૧૧ ગુરખા રાઇફલ્સ

વિકિપીડિયામાંથી

૧૧ ગુરખા રાઇફલ્સભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે રાય, લીંબુ અને તમાંગ કુળના પૂર્વ નેપાળના તપલેજંગ, પંચથાર, સંખુવાસભા અને ધનકુટ જિલ્લાના સૈનિકો ભરતી કરવામાં આવે છે. તેમાં ભારતીય મૂળના ગુરખા મુખ્યત્ત્વે સિક્કિમ અને દાર્જિલિંગ જિલ્લોમાંથી ભરતી કરવામાં આવે છે. રેજિમેન્ટનો ઈતિહાસ ૭ ગુરખા  અને ૧૦ ગુરખા જેટલો જૂનો છે જોકે તેને ભારતીય સૈન્યની સૌથી યુવા રેજિમેન્ટ ગણવામાં આવે છે.

પ્રથમ ગઠન[ફેરફાર કરો]

૧૯૧૮માં ૧૧ ગુરખાને હંગામી ધોરણે ઉભી કરવામાં આવી હતી અને તેના સૈનિકો અને અધિકારીઓ અન્ય ગુરખા રેજિમેન્ટમાંથી લેવામાં આવ્યા હતા. રેજિમેન્ટ પ્રથમ વિશ્વયુદ્ધમાં પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયા ખાતે કાર્યવાહીનો ભાગ બની. તે ૧૯૧૯માં ત્રીજા અફઘાન યુદ્ધમાં પણ સામેલ થઈ હતી.[૧] જોકે ૧૯૨૨માં તેને વિખેરી નાખવામાં આવી અને તેના સૈનિકો અગાઉની મૂળ રેજિમેન્ટમાં પાછા મોકલી દેવાયા. તે સમયે રેજિમેન્ટને કોઈ ચિહ્ન સત્તાવાર નહોતાં અપાયાં અને સૈનિકો તેમની મૂળ રેજિમેન્ટના ચિહ્નો જ પહેરતા હતા. જોકે કેટલાક બિનસત્તાવાર ચિહ્નો બનાવાયા હતા અને તે કેટલાક સૈનિકો પહેરતા હતા.

પુનઃગઠન[ફેરફાર કરો]

૧૯૪૭માં સ્વતંત્રતા બાદ તમામ ગુરખા રેજિમેન્ટ ભારતીય સેના અને બ્રિટિશ સેના વચ્ચે વિભાજીત કરવામાં આવી. બ્રિટનના ભાગે આવેલ ૨, ૬,૭ અને ૧૦ ગુરખા રાઇફલ્સના સૈનિકોને તેમની ઇચ્છા અનુસાર પસંદગી આપવા મતદાન યોજવામાં આવ્યું.[૨] જેમાં ૪/૨ પલટણના તમામ સૈનિકોએ ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું અને તેને ૮ ગુરખા રાઇફલ્સમાં પાંચમી પલટણ તરીકે જોડવામાં આવી. ૭ અને ૧૦ ગુરખા રાઇફલ્સના સૈનિકો પણ મોટા પ્રમાણમાં ભારત સાથે જોડાવા માગતા હતા. આ તમામ સૈનિકોને સમાવી લેવા માટે ૧૧ ગુરખા રાઇફલ્સનું પુનઃગઠન કરવામાં આવ્યું. તમામ ગુરખા કુળોમાં રાય અને લીંબુ સૌથી આક્રમક સૈનિકો ગણવામાં આવે છે અને નેપાળી સૈન્યમાં પણ તેઓ અગ્રેસર રહે છે.

રેજિમેન્ટને સત્તાવાર રીતે જાન્યુઆરી ૧, ૧૯૪૮ના રોજ ઉભી કરવામાં આવી અને તેના રેજિમેન્ટ મુખ્યાલય પાલમપુર અને મુંબઈ ખાતે રાખવામાં આવ્યા. જે બાદમાં દાર્જિલિંગ અને દેહરાદૂન ખાતે ખસેડાયા બાદ અંતે લખનૌ ખાતે સ્થાપવામાં આવ્યું. અગાઉની ૧૧ ગુરખા રાઇફલ્સની પરંપરા અને વારસો ન જાળવવાનું નક્કી કરવામાં આવ્યું.

આજે રેજિમેન્ટ છ પલટણ ધરાવે છે અને એક સ્થાનિય સૈન્યની પલટણ પણ ધરાવે છે. રેજિમેન્ટ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, ૧૯૪૮નું ઓપરેશન પોલો, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધો અને કારગિલ યુદ્ધમાં યોગદાન આપી ચૂકી છે.

૧૯૭૧ના યુદ્ધમાં રેજિમેન્ટની પાંચમી પલટણ પૂર્વ પાકિસ્તાન મોરચે કાર્યવાહીનો ભાગ હતી અને તેને બોગરા યુદ્ધ સન્માન એનાયત કરાયું હતું. તેણે બોગરા ગામ કબ્જે કર્યું હતું અને તે કાર્યવાહી દરમિયાન લેફ્ટ તેજા બેદીએ ૫૨ બલુચ પલટણનું મુખ્યાલય, તેનું નેતૃત્વ કરી રહેલ અધિકારી અને પલટણના ડૉક્ટરને પલટણના ધ્વજ સહિત એકલહથ્થુ કબ્જે કર્યા હતા. તે ધ્વજ આજે પણ અફસર મેસમાં વિજેતાના ઇનામ તરીકે ઉલટો લગાવવામાં આવે છે.

રેજિમેન્ટના જ અફસર જનરલ ગોપાલ ગુરુનાથ બેવુર જાન્યુઆરી ૧૫, ૧૯૭૩થી મે ૩૧, ૧૯૭૫ સુધી સૈન્ય વડા તરીકે ફરજ પર રહ્યા હતા.

૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન રેજિમેન્ટની ૧લી પલટણના કેપ્ટન મનોજ કુમાર પાંડેને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.

રેજિમેન્ટની ૩જી, ૪થી અને ૫મી પલટણ સૌથી જૂની પલટણો છે. જોકે પાછળથી ૪થી પલટણને વિખેરી નાખવામાં આવી હતી. રેજિમેન્ટમાં ૫મી પલટણ સૌથી વધુ લેફ્ટ જનરલ સેનાને આપવાનો વિક્રમ ધરાવે છે. રેજિમેન્ટને એક પરમવીર ચક્ર, ત્રણ અશોક ચક્ર, એક વિક્ટોરીયા ક્રોસ, ૬ મિલિટરી ક્રોસ, બે મહાવીર ચક્ર, સાત પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, નવ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, ૧૧ વિશિષ્ટ સેવા ચંદ્રક, ૧૧ વીર ચક્ર, ૫ શૌર્ય ચક્ર અને ૩૫ સેના ચંદ્રક એનાયત કરાયા છે.

રેજિમેન્ટની પલટણોએ વિદેશમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં પણ ફરજ બજાવી છે.

રેજિમેન્ટમાં નિમ્નલિખિત પલટણો છે:

  • 1 લી બટાલિયન - 1/11 ગુરખા રાઇફલ (Batalik)
  • 2 બટાલિયન - 2/11 ગુરખા રાઇફલ (Shingo)
  • 3 જી બટાલિયન - 3/11 ગુરખા રાઇફલ
  • 4 થી બટાલિયન - (વિખેરી નંખાઈ)
  • 5 બટાલિયન - 5/11 ગુરખા રાઇફલ (Bogra)
  • 6 ઠ્ઠી બટાલિયન - 6/11 ગુરખા રાઇફલ
  • 7 બટાલિયન - 7/11 ગુરખા રાઇફલ
  • આ 107 પાયદળ બટાલિયન, સ્થાનિય સેનામાં દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ ખાતે.

વધુમાં, ૨૦૧૩માં ઉભી કરાયેલ સિક્કિમ સ્કાઉટ્સ રેજિમેન્ટ, ૧૧ ગુરખા સાથે જોડવામાં આવી છે.[૩]

યુદ્ધ સન્માન[ફેરફાર કરો]

બોગરા, પૂર્વ પાકિસ્તાન, શીંગો નદી ઘાટી, જમ્મુ અને કાશ્મીર, બટાલિક, ઓપરેશન વિજય

અશોક ચક્ર વિજેતા[ફેરફાર કરો]

  • કેપ્ટન એમ બી રાય, 5 મી બટાલિયન,
  • રાઇફલમેન સાલ બહાદુર
  • લેફ્ટ પુનિત નાથ દત્ત

પરમ વીર ચક્ર વિજેતા[ફેરફાર કરો]

કેપ્ટન મનોજ કુમાર પાંડે (મરણોત્તર) બટાલિક ક્ષેત્રની, કારગિલ યુદ્ધ.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Sharma, Anshul. "11 Gorkha – Captain Manoj Pandey's regiment". મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૪.
  2. "Bharat Rakshak :: Land Forces Site – 11 Gorkha Rifles". BHARAT RAKSHAK. મૂળ માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૪.
  3. "Army Vice Chief Unveils the Flag of Sikkim Scouts". ૨૪ મે ૨૦૧૩.

બાહ્ય કડી[ફેરફાર કરો]