કાલિ

વિકિપીડિયામાંથી
(મહાકાળી થી અહીં વાળેલું)
ધર્મહિંદુ ધર્મ Edit this on Wikidata
શસ્ત્રતલવાર Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીશિવ Edit this on Wikidata

મહાકાળી, કાલિ (સંસ્કૃતઃ काली; બંગાળી: কালী), એ કાલિકા (બંગાળી: কালিকা) તરીકે પણ જાણીતી એક હિન્દુ દેવી છે જેને શાશ્વત ઊર્જા/શક્તિ સાથે સાંકળવામાં આવે છે. કાલિ નામ કાળ પરથી, જેનો અર્થ થાય છે કાળું, કાળ, મૃત્યુ, મૃત્યુના દેવ, શિવ પરથી આવ્યું છે. કાલિ એટલે "જે કાળું છે". કારણ કે શિવને કાળ – શાશ્વત સમય કહેવામાં આવે છે, એટલે કાલિ, તેમની પત્નીનો અર્થ પણ "કાળ" અથવા "મૃત્યુ" (જેમ કે કાળ આવી ગયો છે) થાય છે. તેથી, કાલિને કાળ અને પરિવર્તનની દેવી માનવામાં આવે છે. અલબત્ત, સર્વનાશી દેવી તરીકેના તેમના સૌથી પૂર્વકાલીન અવતારનો હજી પણ થોડોક પ્રભાવ રહ્યો હોવાથી ક્યારેક તેમને કાળા અને હિંસાત્મક રૂપમાં રજૂ કરવામાં આવે છે. વિવિધ શાક્ત હિન્દુ બ્રહ્માંડમીમાંસાઓ, તેમ જ શાક્ત તાંત્રિક માન્યતાઓ, તેમને અંતિમ સત્ય અથવા બ્રહ્મ તરીકે પૂજે છે. તેમને ભવતારિણી (શબ્દશઃ "અખિલ સૃષ્ટિમાંથી તારનાર") તરીકે પણ પૂજવામાં આવે છે. તુલનાત્મક રીતે તાજેતરની ભક્તિમય ચળવળો કાલિને મહદ્ અંશે એક દયાળુ માતૃવત્ દેવી તરીકે જુએ છે.

જેના શરીરની ઉપર તેમને ઘણે ભાગે ઊભેલા દર્શાવવામાં આવે છે, તે ભગવાન શિવનાં પત્ની તરીકે કાલિને રજૂ કરવામાં આવે છે. તેમને અનેક હિંદુ દેવીઓ જેવી કે દુર્ગા, ભદ્રકાલિ, સતી, રુદ્રાણી, પાર્વતી અને ચામુંડા સાથે સાંકળવામાં આવે છે. દસ મહાવિદ્યાઓ, દસ ક્રૂર તાંત્રિક દેવાઓમાં તે સૌથી અગ્રસર છે.[૧]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

કાલિ એ કાળ("કાળા, ઘેરા રંગના")નું નારી રૂપ છે.[૨] કાલનો મુખ્ય અર્થ થાય છે "કાળો," પણ તેનો અર્થ "સમય(કાળ)" પણ થાય છે. કાલિ એટલે "જે કાળું છે તે" અને "સમય(કાળ)" અથવા "જે સમયથી પર છે" તેમ પણ થાય છે. કાલિ એ અત્યંત ગહન રીતે શિવ સાથે સંકળાયેલાં છે અને શિવના જ નામ, નર રૂપમાં કાલા (શિવનું ઉપનામ) પરથી નારી રૂપમાં તેમનું નામ આવ્યું છે. પૂર્વકાલીન સંસ્કૃત શબ્દકોશ, શબ્દાકાલપાદ્રુમ, લખે છેઃ कालः शिवः । तस्य पत्नीति - काली । કાલ: શિવા: । તાસ્યા પાતનીતિ કાલિ- "શિવ એ કાલ છે, અને આમ તેમની પત્ની એ કાલિ છે."

ઉપર વર્ણવ્યું છે તેમ, અન્ય નામોમાં સામેલ છે કાલરાત્રિ ("કાળી રાત્રિ"), અને કાલિકા ("કાળ/સમય સાથે સંબંધિત"). કોબર્ન નોંધે છે કે કાલિ નામને એક નામ તરીકે, અથવા રંગને વર્ણવવા માટે વાપરી શકાય છે.[૩] કાલિનો કાળાશ સાથેનો સંબંધ એ તેના પતિ, શિવ કરતાં વિપરીત છે, કે જેમનું આખું શરીર સ્મશાનભૂમિની રાખથી આવરાયેલું છે જેમાં એ ધ્યાન ધરે છે, અને જેની સાથે કાલિ પણ, સ્મશાન કાલિ તરીકે, સંકળાયેલાં છે. કલિ ને વારંવાર કાલિ શબ્દ સાથે, કલિયુગમાં છે તેમ અથવા ચંડાલ કાલિ સાથે ભેળવી દેવામાં આવે છે. અલબત્ત, કાલિ ("કાળું, કાળ/સમય") અને કલિ ("નબળું, અસંસ્કારી, અસ્પષ્ટ") વ્યુત્પત્તિની રીતે એકબીજા સાથે જોડાયેલા નથી, અને હિંદુ ધર્મમાં Kālī દેવી કલિયુગ સાથે સંકળાયેલી નથી.

ઉત્પત્તિઓ[ફેરફાર કરો]

હ્યુગ અર્બન નોંધે છે કે ભલે કાલિ શબ્દ છેક અથર્વ વેદમાં જોવા મળ્યો હોય, પણ ચોક્કસ નામ તરીકે તેનો પહેલો ઉપયોગ કાઠક્ગૃહ્યસૂત્ર (19.7)માં થયો છે.[૪] મુંદકા ઉપનિષદ (2:4)માં, ઋગ્વેદીય અગ્નિદેવના અગ્નિની સાત જીભોમાંથી એકનું નામ કાલિ છે, પણ આ પ્રયોગ દેવીનો સંદર્ભ આપતો હોય તેવું લાગતું નથી. તેમના વર્તમાન રૂપમાં કાલિનો પ્રથમ ઉલ્લેખ મહાભારત ના સૌપ્તિકપર્વ(10.8.64)માં થયો છે. તેમને "કાળ રાત્રિ" કહેવામાં આવ્યા છે અને તે પાંડવોના સૈનિકોના સ્વપ્નાંમાં દેખાતાં રહે છે, અને છેવટે દ્રોણના પુત્ર અશ્વત્થામા દ્વારા થયેલા હુમલાની લડાઈ મધ્યે તેઓ દેખાય છે. છઠ્ઠી સદીમાં, મહાદેવીની શક્તિઓમાંથી એક તરીકે દેવી મહાત્મ્યમ ના રૂપમાં સૌથી જાણીતા થયાં છે, જે દૈત્ય રક્તબીજને હરાવે છે. દસમી સદીમાં કાલિકા પુરાણ કાલિને અંતિમ સત્ય અથવા બ્રહ્મ તરીકે પૂજે છે.

ડૅવિડ કિન્સ્લી અનુસાર, 600 સી.ઈ.(CE)ની આસપાસ હિન્દુ ધર્મમાં કાલિનો એક અલગ દેવી તરીકે પહેલોવહેલો ઉલ્લેખ થયો છે, અને આ લખાણો "તેમને સામાન્ય રીતે હિંદુ સમાજના બહારની સીમા પર અથવા યુદ્ધભૂમિ પર સ્થાન આપે છે."[૫] તેમને ઘણી વખત શિવની શક્તિ તરીકે જોવામાં આવે છે, અને વિવિધ પુરાણોમાં શિવ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલાં દર્શાવવામાં આવે છે. કાલિકા પુરાણ તેમને "આદિ શક્તિ" (મૂળભૂત શક્તિ) અને "પ્રકૃતિ પર" અથવા કુદરતથી પર તરીકે નિરૂપે છે.

તંત્રમાં[ફેરફાર કરો]

કાલિ યંત્ર

તંત્ર યોગના અભ્યાસ અને વ્યવહારમાં દેવીઓ અગત્યની ભૂમિકા ભજવે છે, અને તેમને નર દેવોની જેમ, સત્ય/વાસ્તવિકતાના તત્ત્વદર્શક સ્વભાવના કેન્દ્રીય રૂપ તરીકે દૃઢ કરવામાં આવ્યાં છે. તંત્રો ના રૂપમાં શિવનું શાણપણ મેળવનાર અને તેમની વિદ્યાર્થિની પાર્વતી છે એમ ભલે ઘણી વાર કહેવામાં આવતું હોય, પણ એ કાલિ છે જે તાંત્રિક મીમાંસા, ગ્રંથો, અને કર્મકાંડોમાં ઘણે ભાગે વર્ચસ્ ધરાવતાં લાગે છે.[૬] અનેક સ્રોતોમાં કાલિને સર્વોચ્ચ સત્ય અથવા તમામ દેવ-દેવીઓમાં મહાનતમ તરીકે બિરદાવવામાં આવ્યાં છે. નિર્વાણ-તંત્ર કહે છે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ તમામ તેમનામાંથી જેમ સમુદ્રમાંથી પરપોટા ઊઠે તેમ પેદા થયા છે, અવિરતપણે ઊઠતાં અને ચાલ્યાં જતાં પરપોટાઓ છતાં મૂળ સ્રોત એવો જ અપરિવર્તનશીલ રહે છે. નિરૂત્તરા-તંત્ર અને પિકચિલા-તંત્ર કાલિના તમામ મંત્રોને સૌથી મોટા જાહેર કરે છે, અને યોગિની-તંત્ર , કામાખ્યા-તંત્ર અને નિરૂત્તરા-તંત્ર એ તમામ કાલિને વિદ્યા (મહાદેવી નું રૂપ, અથવા "મૂર્તિમંત દિવ્યસ્વરૂપ") ઘોષિત કરે છે. તેઓ તેમને મહાદેવી ના પોતાના રૂપ(સ્વરૂપા )ના સત્ત્વ હોવાનું જણાવે છે.[૭]

મહાનિર્વાણ-તંત્ર માં, કાલિ આદિકાળની શક્તિ માટેનાં ઉપનામોમાંનું એક છે, અને એક પરિચ્છેદમાં શિવ તેમની સ્તુતિ કરે છેઃ

જ્યારે બધું વિર્સજન પામશે ત્યારે, એ કાળ (સમય) છે જે તમામને પી જશે, અને આ જ કારણે તેને મહાકાળ (ભગવાન શિવનું ઉપનામ) કહેવામાં આવે છે, અને કારણ કે મહાકાળ પોતે જ ભરખી જનાર ભગવાન છે, એટલે એ ભગવાન છે જે આદિકાળની સર્વોચ્ચ કાલિકાના સ્વામી છે. કારણ કે પ્રભુ પીજનારા કાણ છે, પ્રભુ તમામ વસ્તુઓના મૂળ રૂપના, કાલિના સ્વામી છે, અને કારણ કે તે તમામ વસ્તુઓના ઉદ્ગમ અને વિનાશને જાણે છે એટલે તેમને અદ્ય (આદિકાળની કાલિ) કહેવામાં આવે છે. વિસર્જન પછી તેમનું પોતાનું રૂપ, કાળું અને આકારવિહીન, ધરનાર તે એક માત્ર વર્ણનાતીત અને અકલ્પ્ય અવશેષ તરીકે રહે છે. રૂપ હોવા છતાં, તેઓ આકારવિહીન છે; પોતે જ ઈશ્વરસ્વરૂપ હોવા છતાં કોઈ આરંભ વિનાના છે, માયાની શક્તિથી બહુરૂપા છે, તે તમામના આરંભને જાણે છે, સર્જનહાર, સંરક્ષક, અને વિનાશના રૂપ તે પ્રભુ. [૬]

કાલિની આકૃતિ મૃત્યુ, વિનાશ, અને વાસ્તવિકતાના વિનાશક પાસાંઓને રજૂ કરે છે. આમ જુઓ તો, તે એક "નિષિદ્ધ વસ્તુ" પણ છે, અથવા પોતે મૃત્યુ સુદ્ધાં છે. પંચતત્ત્વ કર્મકાંડમાં, સાધક હિંમતપૂર્વક કાલિને પડકારવા માગે છે, અને તેમ કરીને તેમને મુક્તિ માટેના સાધન તરીકે રૂપાંતરિત કરે છે.[૮] કાર્પુરાદી-સ્તોત્ર [૯]માં આ સ્પષ્ટ છે, સ્મશાનભૂમિ પર થતા તેમના પરના પંચત્ત્ત્વ કર્મકાંડનું વર્ણન આપતી એક ટૂંકી સ્તુતિ. (સામાહાના-સાધના )

ઓ મહાકાલિ, તે જે સ્મશાન-ભૂમિ પર છે, નગ્ન, અને વિખરાયેલાં વાળ સાથે છે, તે ઉદ્દેશપૂર્વક ઈશ્વરનું ધ્યાન ધરે છે અને ઈશ્વરના મંત્રનું પઠન કરે છે, અને દરેક પઠન વખતે ઈશ્વરને બીજ સાથેનાં હજાર અખંડ પુષ્પો ધરે છે, તે કોઈ જ પ્રયત્નો વિના પૃથ્વીનો રાજા બને છે. ઓ કાલિ, મંગળવારની મધરાતે જે કોઈ પણ, તારો મંત્ર બોલતાં બોલતાં, સ્મશાન-ભૂમિમાં ઈશ્વરની શક્તિ(તેમની નારી સહચરી)ના વાળનું એક વખત પણ અર્ધ્ય ધરે, તે મહાન કવિ બને છે, પૃથ્વીનો રાજા બને છે, અને હંમેશાં હાથી પર વિરાજમાન રહે છે. [૮]

કર્પુરાદી-સ્તોત્ર સ્પષ્ટપણે સૂચવે છે કે કાલિ એ એક ભયંકર, દ્વેષી, દૈત્યોને હણનારી કરતાં કંઈક વધુ છે જે દુર્ગા અથવા શિવની સેવા કરે છે. અહીં, પાંચ મૂળભૂત તત્ત્વો સાથે સંકળાયેલી કાલિને બ્રહ્માંડની સર્વોચ્ચ સ્વામિની તરીકે ઓળખવામાં આવી છે. ભગવાન શિવ, કે જેમને તેમના પતિ કહેવામાં આવે છે, તેમની સાથે મળીને તેઓ વિશ્વોને રચે અને નાશ કરે છે. તેમનું રૂપ પણ, વિશ્વના શાસક તરીકેની તેમની ભૂમિકા અને ધ્યાનના પાત્ર અનુસાર અલગ રીતે પ્રદર્શિત થાય છે.[૧૦] તેમના ભયંકર પાસાંઓથી વિપરીત, તેમનું રૂપ આડકતરી રીતે વધુ સૌમ્ય પાસાંને સૂચવે છે. તેમને યુવાન અને સુંદર દર્શાવવામાં આવે છે, તેમના મુખ પર સૌમ્ય સ્મિત હોય છે, અને તેમના બે જમણા હાથ કોઈ પણ ડરને દૂર કરવાની ભંગિમા અને આશીર્વાદની મુદ્રા દર્શાવે છે. તેમના વધુ હકારાત્મક પાસાંઓ મુક્તિની દેવીમાં શુદ્ધિકરણ માટેના દૈવી ક્રોધને બહાર દર્શાવે છે, જે સાધક ને ભયમાંથી મુક્ત કરે છે. અહીં, કાલિ મૃત્યુ પર વિજયના પ્રતીક તરીકે પ્રદર્શિત થાય છે.[૧૧]

બંગાળી પરંપરામાં કાલિ[ફેરફાર કરો]

કાલિ પૂજા ઉત્સવ

રામપ્રસાદ સેન (1718-75) જેવા ભક્ત સાથે, અંત ભાગના મધ્યયુગીન બંગાળના ભક્તિ સાહિત્યમાં પણ કાલિ એક કેન્દ્રીય પ્રતિમા છે. અઢારમી સદીના પ્રારંભમાં બંગાળી ઉપાસનાઓ શરૂ થઈ ત્યાં સુધી, શિવની અર્ધાંગિની તરીકે પાર્વતી સાથે અપવાદરૂપે સંકળાવા સિવાય, હિન્દુ પુરાણો અને મીમાંસાઓમાં કાલિને ભાગ્યે જ માતાસમાન દેવી તરીકે નિરૂપવામાં આવ્યાં હતાં. બંગાળી પરંપરામાં સુદ્ધાં તેમનો દેખાવ અને આદતો જો બદલાતાં હોય તો પણ, સહેજ જ બદલાય છે.[૧૨]

કાલિ પ્રત્યેનો તાંત્રિક અભિગમ તે તેમના ભયંકર દેખાવ છતાં, સ્મશાનભૂમિમાં રાત્રિના અંધકારમાં તેમનો સામનો કરીને હિંમત પ્રદર્શિત કરવાનો છે. તેનાથી વિપરીત, બંગાળી ભક્ત એક બાળકનું વલણ ધરીને, કાલિના બોધને ગ્રહણ કરે છે. બંને કિસ્સામાં, ભક્તનું ધ્યેય મૃત્યુ અંગે સમાધાન મેળવવાનું અને બાબતો જેવી છે તેને સ્વીકારતાં શીખવાનું છે. આ વિષયોને રામપ્રસાદનાં લખાણોમાં સારી રીતે સમાવવામાં આવ્યા છે.[૧૩]

પોતાના અન્ય કેટલાંય ગીતોમાં રામપ્રસાદ ટીકા કરે છે કે કાલિને તેના ક્ષેમકુશળતા સાથે કોઈ લેવાદેવા નથી, તે એને પીડા આપે છે, તેની દુન્વયી ઇચ્છાઓને શૂન્ય પર લાવી મૂકે છે અને તેની દુન્વયી સમૃદ્ધિનો નાશ નોતરે છે. તે એવું પણ લખે છે કે તેઓ એક માતાની જેમ વર્તણૂક કરતાં નથી અને તેમની આજીજીઓની ઉપેક્ષા કરે છેઃ

જે પથ્થરમાંથી જન્મી છે તેના હૃદયમાંથી શું દયા મળી શકે? [હિમાલયની પુત્રી તરીકે કાલિનો ઉલ્લેખ]
જો તે નિર્દય ન હોત, તો શું તે પોતાના સ્વામીની છાતી પર લાત મારત?
લોકો તને દયાળુ કહે છે, પણ તારામાં દયાનો કોઈ છાંટો નથી, માતા.
તેં અન્યોનાં બાળકોનાં માથાં વાઢી નાખ્યાં છે, અને તેમને તું તારી ગરદન પર માળા તરીકે પહેરે છે.
હું તને કેટલી વાર "મા, મા" કહીને પોકારું છું તેનું કોઈ મહત્ત્વ નથી. તને મારો અવાજ સંભળાય છે, પણ તું સાંભળીશ નહીં. [૧૪]

રામપ્રસાદ ભારપૂર્વક કહે છે, કાલિના સંતાન હોવું એટલે તમામ દુન્યવી આનંદ અને મોજશોખ માટે નકાર પામવો. જેની અપેક્ષા હોય તે ન આપવું એ કાલિની લાક્ષણિકતા કહેવામાં આવે છે. એક ભક્ત માટે, કદાચ કાલિનો એમ કરવાનો ઈનકાર જ તેમને તેમનાં પોતાનાં દૃષ્ટિકોણો અને ઐહિક વિશ્વ કરતાં પર રહેલાં સત્ય વિશે વિચારવા સાર્મ્થ્યવાન બનાવે છે.[૧૪][૧૫]

બંગાળી ભક્તિ સંગીતનો નોંધપાત્ર ભાગ કાલિને તેની કેન્દ્રીય રચના તરીકે દર્શાવે છે અને તે શ્યામા સંગીત તરીકે જાણીતું છે. મુખ્યત્વે પુરુષ ગાયકો દ્વારા ગવાતાં આ સંગીતના સ્વરૂપને, આજે મહિલાઓએ સુદ્ધાં શરૂ કર્યું છે. શ્યામા સંગીતના સૌથી સારા ગાયકોમાંના એક એ પન્નાલાલ ભટ્ટાચાર્ય છે. બંગાળમાં, કાલિ પૂજા ઉત્સવમાં કાલિની ઉપાસના કરવામાં આવે છે – આ ઉત્સવ અશ્વિન માસની પૂર્ણિમાના ઉજવાય છે, જે દિવાળીના ઉત્સવ સાથે આવે છે.

પુરાણવિદ્યા[ફેરફાર કરો]

રક્તબીજનો વધ કરનાર[ફેરફાર કરો]

કાલિની ખૂબ જ પ્રખ્યાત પૌરાણિક કથામાં, દુર્ગા અને તેમના સહાયકો, માતૃકાઓ રક્તબીજ રાક્ષસને નષ્ટ કરવાના પ્રયત્નમાં વિવિધ શસ્ત્રો વડે, વિભિન્ન રીતે તેને ઘાયલ કરીને રક્ત વહાવે છે. એમ કરવા જતાં તેમને તુરત જ ખબર પડે છે કે તેમણે પરિસ્થિતિને બગાડી નાખી છે, કારણ કે રક્તબીજના શરીરમાંથી જે રક્ત વહે છે તેના દરેક ટીપે તે પોતાનામાંથી પોતાના જેવો જ બીજો રાક્ષસ પેદા કરે છે. આ રીતે યુદ્ધક્ષેત્ર રક્તબીજ જેવા વધતા જતા અનેક પ્રતિરૂપ રાક્ષસોથી ઊભરાઈ જાય છે.[૧૬] દુર્ગા, મદદની ભયાનક જરૂરિયાતમાં રાક્ષસો સાથે લડવા માટે કાલિને બોલાવે છે. એમ પણ કહેવાય છે કે આવે વખતે દુર્ગા પોતે દેવી કાલિનું સ્વરૂપ ધારણ કરે છે.

દેવી માહાત્મ્ય માં વિવરણ છેઃ

તેણી(દુર્ગા)ના કપાળની બાહ્ય સપાટી પરથી ભૃકુટી વાંકી કરવા સાથે અત્યંત તીવ્ર ક્રોધ સહિત અચાનક કાલિ સ્વરૂપ પ્રગટ થાય છે, જેનું મુખમંડલ ભયંકર હોય છે અને હાથમાં તલવાર તથા જાળનો ફંદો હોય છે. વિચિત્ર ખત્વંગ (ખોપરીઓ), મુંડમાળના હારથી સુસજ્જ એ સ્વરૂપ વ્યાઘ્રચર્મથી ઢંકાયેલું, ખૂબ જ ભયભીત કરનારું સ્વરૂપ, ક્ષીણ માંસ, ખુલ્લું મુખ, બહાર નીકળેલી તેમની વિકરાળ જીભ, ઊંડી લાલ આંખો, આકાશ પ્રદેશને ભરી દેનારી ગર્જનાઓ, ધડાધડ ઉતાવળું આક્રમણ અને અસુરોના સૈન્યની ભયાનક કતલ સાથે તેમણે દેવોના દુશ્મનોનો સંહાર કરી નાખ્યો. [૧૭]

કાલિએ રક્તબીજના શરીરમાંથી લોહી ચૂસીને તેનો નાશ કર્યો અને બીજા અનેક પ્રતિરૂપ રક્તબીજોને પોતાના વિરાટ મોઢામાં ભરી દીધા. પોતાના વિજયથી પ્રસન્ન થઈને કાલિ પછી યુદ્ધ ભૂમિ પર નૃત્ય કરે છે, જેમાં યુદ્ધમાં હણાયેલા રાક્ષસોના શબો ઉપર પગ મૂકીને તે નાચે છે. તેમના ગુલતાન નૃત્યમાં શિવજી પણ મરેલા રાક્ષસો વચ્ચો કાલિના પગ નીચે આવી જાય છે, કાલિનું આ પ્રસ્તુતિકરણ સામાન્યરૂપે તેમની દક્ષિણાકાલિ તરીકેની પ્રતિમામાં જોવા મળે છે.[૧૮]

આ પુરાણકથાની દેવી માહાત્મ્ય આવૃત્તિમાં, કાલિનું માતૃકા તથા શક્તિ અથવા દેવીની શક્તિ રૂપે વર્ણન મળે છે. તેમને ચામુંડાનું વિશેષણ આપવામાં આવ્યું છે, એટલે કે તે ચંડ તથા મુંડ નામના રાક્ષસોનો પણ નાશ કરનારી છે.[૧૯] ચામુંડા ને ઘણીવાર કાલિ તરીકે ઓળખવામાં આવે છે અને તે દેખાવમાં તથા સ્વભાવમાં મોટા ભાગે કાલિ જેવી જ છે.[૨૦]

દક્ષિણાકાલિ[ફેરફાર કરો]

ભદ્ર કાલિ (કાલિનું સૌમ્ય રૂપ), આશરે 1675.રંગચિત્ર; ભારત, હિમાચલ પ્રદેશ, બસોહલીમાં બનેલું, હવે એલએસીએમએ(LACMA)માં મૂકવામાં આવ્યું છે.

તેણીનાં મોટા ભાગનાં સ્વરૂપો અને ચિત્રો દક્ષિણાકાલિ તરીકેના જોવા મળે છે, એમ કહેવાય છે કે યુદ્ધભૂમિ પર રાક્ષસોનું રક્ત પીધા પછી તે અતિ આવેશમાં સંહારક નૃત્ય કરે છે. પોતાની તીવ્ર ઉત્તેજનામાં તે યુદ્ધભૂમિ પર પડેલા અસુરોનાં શબો વચ્ચે પોતાના પતિનું શરીર જોવામાં પણ નિષ્ફળ જાય છે.[૨૧] છેવટે શિવની ચીસ સાંભળીને તેનું ધ્યાન જાય છે, તેનો ક્રોધ શાંત થાય છે. આ રીતે પોતાના પતિનું અપમાન કરવાની શરમની નિશાનીરૂપે કાલિની જીભ બહાર જ અટકી જાય છે. જો કે કેટલાક સ્રોતો એમ પણ કહે છે કે તાંત્રિક સંદર્ભમાં, જીભના પ્રતીકવાદની પછીની આવૃત્તિના અર્થઘટનમાં જીભ એ રજસ (ઊર્જા અને ક્રિયા)ના ગુણ ને ઘોષિત કરતી જોવા મળે છે, જે સત્ત્વ, આધ્યાત્મિક અને ઈશ્વરીય જીવો દ્વારા નિયંત્રિત છે, જે હત્યા કરનારા તરીકે કામ આપે છે.[૨૨]

માતૃવત્ કાલિ[ફેરફાર કરો]

બીજી એક પુરાણ કથા વર્ણન કરે છે કે બાળ શિવ કાલિને શાંત કરે છે. લગભગ એવી જ કથામાં, કાલિ ફરીથી યુદ્ધભૂમિમાં દુશ્મનોને હરાવે છે અને અનિયંત્રિત રીતે નૃત્ય શરૂ કરે છે, મારેલા દુશ્મનોનું રક્ત પીએ છે. તેને શાંત કરવા અને વિશ્વની સ્થિરતાની સુરક્ષા માટે શિવને બાળ સ્વરૂપે યુદ્ધભૂમિ પર મોકલવામાં આવે છે, જે મોટેથી રડે છે. બાળકને હતાશ થયેલો જોઈને, કાલિ નિરાધાર બાળકની સંભાળ લેવા માટે પોતાનું નૃત્ય રોકી દે છે. કાલિ બાળ શિવને ઊંચકી લે છે, તેના કપાળે ચુંબન કરે છે અને તેને સ્તનપાન કરાવવા આગળ વધે છે.[૨૩]

મહાકાલિ[ફેરફાર કરો]

મહાકાલિ (સંસ્કૃત: મહાકાલિ, દેવનાગરી: महाकाली), અક્ષરશઃ અનુવાદ કરવામાં આવે તો મહાન, ભવ્ય કાલિ, જેને ક્યારેક કાલિના વધુ મોટા સ્વરૂપ રૂપે લેખવામાં આવે છે, બ્રહ્મની અંતિમ વાસ્તવિકતા સાથે ઓળખવામાં આવે છે. તેને સાદી ભાષામાં ફક્ત દેવી કાલિના સન્માન અર્થે પણ વાપરી શકાય,[૨૪] કાલિ શબ્દની આગળ "મહા" શબ્દ લગાડીને તેની મહાનતા સ્પષ્ટ કરવામાં આવે છે. સંસ્કૃતમાં શબ્દ વ્યુત્પત્તિની દૃષ્ટિએ, તે મહાકાલ અથવા ભવ્ય સમયનું સ્ત્રીલિંગ રૂપ છે (જેનું અર્થઘટન મૃત્યુ તરીકે પણ થાય છે), હિંદુમતમાં ભગવાન શિવનું એક વિશેષ નામ, વિશેષણ. મહાકાલિ દેવી માહાત્મ્ય ના પ્રથમ ઉપાખ્યાનની અધિષ્ઠાતા દેવી છે. અહીં તેને શક્તિ તરીકે તેની અંદર રહેલા બ્રહ્માંડીય સ્વરૂપને દેવી રૂપે ચિત્રિત કરવામાં આવ્યું છે. અહીં દેવી એક ઍજન્ટ તરીકે સેવા આપે છે, જે બ્રહ્માંડીય આદેશને પુનઃસ્થાપિત કરવા તૈયાર હોય છે.

મૂર્તિશાસ્ત્ર/ચિત્ર નિરૂપણ[ફેરફાર કરો]

કાલિને મોટા ભાગે બે સ્વરૂપમાં ચિત્રિત કરવામાં આવે છેઃ લોકપ્રિય ચાર-હાથવાળું અને દસ-હાથવાળું મહાકાલિનું સ્વરૂપ. દેવીનું વર્ણન કાળા રંગમાં કરવામાં આવે છે, પરંતુ પ્રખ્યાત ભારતીય કલામાં તેને ઘણીવાર ભૂરા રંગમાં પણ ચિત્રિત કરવામાં આવે છે. તેની આંખોનું વર્ણન લાલ રંગનું અને તે પણ ઉન્માદ તથા ઉત્તેજનાપૂર્ણ તથા સંપૂર્ણપણે ક્રોધ તથા રોષપૂર્ણ કરવામાં આવે છે. તેના વાળ અસ્ત-વ્યસ્ત બતાવવામાં આવે છે, સર્પના જેવા નાનકડા દાંત ક્યારેક મોઢાથી બહાર નીકળેલા અને તેની જીભ બહાર લટકતી દેખાય છે. ઘણીવાર તેને નગ્ન અથવા મનુષ્યના બાહુઓનું બનેલું સ્કર્ટ તથા મનુષ્યના મસ્તકની માળા પહેરેલી દેખાડવામાં આવે છે. તેની સાથે સર્પો અને શિયાળ પણ હોય છે જ્યારે તે આભાસરૂપ મૃત શિવની ઉપર ઊભી હોય છે, સામાન્ય રીતે જમણો પગ આગળ હોય છે, વધુ પ્રખ્યાત દક્ષિણમાર્ગના માર્ગ અથવા જમણેરી પથના પ્રતીકરૂપે, કારણ કે એ વિરોધ દર્શાવે છે વધુ કુખ્યાત અતિચારી વામમાર્ગ અથવા ડાબેરી પથનો.[૨૫]

મહાકાલિના દસ-હાથવાળા સ્વરૂપમાં તેને ચિત્રિત કરી છે ચમકતા ભૂરા પથ્થર તરીકે. તેને દસ ચહેરા અને દસ પગ તથા ત્રણ આંખો છે. તેના બધા હાથ-પગ પર અલંકારો સજાવેલા છે. તેમાં શિવ સાથે કંઈ જ સમ્બધ્ધ નથી.[૨૬]

કાલિકા પુરાણ શાંત, સંતુષ્ટ ઘેરા રંગમાં, પૂર્ણ રૂપે સુંદર, વાઘની સવારી, ચાર હાથ, હાથમાં તલવાર અને ભૂરા રંગનાં કમળ, તેના વાળ વિખરાયેલા, શરીર સુદૃઢ અને યુવા સ્વરૂપમાં કાલિનું વર્ણન કરે છે.[૨૭]

તેમના વિકરાળ, બિહામણા સ્વરૂપને બદલે કાલિ માને તમામ હિન્દુ દેવીઓમાં સૌથી વધુ પ્રેમાળ લેખવામાં આવે છે, કારણ કે તેમના ભક્તો દ્વારા તેને સમગ્ર બ્રહ્માંડની માતા રૂપે પૂજવામાં આવે છે. અને તેના ભયંકર વિકરાળ સ્વરૂપને કારણે તેને મોટા ભાગે મહાન સંરક્ષક તરીકે પણ જોવામાં આવે છે. જ્યારે બંગાળી સંત રામકૃષ્ણે એક વખત કાલિ ભક્તને પૂછ્યું કે શા માટે કોઈ માની ભક્તિ કરવાનું પસંદ કરે છે, ત્યારે ભક્તે આલંકારિક શબ્દોમાં ઉત્તર આપ્યો, "મહારાજ, જ્યારે તમારા ભક્તો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ તમારી પાસે દોડતા આવે છે. પરંતુ, તમે જ્યારે તકલીફમાં હો ત્યારે તમે ક્યાં દોડી જાઓ છો?"[૨૮]

રામકૃષ્ણ પરમહંસના કહેવા પ્રમાણે, કાળાપણું એ મૂળભૂત મા અથવા કાલિ છેઃ

મારી મા ચૈતન્યનું આધારભૂત કારણ છે. તે અખંડ સચ્ચિદાનંદ છે; અદૃશ્ય વાસ્તવિકતા, જાગૃતિ અને ચરમ આનંદ છે. રાત્રિનું આકાશ તારાઓ સહિત સંપૂર્ણ કાળું હોય છે. સમુદ્રના ઊંડાણનાં જળનો દેખાવ પણ એવો જ હોય છે; જે અનંત, અપરિમિત છે તે હંમેશાં રહસ્યાત્મક રીતે કાળું જ હોય છે. આ મદોન્મત્ત કરી દેનાર ઘેરો કાળો રંગ એ મારી પ્રિય કાલિ છે.

-શ્રી રામકૃષ્ણ તેના સમગ્ર ઇતિહાસમાં દુનિયાભરના ચિત્રકારોએ કાલિને અસંખ્ય ભાવભંગિમામાં અને પરિવેશોમાં ચિત્રિત કરી છે, તેમાંના કેટલાંક સ્વરૂપો પ્રખ્યાત વિવરણથી ક્યાંય દૂર પડતાં, અને ક્યારેક તો ચિત્રાત્મક દૃષ્ટિએ કામુક પ્રકારનાં પણ જોવા મળે છે. આ દેવીને મળેલી ખ્યાતિને લીધે ચિત્રકારો ગમે ત્યાં કાલિની મૂર્તિની સુંદરતા ઉજાગર કરતાં જ રહેશે. આ તથ્ય સ્પષ્ટરૂપે ચાર્લ્સ વિશ અને તૈયબ મહેતા જેવા સમકાલીન કલાકારોનાં ચિત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે, જેઓ ક્યારેક પરંપરાગત, સ્વીકૃત પ્રતીકાત્મક્તા સાથે વિશેષ છૂટ લે છે, પરંતુ તેમ છતાં શાક્ત સંપ્રદાય માટે સાચો આદર પ્રદર્શિત કરે છે.

લોકપ્રિય સ્વરૂપ[ફેરફાર કરો]

કાલિનું દક્ષિણ ભારતીય ચિત્રણ

કાલિનું ઉત્કૃષ્ટ સાહિત્ય કેટલાંક લક્ષણો વર્ણવે છે, જે નીચે પ્રમાણે છેઃ

કાલિની ખૂબ જ સામાન્ય રૂપે જોવા મળતી ચાર-હાથવાળી ચિત્રાત્મક પ્રતિમા દર્શાવે છે કે પ્રત્યેક હાથમાં વિવિધ પ્રકારની તલવાર, ત્રિશૂલ, દુશ્મનનું પ્રચંડ મસ્તક અને એક હાથમાં કટોરો અથવા ખોપરી (કપાલ) હોય છે, જે કપાયેલા ભયંકર મસ્તકમાંથી નીકળતા રક્તથી ભરાતું હોય છે. આ ચાર માંહેના બે હાથ(સામાન્ય રૂપે ડાબા)માં તલવાર અને દુશ્મનનું કપાયેલું માથું હોય છે. તલવાર દૈવી જ્ઞાન સૂચવે છે અને મનુષ્યનું મસ્તક મનુષ્યના અહંકારનું સૂચક છે, જે મોક્ષ પ્રાપ્તિ માટે દૈવી જ્ઞાન દ્વારા ઉતારી લેવામાં આવ્યું છે. બીજા બે હાથ (સામાન્ય રીતે જમણા) અભય (નિર્ભયતા) અને વરદ (વરદાન) મુદ્રામાં છે, જેનો અર્થ થાય છે તેણીના દીક્ષિત ભક્તો(અથવા જે કોઈ તેને સાચા હૃદયથી ભજતા હોય)ને બચાવી લેવામાં આવશે, કારણ કે અહીં માર્ગદર્શન આપશે અને આગળ ઉપર પણ સન્માર્ગ દાખવશે.[૨૯]

તેણે ગળામાં માળા પહેરી છે તેમાં મનુષ્યોનાં મસ્તકો છે, વિવિધરૂપે તેની ગણના 108 (હિન્દુ મત પ્રમાણે પવિત્ર સંખ્યા તથા મંત્રજાપ માટેની માળાના મણકાની ગણતરી કરી શકાય તેવી સંખ્યા) અથવા 51 જે વર્ણમાળાનું પ્રતિનિધિત્વ કરે છે તે અથવા દેવનાગરી લિપિના સંસ્કૃત મૂળાક્ષરનો હાર છે. હિન્દુઓ માને છે કે સંસ્કૃત એ ગતિવાદની ભાષા છે, અને તેના પ્રત્યેક અક્ષરો ઊર્જાના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો એ કાલિનું સ્વરૂપ છે. તેથી તે સામાન્ય રીતે ભાષા અને મંત્રોની માતા રૂપે દેખાય છે.[૩૦]

તેને ઘણી વાર નગ્નાવસ્થામાં ચિત્રિત કરવામાં આવે છે, જે પ્રતીકાત્મક રીતે સૂચવે છે કે તે માયાના આવરણથી પર એટલે કે મુક્ત છે કારણ કે તે શુદ્ધ (નિર્ગુણ) હોવાથી ચૈતન્યનું વરદાન છે અને પ્રકૃતિથી ખૂબ જ ઉપર એટલે કે ભિન્ન છે. તેને ઘેરા કાળા રંગમાં દર્શાવવામાં આવે છે કારણ કે તે પાતાની સર્વોચ્ચ અવ્યક્ત દશામાં બહ્મ છે. તેનામાં કોઈ ગુણો સ્થાયી નથી – તે બ્રહ્માંડનો લય થઈ જાય તો પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે. તેને લીધે એમ માનવામાં આવે છે કે રંગ, પ્રકાશ, સારું, ખરાબ વગેરેની કોઈ ધારણા તેના લાગુ પડતી નથી – તે શુદ્ધ છે, અપ્રગટ ઊર્જા છે, આદિ-શક્તિ છે.[૩૧]

મહાકાલિ સ્વરૂપ[ફેરફાર કરો]

મહાકાલિ સ્વરૂપમાં કાલિને દસ માથાં, દસ હાથ અને દસ પગ સહિત ચિત્રિત કરવામાં આવે છે. તેના દસેય હાથોમાં વિવિધ સાધનો હોય છે, જે વિભિન્ન અર્થોમાં જુદાં પડે છે, પરંતુ તે દરેક કોઈ એક દેવ અથવા હિન્દુ ભગવાનની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને ઘણીવાર શસ્ત્ર અથવા ચોક્કસ દેવની કર્મકાંડની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તેનું કાર્યાન્વયન એ છે કે આ દેવતાઓ જે શક્તિઓ ધરાવે છે તે બધી શક્તિઓ મહાકાલિમાં સમ્મિલિત છે અને તે માટે એ જવાબદાર છે. આ વાત એ અર્થઘટન સાથે બંધબેસતી થાય છે કે મહાકાલિનું બ્રહ્મા સાથે સામ્ય છે. જ્યારે દસ મસ્તકો સહિત તેને દર્શાવવામાં નથી આવતી ત્યારે "એકમુખી" અથવા એક મસ્તકવાળી પ્રતિમા દસ ભુજાઓ સહિત દર્શાવી શકાય છે, જેની ધારણા પણ એ જ સૂચિત કરે છેઃ વિભિન્ન ભગવાનોની શક્તિઓ ફક્ત કાલિની કૃપાથી જ મળે છે.

કાલિ મૂર્તિ-મીમાંસામાં શિવ[ફેરફાર કરો]

આ બંને પ્રતિમાઓમાં તે શિવના નિષ્ક્રિય અથવા મૃત શરીર ઉપર ઝૂકીને ઊભેલી દેખાય છે. શિવના શબ ઉપર ઊભેલી દેખાતી કાલિ પાછળના કારણ માટે એક પૌરાણિક કથા છે, જેનો અર્થ નીચે પ્રમાણે છેઃ

એક વખત કાલિએ યુદ્ધમાં રાક્ષસોનો નાશ કર્યો, અને તેણે વિજયના તીવ્ર આનંદમાં ભયંકર નૃત્ય કરવાનું શરૂ કર્યું. તમામ વિશ્વો અથવા લોકો કાંપવા લાગ્યા અને કાલિના નૃત્યના પ્રભાવમાં ડોલવા લાગ્યા. તેથી, બધા ભગવાનોએ મળીને શિવજીને વિનંતી કરી, તેથી શિવજીએ સ્વયં કાલિને આ આચરણ રોકવા કહ્યું. તેમ છતાં તે એટલી બધી ઉન્મત્ત અવસ્થામાં હતી કે તેણે શિવની વિનંતી સાંભળી નહીં. તેથી શિવ મરેલા રાક્ષસોના મૃતદેહો વચ્ચે સૂઈ ગયા, જેથી કાલિના નૃત્યનો આઘાત પોતે સહન કરી લઈ શકે. જેવો કાલિએ પોતાનો પગ પતિના દેહ પર મૂક્યો તે સાથે જ તેને પોતાની ભૂલનું ભાન થયું અને શરમાઈને પોતાની જીભનો ટુકડો કાપી નાખ્યો.[૩૨]

કાલિ પોતાના પતિના શરીર પર ઊભી છે તેનું તાંત્રિક નીચે પ્રમાણે છેઃ

શિવ તત્ત્વ (શિવ તરીકેની દૈવી ચેતના) નિષ્ક્રિય છે, જ્યારે શક્તિ તત્ત્વ (કાલિ તરીકેની દૈવી ઊર્જા) સક્રિય છે. શિવ, અથવા મહાદેવ બ્રહ્માનું પ્રતિનિધિત્વ કરે છે, જે અંતિમ શુદ્ધ ચેતના છે અને તે તમામ નામો, સ્વરૂપો તથા પ્રવૃત્તિઓથી પર છે. જ્યારે બીજી તરફ કાલિ સંભાવિત (અને પ્રગટ) ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે તમામ નામો, સ્વરૂપો તથા પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. તે શક્તિ છે અથવા ઊર્જા ઉત્પન્ન કરનારી છે, અને તમામ ચૈતન્યની સમગ્ર અંતર્વસ્તુ પાછળના મૂળભૂત તત્ત્વરૂપે દેખાય છે. તે ક્યારેય શિવથી પોતાનું અસ્તિત્વ અલગ ન કરી શકે અથવા સ્વતંત્રરૂપે કંઈ ન કરી શકે. તાત્પર્ય એ કે બ્રહ્માંડની શક્તિ, સમગ્ર પદાર્થ/ઊર્જા શિવ અથવા બ્રહ્માથી ભિન્ન નથી, પરંતુ એ ઠીક ઠીક બ્રહ્માની ગતિશીલ ઊર્જા અથવા શક્તિ છે.[૩૩]

જ્યારે અદ્વૈતાત્મક શક્તિમતમાં આ એક આગળ પડતો વિચાર છે, તે કાશ્મિરની અદ્વૈત ત્રિકા ફિલસૂફી સાથે પણ સહમત છે, જે દર્શન કાશ્મિરી શૈવમત તરીકે પ્રખ્યાત છે અને બહુ પ્રખ્યાત અભિનવગુપ્ત સાથે સંકાળાયેલું છે. એક એવી લોકવાયકા છે કે "શક્તિ વગરના શિવ એ શબ જેવા છે," એટલે કે કાર્યની ઊર્જા(શક્તિ) જે મહાકાલિ(દેવનાગરીમાં હ્રસ્વ "ઇ" રૂપે રજૂ થાય છે) શિવ (અથવા સ્વયં ચૈતન્ય) જે નિષ્ક્રિય છે. શવ એટલે સંસ્કૃતમાં લાશ અથવા મૃત શરીર તથા શબ્દના ખેલમાં સંસ્કૃતના તમામ વ્યંજનો પાછળ ટૂંકો "અ"નો ઉચ્ચાર થાય જ, અન્યથા એ અક્ષર અધૂરો રહે. હ્રસ્વ "ઇ" સૂચક છે સ્ત્રી શક્તિ ઊર્જા અથવા શક્તિ જે રચનાને સક્રિય બનાવે છે. આ સ્પષ્ટતા ઘણી વાર આપવામાં આવે છે કે શા માટે કાલિ શિવ ઉપર ઊભી છે, જે બીજી રીતે તેનો પતિ છે અને શક્તિમત અથવા શૈવમતમાં સર્વોચ્ચ ઈશ્વરીય તત્ત્વનું પૂરક છે.

આ ગૂંચવાડાને યોગ્ય રીતે સમજવા માટે તાંત્રિક પ્રતીકવાદ એ યાદ રાખવા માટે મહત્ત્વનો છે કે શિવ અને કાલિ પાછળનો અર્થ શંકર અથવા ઉપનિષદ, બન્ને અનુસાર અદ્વૈતવાદની જે શબ્દાવલી છે તેનાથી દૂર ભટકતો નથી. મહાનિર્વાણ અને કુલાર્ણવ તંત્રો, આ બે ભિન્ન માર્ગ છે એ જ અંતિમ વાસ્તવિકતાને સમજવા માટેના બે અલગ રસ્તા છે. પ્રથમ એ લોકોત્તર અથવા અન્તર્જ્ઞાત સમક્ષેત્ર છે, જેનું વર્ણન મોટા ભાગે સ્થિર, નિશ્ચલ એવું થાય છે, છતાં તે અનંત છે. આ સમયે કોઈ પદાર્થ નથી, કોઈ બ્રહ્માંડ નથી અને ફક્ત ચેતનાનું અસ્તિત્વ છે. નિશ્ચયાત્મકતા અથવા વાસ્તવિકતાનું આ સ્વરૂપ શિવ તરીકે જાણીતું છે, અંતિમ કેવળ સત્-ચિત્ત-આનંદ - અસ્તિત્વ, જ્ઞાન અને ચરમ આનંદ જ. બીજું છે એ સક્રિય સમક્ષેત્ર છે, એક સર્વવ્યાપી સમક્ષેત્ર, પદાર્થનું સમક્ષેત્ર, માયાનું સમક્ષેત્ર, એટલે કે જ્યાં સ્થળ-સમય અને દેખાવની માયાજાળના ખરેખર બ્રહ્માંડનું અસ્તિત્વ છે. વાસ્તવિકતાનું આ સ્વરૂપ કાલિ અથવા શક્તિ તરીકે જાણીતું છે, અને (તેની સમગ્રતામાં) તે હજુ પણ એ જ અંતિમ સત્-ચિત્ત-આનંદ તરીકે ચોક્કસ વિવરણ આપે છે. તે અહીં આ બીજા સમક્ષેત્રમાં છે કે બ્રહ્માંડ(જેને આપણે સામાન્યરૂપે જાણીએ છીએ તેમ)નો અનુભવ તાંત્રિકોને દ્રષ્ટા રૂપે થયો છે અને તેનું વર્ણન તેમણે કર્યું છે શક્તિ અથવા ભગવાનને મા કાલિ સ્વરૂપે.[૩૪]

કાલિ અને ભૈરવ (શિવનું ભયંકર સ્વરૂપ) સંલગ્ન, 18મી સદી, નેપાલ.

તાંત્રિક સાપેક્ષ મહત્ત્વમાંથી, જ્યારે કોઈ આરામથી વાસ્તવિકતા અથવા યથાર્થ સત્તા પર ધ્યાન ધરે છે, સંપૂર્ણ ચેતના તરીકે (રચના, પાલન અથવા લયની કોઈ પ્રવૃત્તિ વગર) ત્યારે તેને તે શિવ અથવા બ્રહ્મા તરીકે માને છે. જ્યારે કોઈ એ જ યથાર્થ સત્તાનું ધ્યાન ગતિશીલ અને રચનાત્મક રૂપે કરે છે ત્યારે શુદ્ધ ચેતનાનું નિરપેક્ષ અબાધ અંતર્વસ્તુ (રચના, પાલન અથવા લયની તમામ પ્રવૃત્તિઓ સહિત) સાધક તેને કાલિ અથવા શક્તિ સ્વરૂપે માને છે. તેમ છતાં, ઉપરના બન્નેમાંથી કોઈ પણ કિસ્સામાં યોગિની અથવા યોગી એક અને સમાન વાસ્તવિક સત્તાને પામવામાં રુચિ ધરાવતાં હોય છે- તેમાં એક માત્ર ફરક હોય છે નામનો અને દેખાવના ઓછા-વધતા સ્વરૂપોનો. બસ, આ જ કાલિ શિવની છાતી પર ઊભી છે તેનો સામાન્ય રીતે સ્વીકૃત અર્થ છે.[૩૩]

તેમ છતાં દૈવી સંયોજનની પ્રતિમાઓની આસપાસ ઘણીવાર વિરોધાભાસ રહે છે, સામાન્ય સર્વસંમતિ તેના પદાર્થમાં કોઈ પણ શારીરિક અશુદ્ધિઓમાંથી સૌમ્ય, સુસાધ્ય અને મુક્ત છે. તંત્રમાં માનવ શરીર બ્રહ્માંડના સૂક્ષ્મ અંશનું પ્રતીક છે; તેથી વિશ્વની રચના માટે જાતીય પ્રક્રિયા જવાબદાર છે. જો કે સૈદ્ધાન્તિક રીતે શિવ અને કાલિ (અથવા શક્તિ) અભિન્ન છે, જેમ કે અગ્નિ અને તેની બાળવાની શક્તિ, રચના કરવાની બાબતમાં તેઓ ઘણી વખત અલગ ભૂમિકાઓમાં જોવા મળે છે. શિવ પુરુષ તરીકે અને કાલિ સ્ત્રી તરીકે ફક્ત તેમના જોડાણથી જ રચના ઘટિત થઈ શકે. આ તથ્ય આપણને યાદ અપાવે છે સાંખ્યના પ્રકૃતિ અને પુરુષના સિદ્ધાન્તની, જેમાં પ્રકાશ-વિમર્શની વ્યવહારમાં કોઈ કિંમત નથી, બસ જેમ પ્રકૃતિ સિવાય પુરુષ સદંતર નિષ્ક્રિય છે. આ (ફરી એક વખત) ભાર મૂકે છે શિવ અને શક્તિના પરસ્પરાવલંબન પર અને તેમના જોડાણની ઓજસ્વિતા પર.[૩૫] ગોપી કૃષ્ણે પ્રસ્તાવિત કર્યું કે કાલિ મૃત શિવ અથવા શવ (મૃત દેહ માટેનો સંસ્કૃત શબ્દ) ઉપર ઊભી છે તે પ્રતીકાત્મક રૂપે વ્યક્તિની નિરાધાર સ્થિતિ સ્પષ્ટ કરે છે કે પરિવર્તનની પ્રક્રિયા (મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે) જે કુંડલિની શક્તિએ શરીરમાં શરૂ કરી છે.[૩૬]

વિકાસ[ફેરફાર કરો]

પ્રાચીન ગ્રંથ કાલિ કૌતુકમ વર્ણવે છે કે નૃત્યમાં તેની શિવ સાથેની સ્પર્ધા, જેમાંથી પવિત્ર 108 કરણ દેખાયા. શિવ એક પ્રકારના કરણ, ઊર્ધ્વ તાંડવનો અભિનય કરીને એ સ્પર્ધા જીત્યા, પોતાનો પગ માથા સુધી ઊંચો કરીને. બીજા ગ્રંથમાં વિવરણ છે કે શિવ રડતાં બાળકે જેવા દેખાય છે અને તેની માતૃવૃત્તિને અનુરોધ કરે છે. જ્યારે કહેવાય છે કે શિવ તેણીને શાંત કરવા સક્ષમ છે, મૂર્તિ મીમાંસા અનેકવાર કાલિને શિવના નીચે પડી ગયેલા શરીર નૃત્ય કરતી રજૂ કરે છે. કેટલાંક તાંત્રિક લખાણોમાં કાલિને ખૂબ જ ભવ્ય તાત્વિક અને તાર્કિક મહત્ત્વ અપાયું છે. નિર્વાણ-તંત્ર સ્પષ્ટ રૂપે તેની અનિયંત્રિત પ્રકૃતિને અંતિમ યથાર્થ સત્તા રૂપે રજૂ કરે છે, દાવો કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની ત્રિમૂર્તિ કાલિમાંથી જ સમુદ્રમાં જેમ પરપોટા થાય અને વિલીન થઈ જાય એ રીતે ઉદ્ભવી અને અદૃશ્ય થઈ ગઈ છે. જો કે આ એક અત્યાધિક કિસ્સો છે, યોગિની-તંત્ર, કામાખ્યા-તંત્ર, અને નિરુત્તર-તંત્ર કાલિને મહાદેવીનું સ્વ-રૂપ (સ્વયં હોવું) જાહેર કરે છે (એટલે કે એવી દેવી જેમાં તમામ દેવીઓનું સંયોજન જોઈ શકાય છે).

કાલિ-ભક્તિના વિકાસનું અંતિમ ચરણ છે એક મહાન માતા તરીકેનું, જેમાંથી તેની સામાન્ય હિંસાની બાદબાકી કરવામાં આવી છે. આ ચરણ વધુ પરંપરાગત ચિત્રો અને વિવરણોને થંભાવે છે. આ પરંપરાના આદ્ય સ્થાપક છે 18મી શતાબ્દીના શાક્ત કવિ જેવા કે રામપ્રસાદ સેન, જે કાલિની ઉભયભાવી પ્રકૃતિની જાગરૂકતા દર્શાવે છે. 19મી સદીના બંગાળી સંત રામકૃષ્ણ કાલિના મહાન ભક્ત હતા. તેમની પાશ્ચાત્ય ખ્યાતિએ આ દેવીના વધુ આધુનિક, સંદિગ્ધાર્થક અર્થઘટનમાં વધુ યોગદાન આપ્યું હોઈ શકે છે. રેચેલ મૅકડેર્મોટની કૃતિઓમાં, જો કે, એવું સૂચન સામાન્ય, આધુનિક ભક્તો માટે થયું કે કાલિ ભયાનક અથવા ભયજનક સ્વરૂપે દેખાતી નથી, અને જેઓ જૂની પરંપરામાં શિક્ષિત થયા છે તેઓને માટે કાલિને ક્રોધિત ઘટકરૂપે જોવાનું રહ્યું. દેવીના વિકાસનું થોડું શ્રેય સાંખ્યને પણ આપવું જોઈએ. તેમાં દેવીને ભ્રાન્તિ અથવા મિથ્યા વિશ્વાસ, મહામાયા, પ્રકૃતિના ત્રણ ગુણોને સ્પષ્ટ કરવા માટે અભિનય કરતી (પરંતુ તેનાથી બાધ્ય નહીં) એવી ત્રિગુણાત્મક શક્તિ રૂપે સૂચવવામાં આવી છે તેથી તેનાં ત્રણ સ્વરૂપો છેઃ મહા-કાલિ, મહા-લક્ષ્મી અને મહા-સરસ્વતી, ક્રમશઃ તામસિકા, રાજસિકા અને સાત્ત્વિકા સ્વરૂપોમાં. આ દૃષ્ટિએ કાલિ ફક્ત વિરાટ સમગ્રનો એક ભાગ જ છે.

સર જૉન વૂડ્રોફ અને જ્યોર્જ ફ્યૂર્સ્ટેઈનની જેમ અનેક તાંત્રિક વિદ્વાનો (તેમ જ નિષ્ઠાવાન સાધકો) એ વાતે સંમત થાય છે કે તમે તેમનું ગમે તેટલું શુભ અને માંગલિક અથવા ભયાવહ વર્ણન કરો, શિવ અને દેવી સર્વસામાન્ય રીતે પ્રતિદિન માટેનાં માન્ય પ્રતીકો છે, તેઓ ગૂઢ (છતાં સાકાર) વિચારધારાઓ છે જેવી કે પ્રત્યક્ષ જ્ઞાન, બોધ જ્ઞાન, સ્થળ-સમય, કાર્ય-કારણ-સંબંધ તથા આવી વાતોને પરિસીમિત કરીને તેમાંથી વ્યક્તિની મુક્તિની પ્રક્રિયા. શિવ વિશુદ્ધ નિરપેક્ષ ચેતનાનું પ્રતીક છે, અને દેવી એ ચેતનાની સમગ્ર અંતર્વસ્તુનું પ્રતીક છે, છેવટે તેઓ બંને એક જ અને સમાન છે – સંપૂર્ણતામાં દેહધારી અવતારી, એ તમામ વિષયોનું તમામ પદાર્થોનું વિરાટ-સૂક્ષ્મ-બ્રહ્માંડીય તત્ત્વોનું અને "બે" વચ્ચેના અસાધારણ સંબંધોનું પણ સંયોજન છે. જેમ કે પુરુષ અને સ્ત્રી બન્ને આપસમાં ઘણી સામાન્ય, માનવીય વિશિષ્ટતાઓ ધરાવે છે તેમ છતાં તેઓ એ જ વખતે પરસ્પરથી ભિન્ન છે, અને તેથી જ બન્ને એકબીજાનાં પૂરક તરીકે જોઈ શકાય છે.[૩૭]

કાલિને ભજનારા વ્યાવહારિકતાની બહાર દેવીના વિભિન્ન સૌમ્ય, શાંત અને ભયભીત કરનારા ગુણોનું વર્ણન કરે છે. તેઓ આવું કરે છે તેથી તેઓ પોતે દેવીને જે રીતે જાણે, સમજે છે અને દેવી સાથે પોતાને સાંકળી શકે છે તેવાં વિવિધ પ્રતીકોમાંથી યોગ્ય પ્રતીક પસંદ કરે છે, અને સમય, સ્થળ અને પ્રગટ કરવાના વ્યક્તિગત સ્તરને ક્યારેય બદલતા નથી. જેમ કે આધુનિક દવા-વિક્રેતા અથવા ભૌતિક વિજ્ઞાની ઘણા બધા આણ્વિક તથા પરમાણ્વિક નમૂનાઓનો ઉપયોગ કરે છે એ સમજાવવા માટે કે પ્રાથમિક અથવા અલ્પ વિકસિત સંવેદી સાધનો દ્વારા શું નથી સમજી શકાતું, સત્તામીમાંસા અથવા વ્યષ્ટિવિજ્ઞાન તથા જ્ઞાનમીમાંસાના વૈજ્ઞાનિકોએ પણ એમ જ કરવું પડે છે. બીજા ધર્મોની તુલનામાં તંત્ર વિશિષ્ટ રૂપે એ વાતે જુદું પડે છે કે તે ભક્તો અને સાધકોને તેમની જરૂરિયાત અને રુચિ અનુસાર જે પ્રતીક તથા અલંકૃત ભાષા અનુકૂળ જણાય તે પ્રતીકોની વિશાળ ઉપલબ્ધ શ્રેણીમાંથી પસંદ કરી શકે છે. સૌંદર્યબોધની દૃષ્ટિએ તેમાં કંઈ પણ નિષેધ નથી તેમ જ કંઈ પણ રૂઢિગ્રસ્ત નથી. આ દૃષ્ટિએ, કાલિ ઉપર વધુ સૌમ્ય ગુણોનું આરોપણ એ અપવિત્રીકરણ અથવા દેવીદ્રોહ નથી અને કાલિનો વિકાસ ખરેખર તેના સાધકોમાં રહેલો છે, મૂર્તિમાં નહીં.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ગ્રોલિઅર ઈનકોર્પોરેટેડ કૃત એનસાઈક્લોપિડિયા ઈન્ટરનૅશનલ, કૅનેડામાં કૉપીરાઈટ 1974. AE5.E447 1974 031 73-11206 ISBN 0-7172-0705-6 પૃ. 95
  2. પાણિની 4.1.42
  3. કૉબર્ન, થોમસ; દેવિ મહાત્મ- ક્રિસ્ટલાઈઝેશન ઓફ ધ ગોડેસ ટ્રેડિશન; મોતિલાલ બનારસીદાસ, દિલ્હી, 1984; ISBN 81-208-0557-7 પૃ. 111–112.
  4. હ્યુગ અર્બન, "ઈન્ડિયાઝ ડાર્કેસ્ટ હાર્ટઃ કાલિ ઈન કૉલોનિયલ ઈમેજિનૅશન," એનકાઉન્ટરિંગ કાલિઃ ઈન ધ માર્જિન્સ, એટ ધ સેન્ટર, ઈન ધ વેસ્ટ, સંપાદક રૅચેલ ફેલ મૅકડર્મોટ અને જેફરી કૃપાલ (બર્કલેઃ યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયા પ્રેસ, 2003)
  5. ડેવિડ કિન્સ્લે, તાંત્રિક વિઝન્સ ઓફ ધ ડિવાઈન ફેમિનાઈનઃ ધ ટેન મહાવિદ્યાસ (બર્કલીઃ યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયા પ્રેસ, 1997), પૃ. 70
  6. ૬.૦ ૬.૧ ડી. કિન્સ્લે પૃ. 122.
  7. ડી. કિન્સ્લે પૃ. 122–123.
  8. ૮.૦ ૮.૧ ડી. કિન્સ્લે પૃ. 124.
  9. કર્પુરાદિ સ્તોત્ર, તાંત્રિક ગ્રંથ ખંડ IX આર્થર ઍવલોન (સર જૉન વૂડ્રોફ), કલક્તા આગમઅનુસંધાન સમિતિ, 1922.
  10. ડી. કિન્સ્લે પૃ. 124–125.
  11. ડી. કિન્સ્લે પૃ. 125.
  12. ડી. કિન્સ્લે પૃ. 126.
  13. ડી. કિન્સ્લે પૃ.125–126.
  14. ૧૪.૦ ૧૪.૧ ડી. કિન્સ્લે પૃ. 128.
  15. "MantraOnNet.com:કાલિ અંગેનું લખાણ અને ચિત્રો, તસવીરો". મૂળ માંથી 2010-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  16. ડી. કિન્સ્લે પૃ. 118.
  17. દેવી માહાત્મ્યમ્, સ્વામી જગદિશ્વરાનંદ, રામકૃષ્ણ મઠ, 1953.
  18. ડી. કિન્સ્લે પૃ. 118–119.
  19. વાંગુ પૃ. 72.
  20. કિન્સ્લે પૃ. 241 પાદનોંધો.
  21. ડી. કિન્સ્લે પૃ. 119, 130.
  22. મૅકડર્મોટ 2003.
  23. ડી. કિન્સ્લે પૃ. 131.
  24. જૂન મૅક ડેનિયલ કૃત ઑફરિંગ ફ્લાવર્સ, ફીડિંગ સ્કલ્સ , પૃ. 257
  25. ધ આર્ટ ઓફ તંત્ર, ફિલિપ રૉવસન, થેમ્સ એન્ડ હડસન, 1973.
  26. શંકરનારાયણન. એસ. દેવી માહાત્મ્યંમ્. પૃ. 127.
  27. ડેવિડ ગૉર્ડન વ્હાઈટ (સંપા.) તંત્ર ઈન પ્રૅક્ટિસ, ISBN 81-208-1778-8 પૃ.466.
  28. શ્રી રામકૃષ્ણ (ધ ગ્રેટ માસ્ટર) , સ્વામી શારદાનંદ, રામકૃષ્ણ મઠ, 1952. પૃ. 624, શ્રી રામકૃષ્ણઃ ધ સ્પિરિચ્યુઅલ ગ્લો , કમલપાદ હાટી, આર. કે. પ્રામાણિક, ઑરિયેન્ટ બુક કં., 1985, પૃ. 17-18.
  29. તંત્ર ઈન પ્રૅક્ટિસ , ડૅવિડ ગોર્ડન વ્હાઈટ, પ્રિન્સટન પ્રેસ, 2000, પૃ. 477.
  30. તંત્ર ઈન પ્રૅક્ટિસ , ડૅવિડ ગોર્ડન વ્હાઈટ, પ્રિન્સટન પ્રેસ, 2000, પૃ. 475.
  31. તંત્ર ઈન પ્રૅક્ટિસ , ડૅવિડ ગોર્ડન વ્હાઈટ, પ્રિન્સટન પ્રેસ, 2000, પૃ. 463–488.
  32. હિન્દુ ગોડ્સ એન્ડ ગોડેસિસ , સ્વામી હર્ષનન્દ, રામકૃષ્ણ મઠ, 1981, પૃ. 116-117.
  33. ૩૩.૦ ૩૩.૧ તંત્ર (ધ પાથ ઓફ એક્સ્ટેસી) , જ્યોર્જ ફ્યુર્સ્ટેઈન, શંભાલા, 1998, પૃ. 70-84, શક્તિ એન્ડ શાક્ત , આર્થર ઍવલોન (સર જૉન વૂડ્રોફ), ઑક્સફર્ડ પ્રેસ / ગણેશ એન્ડ કું., 1918.
  34. તંત્ર ઈન પ્રૅક્ટિસ , ડૅવિડ ગોર્ડન વ્હાઈટ, પ્રિન્સટન પ્રેસ, 2000, પૃ. 463-488, શક્તિ એન્ડ શાક્ત , આર્થર ઍવલોન (સર જૉન વૂડ્રોફ), ઑક્સફર્ડ પ્રેસ / ગણેશ એન્ડ કું., 1918
  35. ઈમ્પૅક્ટ ઓફ તંત્ર ઓન રિલિજિયન એન્ડ આર્ટ , ટી. એન. મિશ્રા, ડી. કે. પ્રિન્ટ વર્લ્ડ, 1997, V.
  36. કૃષ્ણ, ગોપી (1993) લિવિંગ વિથ કુંડલિની : (શંભાલા, 1993 ISBN 0877739471).
  37. તંત્ર (ધ પાથ ઓફ એક્સ્ટેસી) , જ્યોર્જ ફ્યુર્સ્ટેઈન, શંભાલા, 1998, શક્તિ એન્ડ શાક્ત, આર્થર ઍવલોન (સર જૉન વૂડ્રોફ), ઑક્સફર્ડ પ્રેસ / ગણેશ એન્ડ કું., 1918.
  • શક્તિ એન્ડ શાક્ત , લેખક ઍવલોન (સર જૉન વૂડ્રોફ), ઑક્સફર્ડ પ્રેસ/ગણેશ એન્ડ કં., 1918
  • શ્રી રામકૃષ્ણ (ધ ગ્રેટ માસ્ટર) , સ્વામી શારદાનંદ, રામકૃષ્ણ મઠ, 1952
  • દેવી માહાત્મ્યમ્ , સ્વામી જગદીશ્વરાનંદ, રામકૃષ્ણ મઠ, 1953
  • ધ આર્ટ ઓફ તંત્ર , ફિલિપ રૉવસન, થેમ્સ એન્ડ હડસન, 1973
  • હિન્દુ ગોડ્સ એન્ડ ગોડેસિસ , સ્વામી હર્ષનાન્દ, રામકૃષ્ણ મઠ, 1981
  • શ્રી રામકૃષ્ણઃ ધ સ્પિરિચ્યુઅલ ગ્લો , કમલાપદ હાટી, પી.કે.પ્રામાણિક, ઑરિયેન્ટ બુક કં., 1985
  • હિન્દુ ગોડેસિસઃ વિઝન ઓફ ધ ડિવાઈન ફેમિનાઈન ઈન હિન્દુ રિલિજિયસ ટ્રેડિશન , ડેવિડ આર કિન્સ્લે, યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયા પ્રેસ, 1988
  • કાલિ (ધ બ્લેક ગોડેસ ઓફ દક્ષિણેશ્વર) એલિઝાબેથ યુ. હાર્ડિંગ, નિકોલસ હેય્સ, 1993
  • ઈમ્પૅક્ટ ઓફ તંત્ર ઓન રિલિજિયન ઍન્ડ આર્ટ , ટી. એન. મિશ્રા, ડી. કે. પ્રિન્ટ વર્લ્ડ. 1997
  • ઈન્ડિયન આર્ટ (રિવાઈઝ્ડ) , રોય સી. ક્રૅવન, થેમ્સ એન્ડ હડસન, 1997
  • અ ડિક્શનરી ઓફ બુદ્ધિસ્ટ એન્ડ હિન્દુ આઈકૉનોગ્રાફી (ઈલસ્ટ્રેટેડ) , ફ્રેડરિક ડબ્લ્યૂ બુન્સ, ડી. કે. પ્રિન્ટ વર્લ્ડ, 1997
  • તંત્ર (ધ પાથ ઓફ એકસ્ટેસી) , જ્યૉર્જ ફ્યુર્સ્ટેઈન, શમ્ભાલા, 1998
  • ઑક્સફર્ડ કન્સાઈઝ ડિક્શનરી ઓફ વર્લ્ડ રિલિજિયન્સ , જૉન બૉવકર, ઑક્સફર્ડ પ્રેસ, 2000
  • તંત્ર ઈન પ્રેક્ટિસ , ડેવિડ ગોર્ડન વ્હાઈટ, પ્રિન્સટન પ્રેસ, 2000
  • એનકાઉન્ટરિંગ કાલિઃ ઈન ધ માર્જિન્સ, એટ ધ સેન્ટર, ઈન ધ વેસ્ટ , રૅચેલ ફેલ, મૅકડર્મોટ, બર્કલેઃ યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયા પ્રેસ, 2003

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]