૪.૦૦ ૧૪.૦૧ ૧૪.૦૨ ૧૪.૦૩ ૧૪.૦૪ ૧૪.૦૫ ૧૪.૦૬ ૧૪.૦૭ ૧૪.૦૮ ૧૪.૦૯ ૧૪.૧૦ ૧૪.૧૧ ૧૪.૧૨ ૧૪.૧૩ ૧૪.૧૪ ૧૪.૧૫ ૧૪.૧૬ ૧૪.૧૭ ૧૪.૧૮ ૧૪.૧૯ ૧૪.૨૦ ૧૪.૨૧ ૧૪.૨૨ ૧૪.૨૩ ૧૪.૨૪ ૧૪.૨૫ ૧૪.૨૬ ૧૪.૨૭ ૧૪.૨૮ ૧૪.૨૯ Duff 1921.
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ Burton 1908.
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ ૧૬.૩ United Service Institution of India 1901.
  17. Nadkarni 2000.
  18. ૧૮.૦ ૧૮.૧ Sarkar & Pati 2000.
  19. John Murray (Firm)1861.
  20. ૨૦.૦ ૨૦.૧ Russell 1916.
  21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ ૨૧.૪ ૨૧.૫ ૨૧.૬ Sinclair 1884.
  22. ૨૨.૦ ૨૨.૧ Sinclair 1908.
  23. ૨૩.૦ ૨૩.૧ Hunter 1909.
  24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ Keightley 1847.
  25. Travers 2007.
  26. Naravane 2006, p. 86.
  27. Burton 2002, pp. 246–247.
  28. Rao 1977.
  29. Inamdar, 1975 & pg 7.
  30. Government of Maharashtra 1961.
  31. Bharat Itihas Sanshodhan mandal Quarterly July 1920
  32. Yule & Burnell, p. 483.
  33. Kibe 1904.
  34. Hough 1853.
  35. ૩૫.૦ ૩૫.૧ ૩૫.૨ ૩૫.૩ Prakash 2002.
  36. Government of Madhya Pradesh 1827.
  37. Sinclair 1884, pp. 195–196.
  38. ૩૮.૦ ૩૮.૧ Dutt 1908, p. 173.
  39. ૩૯.૦ ૩૯.૧ Lethbridge 1879, p. 193.
  40. Lethbridge 1879, p. 192.
  41. Dutt 1908, p. 174.
  42. Russell 1907, p. 396.
  43. Dutt 1908, p. 172.
  44. United States Court of Customs and Patent Appeals 1930.
  45. Wheeler 1880.
  46. ૪૬.૦ ૪૬.૧ ૪૬.૨ Hunter 1907.
  47. ૪૭.૦ ૪૭.૧ Kulkarni 1995.
  48. McDonald 1968.