લાપાસરી (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
લાપાસરી
—  ગામ  —
લાપાસરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′N 70°47′E / 22.3°N 70.78°E / 22.3; 70.78
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, મગફળી, ઘઉં, બાજરો, શાકભાજી

લાપાસરી ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં તેમ જ રાજકોટ શહેરની નજીક આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ શહેરની દક્ષિણે પાકા સડક માર્ગે કોઠારીયા ગામ થઈને આવે છે. આ ગામ ભાખવડી નદીને કિનારે વસેલું છે. આ નદી ઉપર થોડા સમય પહેલા રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉનનાં સહયોગથી ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમનું નામ "રોટરી મિડટાઉન લાપાસરી ડેમ" આપવામાં આવેલું છે જેનું પાણી રાજકોટને પાણી પુરું પાડતા આજીડેમમાં વાળવામાં આવે છે. આ ગામની વસ્તી આશરે ૬૫૦ ની હશે, તેમ જ ગામના લોકોનો વ્યવસાય ખેતી, પશુપાલન, ટ્રેકટરથી માલવહન તથા રાજકોટ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે.

આ ગામની બાજુમાં કોઠારીયા, વડાળી, ખોખડદળ, ભાયાસર અને લોઠડા જેવાં ગામો આવેલાં છે. રાજકોટ-૩ મતવિસ્તારનાં બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલ ભાજપાના ધારાસભ્ય માધુભાઈ બાબરીયા પણ આ ગામના જ છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

લાપાસરી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જે ગામની બરોબર વચ્ચે આવેલી છે. જેમાં ૧ થી ૭ ધોરણ સુધીનાં અભ્યાસ માટેની વ્યવસ્થા છે. આ શાળાનું બાંધકામ જુનું હોવાથી તે ઈ.સ.૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભુકંપમાં ધરાશાયી થયેલ. ત્યારબાદ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ તેમજ ગામ વચ્ચે લોકભાગીદારી કરીને આ શાળા નવી બનાવવામાં આવેલ છે, જેનું નામ 'શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા - લાપાસરી' આપવામાં આવ્યું છે. જેમાં સંડાસ-બાથરૂમ, પાણીની ટાંકી, રમત-ગમતનાં સાધનો તથા સુંદર બગીચાની સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમ જ શાળામાં કોમ્પ્યુટરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. શાળામાં પાંચ વર્ષથી નીચેનાં બાળકો માટે આંગણવાડી પણ ચલાવવામાં આવે છે.

આ ગામમાં પંચાયતઘર, પશુને પાણી પીવા માટે અવેળા (હવાડા), પાણીનાં ટાકા જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. તેમજ ગામને પાણીની અછત ન પડે તે માટે કુવો પણ છે. આ કુવાનાં પાણીને પાઈપલાઈન દ્વારા ગામમાં ચાર જગ્યાએ લોકલ પાણીનાં સ્ટેન્ડ ઉભા કરી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની ઉતરે રાજકોટ રોડ ઉપર લગભગ અડધો કિલોમીટર દુર એક ગૌશાળા પણ આવેલી છે. જયાં લગભગ ૬૦ જેટલી ગાયોનો નિભાવ થાય છે. આ ગૌશાળાની બરોબર પાછળ નદીને કાંઠે શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. જેની સામે નદીમાં એક ઉંડો ઘુનો આવેલો છે, જેથી તેને ઘુનાવાળી ખોડીયાર કહે છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં શ્રી કેશરજી વજેસિંહજી ચૌહાણ નામનાં એક રાજપૂત થઈ ગયા, જે બહારગામથી આવતા સાધુ-સંતોને પોતાને ત્યાં જમાડતા અને દર અષાઢી બીજે આખા ગામને જમાડતા હતા. જે રાજકોટની આજુબાજુનાં ગામોમાં કેશરભગત નામથી જ ઓળખાતા હતા. તેમના સેવકો આજે પણ લાપાસરી ગામમાં રામાપીરનાં મંદીરે દર્શને આવે છે. આમ તેમના નામ ઉપરથી પણ આ ગામ કેશરભગતનું લાપાસરી કહેવાય છે.

લાપાસરી ગામની બરોબર મધ્યમાં શ્રી રામ મંદીર આવેલું છે. જે ચોરા તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની પ્રતિષ્ઠા લગભગ સંવત ૧૯૮૦ની આસપાસ થઇ હશે. ત્યાર બાદ આ મંદીરનો જીર્ણોધાર ૪૦ વર્ષ બાદ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી શિવમંદીર ગામનાં પાદરમાં આવેલું છે. તેમજ આ ગામની દક્ષિણ દિશામાં એક તળાવ આવેલું છે, જેની એક પાળી ઉપર એક શિવમંદિર આવેલું છે, જે ગામથી લગભગ ૨૦૦ મીટરનાં અંતરે આવેલું છે. આ જગ્યાએ પહેલાંના સમયમાં ફકત ઓટલો જ હતો જે પછીથી બહાદુરસિંહજી માનસિંહજી ચૌહાણ દ્વારા તેના ઉપર શિખરબંધ મંદીર બંધાવીને જીર્ણોધાર કરેલ છે. આ ઉપરાંત ગામમાં બસસ્ટેન્ડની બરોબર પાછળ જ બાપા સીતારામની મઢુલી આવેલી છે, જેમાં બગદાણા વાળા સંતશ્રી બજરંગદાસબાપાની મુર્તિ પધરાવવામાં આવેલ છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન