ક્ષત્રિય

વિકિપીડિયામાંથી
મહાન ક્ષત્રિય યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ

ક્ષત્રિયહિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારીક વૈદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા.

પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષીને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું. [૧] સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.

એવી કથા છે કે ઇક્ષવાકુ કુળ સિવાયનાં ક્ષત્રિયોનો, તેમનાં દ્વારા કરાતા અત્યાચારોની સજા રૂપે પરશુરામ દ્વારા નાશ થયેલો, કેટલાક વિદ્વાનોનું માનવું છે કે રૂષિઓ અને શાસકો વચ્ચે વર્ચસ્વ માટેનાં લાંબા સંઘર્ષ બાદ શાસકોની હાર થયેલ જેના ભાગરૂપ તેમનો સંહાર થયો. વેદિકકાળનાં અંત સમયે બ્રાહ્મણ વર્ણ વર્ચસ્વ ધરાવતો થયો અને ક્ષત્રિયો દ્વિતિય સ્થાને આવ્યા. ત્યારનાં મોટાભાગનાં ગ્રંથો જેવાકે મનુસ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રો બ્રાહ્મણોનો વિજય દર્શાવે છે, પરંતુ મહાકાવ્ય ગ્રંથો થોડી જુદીજ બાબત વર્ણવે છે અને તે એ માટે કે સામાજીક વાસ્તવિકતામાં શાસકવર્ગ સામાન્ય રીતે પ્રથમ સ્થાન પર રહેતો હશે. દેવતાઓનું લગાતાર રાજવી તરીકે (જેમકે વિષ્ણુ, કૃષ્ણ, રામ) દર્શાવવું આ બાબતને ઉજાગર કરે છે. મોટાભાગનાં હિંદુ ઇતિહાસમાં રાજ્યકર્તાઓના વિશેષાધિકાર અને પુજનિયતા સંબંધી વિસ્તૃત શૃંખલા જોવા મળે છે. [૨].

વ્યુત્પતિ

સંસ્કૃતમાં, આ શબ્દ "ક્ષત્ર" પરથી આવેલ છે જેનો અર્થ સત્તા, આધિપત્ય, સરકાર તેવો થાય છે, તેનું મુળ "ક્ષી" શબ્દ છે જેનો અર્થ શાસન કરવું કે રાજ્ય કરવું તેવો થાય છે. જુની ફારસી ભાષામાં ક્ષાયૈયા(xšāyaθiya, રાજવી) અને ક્ષારા (xšaθra, ક્ષેત્ર, રાજ્ય) પણ આની સાથે સંબંધીત છે, એજ રીતે નવી ફારસીન ભાષાનાં શાહ (šāh, રાજવી) અને શહર (šahr, શહેર) પણ આ રીતે સંબંધીત છે. થાઇ ભાષામાં રાજા માટેનો શબ્દ કસાત (kasat) અને મલય ભાષામાં યોદ્ધા કે લડવૈયા માટે વપરાતો શબ્દ કેસ્ત્રિય કે સત્રિય(kesatria કે satria) પણ ક્ષત્રિય શબ્દમાંથી ઉત્પન થયેલ છે. આ શબ્દ ભવ્ય શ્થિતિનો દર્શક છે.

આદિ વેદિક સંસ્કૃતિમાં, લડાયક કોમોને રાજન્ય કે ક્ષત્રિય કહેવામાં આવતી હતી. રાજન્યરાજન "રાજા, રાજ્યકર્તા" નું વિશેષણરૂપ છે જેનું મુળ રાજ "શાસન કરવું" માં પડેલું છે. જેનાં અન્ય સજાતિય સ્વરૂપો લેટિનભાષામાં રેક્ષ (rex, રાજા), જર્મન ભાષામાં રિશ (Reich, રાજવી, શાસનકર્તા) અને થાઇ ભાષામાં રાચા (racha, રાજા) છે. પર્શિયામાં, સત્રપ કે ક્ષત્રપ, પર્શિયન સામ્રાજ્યનાં પ્રાંતોના શાસકો કે રક્ષકોને કહેવામાં આવતા હતા.

પવિત્ર યોદ્ધા

એક હિંદુ રાજા, પોતાનું રાજ્ય, પ્રજાજનો અને ગાયો (પશુધન,વિશાળ અર્થમાં સંપતિ)નું રક્ષણ કરવાની ફરજ સાથે, પવિત્ર શાસ્ત્રો દ્વારા સુચિત ધર્મરાજ્ય એટલે કે ધર્મ યુક્ત શાસન માટે બંધાયેલ છે.

પ્રજા આર્યા જ્યોર્તિગ્રહ . ઋગ,૭. ૩૩.૧૭

આર્યો દ્વારા શાસિત પ્રજા દિવ્ય પ્રકાશથી અગ્રેસર છે.

અયોધ્યાનાં રાજા રામ એ મહાનતમ "ધર્મ રાજ્ય"નાં વિચારક હતા (રામ રાજ્ય):

આર્ય સર્વા સમસ્ચૈવ સદૈવ પ્રિયદર્શના:

જે આર્ય સર્વની સમાનતા માટે કાર્ય કરે છે,તે સર્વનો લાડકો બને છે.

માનવ જાતિનાં પિતા એવા મહારાજ મનુ ની જેમ
પિતા સમાન પ્રેમભાવથી, મહારાજ દશરથ પ્રજા પર રાજ્ય કરતા હતા

ક્ષત્રિયોનાં ચિહ્ન

ક્ષત્રિયોને દિક્ષા સંસ્કાર દરમ્યાન વડની વડવાઇ કે તેનાં લાકડામાંથી બનેલો દંડ આપવામાં આવતો.

વડ વૃક્ષ તેની જમીનમાં પેશી અને થડ સમાન બની ગયેલ વડવાઇઓ સહિત વિશાળ જગ્યામાં ફેલાયેલ જાણે ક્ષત્રિયો સમાન ભાસે છે. વડવાઇ એ વૃક્ષનું ક્ષાત્રતેજ છે અને ક્ષત્રિયો (માનવીઓમાં) ક્ષાત્રતેજ છે, જે રાજ્યનેં મજબુત રાખે અને (તેના દ્વારા)તેને ટેકો મળે છે. જેમ વડવાઇ પોતાનાં અધોગામિ વિકાસ દ્વારા જમીનને મજબુતીથી બાંધી રાખે છે અને (તેના દ્વારા) વૃક્ષને ટેકો મળે છે. [૩].

"આ વૃક્ષનાં કાષ્ટનો બનેલ દંડ ક્ષત્રિયોને,ઓજસ કે ભૌતિક જીવનશક્તિ પ્રાપ્ત કરવા માટેનાં મંત્રોચ્ચાર સાથે, આપવામાં આવે છે." [૪]

મનુસ્મૃતિ અનુસાર,ક્ષત્રિય વર્ણને લાલ રંગ (વર્ણ) પ્રદાન કરવામાં આવેલ છે.

વૈદિક મૂળ

હિન્દુ પૌરાણિક કથાઓનું જગત 'આદિ-પૂરુષ'ની ઉત્પતિથી શરૂ થાય છે,જે અનન્ત છે. તેઓ આ સંસારની દેખરેખ માટે વિષ્ણુ અને શિવને ઉત્પન કરે છે, અને તેમને સંરક્ષણ અને પુનઃનિર્માણની કામગીરી સોંપે છે.આ બંન્ને એકજ સિક્કાની બે બાજુઓની જેમ,એકબિજાનાં પ્રતિરૂપ છે. હવે પ્રાથમિક કાર્ય ઉત્પતિનું છે. શ્રી વિષ્ણુ પોતાનાં નાભિકમળ માંથી બ્રહ્માની ઉત્પતિ કરે છે,જે શિવનોજ અવતાર છે.

બ્રહ્મા, સર્જનહાર, ત્યાર પછી બ્રહ્માંડની રચના કરે છે.તેઓએ ખગોળિય પીંડો, પૃથ્વી, પર્વતો, જળ, વાયુ અને આકાશની રચના કરી -કે જે હિંદુ ધર્મમાં પંચ મહાભૂત તરીકે ઓળખાય છે. (નોંધ)[૫]. ત્યાર પછી તેમણે સપ્તઋષિઓને ઉત્પન્ન કર્યા, આઠમાં ઋષિ નારદનો પણ જન્મ થયો, જેમણે જાહેર કર્યું કે તેઓ સૃજનમાં રસ ધરાવતા નથી અને પોતાનું સમગ્ર જીવન ભક્તિ અને જ્ઞાનપ્રાપ્તીમાં લગાવવા ઇચ્છે છે. સપ્તઋષિઓએ પોતાના પરમપિતા તરફથી થયેલ આદેશ અનુસાર શરૂઆત કરી. તેઓ પ્રજાપતિ તરીકે ઓળખાયા. ઋષિ કશ્યપ તમામમાં વધુ સમજદાર હતા અને બ્રહ્માએ તેમનાં દક્ષ પ્રજાપતિનીં બે કન્યાઓ-દિતિ અને અદિતિ સાથે વિવાહ કરાવ્યા. દિતિ એક ઇર્ષાળુ અને ષડયંત્રકારી સ્ત્રી હતી જે સતત અદિતિને નિચા દેખાડવાનીં અને પોતે તેનાથી શ્રેષ્ટ છે તેવું પ્રતિપાદિત કરવાની કોશિશમાં લાગી રહેતી. તેની આ પ્રકારની પ્રકૃતિને લીધે તેમનાં સંતાનોમાં પણ એવાજ ગુણો ઉદભવ્યા.જેઓ દિતિના પુત્રો હોવાને કારણે દૈત્ય|દૈત્યો]] કહેવાયા. ગુણી અને ધાર્મિક સ્વભાવની અદિતિનાં સંતાનો પણ તેવાજ સદગુણી થયા જેઓ અદિતિના પુત્રો હોવાને કારણે આદિત્યો કહેવાયા. સૂર્ય અને ઇન્દ્ર અદિતિથી જનમ્યા,તેથીજ સૂર્યને પણ આદિત્ય કહે છે [૬].

જ્યારે બ્રહ્માજી સંરચનાનાં કાર્યમાં લાગેલા હતા ત્યારે, સખત મહેનત અને પ્રશ્વેદને કારણે, તેમનામાંથી એક નકારાત્મક શક્તિ ઉત્પન્ન થઇ. આ નકારાત્મક શક્તિએ "મધુ" અને "કૈટભ" નામનાં બે રાક્ષસો ઉત્પન્ન કર્યા. તેઓ બ્રહ્માને પીડવા લાગ્યા. આથી બ્રહ્માજીએ વિષ્ણુને પ્રાથના કરી કે તેઓ આ રાક્ષસોનો નાશ કરે. વિષ્ણુજીએ બ્રહ્માજીને સમજાવ્યું કે જ્યારે હકારાત્મક શક્તિઓ કાર્યરત થાય છે ત્યારે નકારાત્મક શક્તિઓ પણ આપોઆપ ઉત્પન્ન થાય છે, અને તેથી સમગ્ર માનવજાતનું રક્ષણ કરવા માટે એક ખાસ જાતિની ઉત્પત્તિ જરૂરી છે. બ્રહ્માજીએ આ સુચનનું પાલન કર્યું અને ધ્યાનસ્થ થઇ બેસી ગયા. દિવસને અંતે માનવજાત માટે, બ્રહ્માજીનાં શરીરમાંથી, ચાર અલગ અલગ શક્તિઓનું નિર્માણ થયું. બ્રાહ્મણ પ્રાતઃમાં, "ક્ષત્રિયો" મધ્યાહ્ને, વૈશ્ય સંધ્યાકાળે અને શૂદ્ર રાત્રે પ્રગટ્યા. ધ્યાને લો કે આ ચારે વર્ણો છે જે આજ સુધી પણ વંશ કે જાતિ તરીકે ચાલુ છે. બ્રહ્માજીનાં મસ્તકમાંથી બ્રાહ્મણથી લઇ અને ચરણમાંથી શૂદ્રની ઉત્પત્તિની કથા પણ કહેવાય છે. ઋગવેદ પ્રમાણે વર્ણો સ્થાઇ ન હતા તે મનુષ્યનાં કર્મ સાથે જોડાયેલ હતાં.

બ્રાહ્મણ વર્ણ ઉષાકાળનાં આકાશ જેવો રતુમડો છે, ક્ષત્રિય વર્ણ મધ્યાહ્નનાં સુર્ય સમાન,વૈશ્ય વર્ણ સંધ્યાકાળનાં આકાશ સમાન અને શૂદ્ર વર્ણ રાત્રીનાં આકાશ સમાન. ત્યારે વર્ણપ્રથા ભારતીય ઉપખંડમાં,સમાજ પર પ્રભુત્વ ધરાવતી હતી અને દરેક વર્ણનાં લોકો બ્રહ્માજીનાં આદેશાનુસાર પોતાનો કામધંધો કરતા હતા. બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્ય ઉચ્ચ જાતિમાં તથા શૂદ્ર નિમ્ન જાતિમાં ગણાતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયોને વેદાભ્યાસ કરવાની છુટ હતી. ક્ષત્રિયો પ્રાચિન યુદ્ધકલાનો પણ અભ્યાસ કરતા જે બાદમાં બોધિધર્મ જેવા બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા ચીન અને જાપાનમાં લઇ જવામાં આવેલ. બ્રાહ્મણ,ક્ષત્રિય અને પછીથી વૈશ્યોમાં પણ ઉપનયન સંસ્કારની પ્રથા હતી,જે તેઓનાં આર્ય સામાજીક ઢાંચામાં પ્રવેશ સમાન ગણાતા. ત્યાર બાદ તેઓ "દ્વિજ",એટલે કે પુનઃજન્મ પામેલા ગણાતા. અને દ્વિજ હોવાનો અર્થ એ હતો કે તમે વેદનો સ્વિકાર કરો છો અને બ્રાહ્મણ પુરોહિતનાં સુચવ્યા મુજબનાં આચાર વિચાર અને ફરજોનું પાલન કરવા રાજી છો.

ઋગવેદ જણાવે છે કે ઇશ્વરનાં ચાર અંગોમાંથી ચાર વર્ગ રચાયા, જે મનુષ્યનાં સ્વભાવ અને યોગ્યતા પર આધારીત છે. બ્રાહ્મણ આધ્યાત્મિક અને બૌદ્ધિક યોગ્યતા ધરાવે અને તેમને વૈદિક સંસ્કૃત શિખવવાનું કાર્ય સોંપાયુ, આ રીતે તેઓ મસ્તકમાંથી પ્રકટ્યા. ક્ષત્રિયો યોદ્ધાઓ છે જેઓ દેશ અને સમાજનું રક્ષણ કરે, આ રીતે તેઓ બાહુ (હાથ)માંથી સર્જાયા. વૈશ્યો ખેતી અને વ્યાપાર જેવાં ઉત્પાદક કાર્યો કરે,આ રીતે તેઓ ઉદર (પેટ) માંથી સર્જાયા. અને શૂદ્રો સેવક છે જેઓ ખેતીકામમાં,કારીગરીમાં તથા સમાજને જરૂરી એવા તમામ કાર્યો કરે,આ રીતે તેઓ ચરણ (પગ)માંથી સર્જાયા. આ અર્થમાં સમજાય છે કે,એક પણ જાતિ અન્ય જાતિ કરતાં વધુ મહત્વ ધરાવતી નથી અને સમાજ આ તમામ જાતિઓનાં સંયુક્ત કાર્ય વિનાં સંભવે નહીં.

વૈદિક આશ્થા પ્રમાણે, મનુ માનવજાતનાં પૂર્વજ અને નિયમો શ્થાપનાર છે. તેમને ૫૦ કરતાં વધુ પુત્રો હતા. મનુ રાજા અને પુરોહિત બન્ને હતા અને તેમનાં પુત્રો (અને તેથીજ સમગ્ર માનવજાત), એ રીતે વિચારતાં, ઉચ્ચકુળનાં ગણાય. છેવટેતો વ્યવસાયનાં ભેદને કારણે લોકો વિવિધ જાતિ અને જ્ઞાતિઓમાં વહેંચાયા. જેઓએ વેદાભ્યાસ કર્યો તેઓ બ્રાહ્મણ કહેવાયા, જેઓએ વ્યાપાર ધંધા કર્યા તેઓ વૈશ્ય કહેવાયા, જેઓ સેવા કરતા તેઓ શૂદ્ર કહેવાયા અને જેઓ યુદ્ધકલાઓમાં પ્રવિણ થયા તેઓ ક્ષત્રિય કહેવાયા. આર્ય શબ્દનો અર્થ ’પ્રભાવી’ થાય છે અને તે શરૂઆતમાં ફક્ત રાજાઓ અને ક્ષત્રિયો માટે ’ઉમરાવ’નાં અર્થમાં વપરાતો.

વર્ણ-જાતિ

વર્ણ અને જાતિ વચ્ચે થોડી અસમંજસ છે. વર્ણ એ સમાજનાં ચાર વિસ્તૃત તફાવતો ધરાવતા વર્ગનું સુચન કરે છે, જ્યારે જાતિ (અથવા જ્ઞાતિ) એ હિંદુ સમાજમાં વિભિન્ન વિશિષ્ટ અંતર્વિવાહી વર્ગ સુચવે છે. વર્ણનો અર્થ 'રંગ' અને 'ઘુંઘટ'કે 'પરદો' પણ થાય છે. જે 'દિવ્ય સ્વ' ને મનુષ્યની વચ્ચે ચાર અલગ અલગ રીતે છુપાવવાનો માર્ગ દર્શાવે છે. 'રંગ'નાં અર્થમાં જોઇએતો ઘણાં લોકો તેને 'જાતિ'(race)(રંગભેદ) સમજી ભ્રાંત થાય છે, પરંતુ ખરેખર તે વિવિધ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જે હ્રદય અને મન દ્વારા પ્રભાવિત ચાર કાર્યાત્મક વર્ગો દર્શાવે છે. મનુષ્યનાં આ ચાર વિવિધ ગુણો આ પ્રમાણે છે:

૧) જો કોઇ વ્યક્તિ શુદ્ધતા,પ્રેમ,વિશ્વાસ અને અનાસક્તિથી સંપન્ન હોય, સાચું જ્ઞાન અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવતી હોય, તે સફેદ વર્ણનો કે સત્વગુણી (વિશ્વાસપાત્ર) ગણાય છે. જે આ ગુણ ધરાવતા હોય તેમને "બ્રાહ્મણ વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે.

૨) જો કોઇ વ્યક્તિ ક્રિયા,આત્મબળ,ઉગ્રતા અને ઉર્જા,સન્માન પ્રાપ્તતા,સત્તા,મોભો અને લડાયક તથા રાજકીય સ્વભાવ ધરાવતી હોય, તે લાલ વર્ણનો (રક્તવર્ણ) કે રજોગુણી (ઉર્જાવાન) ગણાય છે. જે આ ગુણ ધરાવતા હોય તેમને "ક્ષત્રિય વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે.

૩) જો કોઇ વ્યક્તિ સંવાદ,આદાનપ્રદાન,વ્યાપાર,ધંધો અને વાણિજ્યક સ્વભાવ (વેપારી સ્વભાવ) ધરાવતી હોય, તે પીળા વર્ણનો કે "વૈશ્ય વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે.

૪) સમાજનાં તે વ્યક્તિગત લોકો કે જેઓ ખેતિવાડી કે કારીગરી સાથે સંકળાયેલા હોય તેઓ કાળા વર્ણનાં કે તમોગુણી (આભ્યાંતરિક કે નક્કર) ગણાય છે. અને તેઓ "શૂદ્ર વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે.

ઋગવેદનો એક શ્ર્લોક જણાવે છે:

कारुरहं ततो भिषगुपलप्रक्षिणी नना । (ઋગ. ૯.૧૧૨.૩)
"હું કવિ છું,મારા પિતા ચિકિત્સક છે,અને માતા અનાજ દળવાનું કાર્ય કરે છે...."

આથી એક બાબત ચોક્કસ છે કે આ વર્ણાશ્રમને વ્યક્તિની જાતિ સાથે કશું લાગતું વળગતું નહોતું પરંતુ તેમના ગુણ અને યોગ્યતા સાથે સંબંધીત છે.

  • "પંચજન્ય",અર્થાત પાંચ લોકો, એ પાંચ મુખ્ય પ્રાચિન વૈદિક ક્ષત્રિયજાતિઓને અપાતું સામાન્ય નામ છે. અનુમાન છે કે તેઓ 'તુર્વસુ' (Turvasu)નાં વંશવારસો છે. આ પાંચ ક્ષત્રિયજાતિઓ યદુ, સિની, પુરૂ, અનુ અને દ્રુહ્યુ છે. ઉદાહરણ તરીકે, 'યાદવ' યદુવંશજ છે; 'સૈની' સિનીવંશજ છે અને 'પૌરવ' પુરૂવંશજ છે; વગેરે.

ઉત્પત્તિનાં સિદ્ધાન્ત

શરૂઆતમાં જાતિપ્રથા ખુબજ પરિવર્તનક્ષમ હતી અને તે વ્યક્તિગત પ્રાથમિકતા પર આધારીત હતી. પુરાતત્વ,સાહિત્ય અને કલાને લગતા પુરાવાઓને આધારે, ઇતિહાસકારો સામાન્ય રીતે સહમત છે કે બૌદ્ધ અને જૈન મતનાં ઉદય સમય આસપાસ ભારતમાં જાતિપ્રથા વારસાગત બની. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ બે ક્ષત્રિય મહાપુરૂષોનો જગત પર ઉંડો પ્રભાવ પડેલ છે. જેઓ વેદનાં પ્રભુત્વમાં આશ્થા ધરાવતા નહીં અને લોકોને ઉપદેશ્યા કે આધ્યાત્મિકતા એ ફક્ત થોડા ચુનંદા લોકોનોજ અધિકાર નથી. ઘણા પ્રાચિન શાસકો,જેમકે અશોક મોર્ય વગેરે આ માન્યતાનાં ઉત્સાહી અનુયાયીઓ હતા અને તેમણે સમગ્ર મોર્ય સામ્રાજ્યમાં તેનો પ્રસાર કર્યો.આને કારણે બ્રાહ્મણોનાં મોભામાં થોડી ઓટ આવી. પુરોહિતો તમામ ત્રણે માન્યતાઓનાં નોંધણીકારો હતા અને હવે પછીનાં ઉદાહરણમાં જોવા મળશે તેમ ત્યારે ચોક્કસપણે એવો રીવાજ હતો કે જે રાજા વૈદિકબોધમાં ન માનતો હોય અને પુરોહિતોનાં આદેશને મહત્વનાં ન ગણતો હોય તેમને શૂદ્રવર્ણનો ગણાવાતો, અને તે પોતાનો ક્ષત્રિય મોભો ખોઇ બેસતો.

આ માહિતીની અગત્યતા બાબતે બે પક્ષ પડેલા છે. એક પક્ષ માને છે કે તેમનાં પવિત્ર પુસ્તકો ખરેખરા લોકો,ઘટનાઓ અને સમયના શબ્દશઃ દસ્તાવેજો છે જેમાંથી આધુનિક સમાજ ઊતરી આવેલ છે. બીજો પક્ષ માને છે કે પવિત્ર પુસ્તકોને શબ્દશઃ નહીં પરંતુ જીવનનો સાચો રસ્તો કયો છે તેનાં ઉદાહરણ રૂપે પ્રતિકાત્મક રીતે લેવા જોઇએ.

જેઓ મહાભારત,રામાયણ અને પુરાણોનાં શબ્દશઃ દસ્તાવેજો હોવામાં માન્યતા ધરાવે છે તેઓ અનુભવે છે કે આધુનિક ક્ષત્રિયો વૈદિક ક્ષત્રિયોમાંથી ઊતરી આવેલ છે. આ વિવાદનું કારણ એ છે કે આપણી પાસે તેમનાં હોવાનાં કોઇ ભૌતિક પુરાવાઓ નથી. નતો અસ્થિઓ, ન કિલ્લાઓ, ન શસ્ત્રો, ન સિક્કાઓ, ન કોઇ સ્મારકો કે ચિત્રો, જેનાંથી પાકેપાયે કહી શકાય કે તેઓ અસ્તિત્વ ધરાવતા હતા.

શબ્દાર્થવાદીઓ માને છે કે મોટાભાગનાં ક્ષત્રિય સમાજો સૂર્ય, ચંદ્ર કે અગ્નિનાં વંશજો છે. રામ સુર્યવંશી હતા. કૃષ્ણ ચંદ્રવંશી હતા. યદુવંશીઓ તેમને પોતાનાં પુર્વજ માને છે. આ બધાને ઋગવેદ અને અન્ય પુરાણોનો આધાર છે. રામાયણ, મહાભારત અને રઘુવંશ જેવા મહાકાવ્યો પણ તેમને ટેકો આપે છે.

જૈન ઉત્પત્તિ

મહાવીર સ્વામી, છેલ્લા તિર્થંકર, ક્ષત્રિય કુળમાં જનમ્યા હતા. જૈન માન્યતા પ્રમાણે, પ્રથમ તિર્થંકર ઋષભ દેવ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણનાં રચનાકાર હતા. પછીથી ’ભારતે’, તેમનાં જયેષ્ઠપુત્ર, અને પ્રથમ ચક્રવર્તિ સમ્રાટ, ઋષભ દેવની અનુપસ્થિતિમાં બ્રાહ્મણ વર્ણની રચના કરી.

આ રીતે ચારે વર્ણ અસ્તિત્વમાં આવ્યા: ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. જૈન અને બૌદ્ધ સાહિત્ય અનુસાર, ક્ષત્રિયો એટલે અન્ય કશું નહીં પરંતુ જેઓ જમીન ધરાવતા હતા તે, ઉદા. ખેડુતો. અને ક્ષત્રિયો ઋષભ દેવ,પ્રથમ તિર્થંકરનાં વારસો છે. આ હકિકત ભાગવત પુરાણ, બ્રહ્મ પુરાણ, વિષ્ણુપુરાણ જેવા ઘણાં હિંદુ પુરાણોમાં દર્શાવાયેલી છે.

ઋષભ દેવનું કુળ ’ઇક્ષવાકુ’ તરીકે ઓળખાતું અને તેથી તે તમામ ક્ષત્રિયોનું કુળ ગણાયું. ત્યાર પછી તેનાં બે ફાંટાઓ પડ્યા. પ્રથમ સૂર્યવંશી, જે ભરતનાં પુત્ર અને ઋષભદેવનાં પૌત્ર ’આદિત્યયશ’ (અર્કકિર્તી) નાં નામથી થયો, અને બીજો ફાંટો સોમવંશ, જે ઋષભ દેવનાં નાના પુત્ર બાહુબલીનાં જયેષ્ઠપુત્ર ’સોમયશ’ નાં નામથી થયો. રાજપુત અને મરાઠાઓ માને છે કે સુર્યવંશ પછીથી ૩૬ કુળોમાં અને ચંદ્રવંશ ૬૦ કુળોમાં વિભાજીત થયા. આમ ક્ષત્રિયોનાં કુલ ૯૬ કુળો થયા.

પ્રતિષ્ઠા અને આત્મસાતતા

પ્રાચિન સમયમાં વર્ણોની વચ્ચે સ્થળાંતરશીલતા હતી, જેમ જેમ લોકો નવીન કૌશલ્ય પ્રાપ્ત કરે અને પોતાની ક્રિયા તેમજ રોજગાર બદલે તેમ તે એક માંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થતો હતો. પ્રાચિન ભારતની ખાનાબદોશ (વિચરતી) જનજાતિઓમાં સ્થાઇ જાતિપ્રથા ન હતી. તેઓ વ્યક્તિગત યોગ્યતા અને ક્ષમતા મુજબ શરૂઆતી ભૂમિકા ભજવતા હતા. આ ક્રમમાં જનજાતિને ટકાવી રાખવી તેજ મુખ્ય જરૂરીયાત રહેતી. જનજાતિનાં શક્તિશાળી લોકો યોદ્ધાઓ બનતા હતા અને સમાજમાં ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરતા, કારણકે તે સમયમાં જનજાતિનાં બચાવ માટે તેઓ વધુ મહત્વનાં હતા. જ્યારે જનજાતિઓ ખેતિકામથી વધુ પરીચિત થતી ગઇ તેમ વધુ સમૃદ્ધ અને સ્થિર થઇ. આ બેઠાડું અને નિરાંતની જીવનશૈલીમાં લોકોનું લક્ષ સમૃદ્ધિપ્રાપ્તી અને જીવનનો અર્થ શોધવો તે તરફ વધુ વળ્યું. હવે પૂજારીવર્ગ સમાજમાં આગળપડતો ગણાવા લાગ્યો,કારણકે તેઓ આધ્યાત્મિક મુક્તિની ખાત્રી આપનાર હતા. આણે સમાજ માટે વધુ કઠોર સામાજીક વ્યવસ્થા રચવાનું નેતૃત્વ કર્યું, જ્યાં વ્યક્તિની સ્થિતિ તેની ક્ષમતા કરતાં વધુ તેના જન્મ દ્વારા નક્કિ થતી હતી. તે પછી, જેઓ વધુ શક્તિશાળી વર્ગોમાં હતાં તેમણે આ વર્ણવ્યવસ્થાને વધુ શક્તિશાળી બનાવી.

ઘણા ઔતિહાસિક રાજકર્તાઓ અન્ય વર્ણમાંથી આવેલા છે, અથવા અહિન્દુ વિદેશી આક્રમણકારોમાંથી ઉતરી આવેલા છે, અને તેમને કાંતો ક્ષત્રિય મોભો પ્રદાન કરાયો અથવા તેઓએ પોતાને ભૂતકાલીન ક્ષત્રિય રાજ્યકર્તાઓ સાથે જોડતા કાલ્પનિક કૌટુંબિક ઇતિહાસો બનાવ્યા. ઉદાહરણ તરીકે, શક, યવન, કમ્બોજ, પહેલવિ, પરદા વગેરે, જેઓ ઉત્તરપશ્ચિમિ વિદેશી આક્રાંતાઓ હતા,પરંતુ તેઓ ભારતીય સમાજમાં ક્ષત્રિયો તરીકે ભળી ગયા.

અપરંપરાગત ક્ષત્રિયો

ગૌતમ બુદ્ધ હિંદુ ક્ષત્રિયકુળમાં જનમ્યા હતા
  • વ્યાકરણનાં રચેતા પાણિની રચિત અષ્ટાધ્યાયીમાં ઉલ્લેખ છે કે,ઇ.પૂ.૫૦૦ આસપાસ,પાણિનીનાં સમયમાં, ઉત્તરાપથમાં કંબોજ અને ગાંધાર મહત્વનાં ક્ષત્રિય સામ્રાજ્યો હતાં. એવું મનાય છે કે તેઓને વેદોની શિખામણ ન માનવા બદલ શૂદ્ર ગણવામાં આવતા.
  • મનુસ્મૃતિ,જે ઇ.સ.૨૦૦ આસપાસ લખાયેલ મનાય છે,તેમાં દર્શાવેલ છે કે, શક, સિંથિયન, યવન, કંબોજા, પરદા, સિંકયાંગ, પહેલવીઓ,નેપાળ અને આસામ નાં કિરતા, અને દરડા, એ બધા મુળ તો રાજવી ક્ષત્રિયો હતા પરંતુ તેમને બ્રાહ્મણોનો અનાદર અને પવિત્ર બ્રાહ્મણીય કાયદાઓનું પાલન ન કરવા બદલ જંગલી (Barbaric,વ્રિશાલ) પદ પર ઉતારી દેવામાં આવ્યા (૧૦/૪૩-૪૪)
  • મહાભારતનાં 'અનુશાસન પર્વ'માં પણ જોવા મળે છે કે, શકો,કંબોજા અને યવનો વગેરે ઉપર મુજબજ હતા, પતંજલિએ તેમનાં 'મહાભાષ્યમાં શકો અને યવનોને શુદ્ધ શૂદ્રો તરીકે નોંધ્યા છે (૨.૪.૧૦)
  • કાત્યાયનની 'વાર્તિકા'માંથી માહિતી મળે છે કે, શકો અને યવનોનાં રાજાઓને પણ,કંબોજાઓની જેમ,તેમનાં સંબંધિત આદિવાસી નામોથીજ સંબોધવામાં આવતા હતાં.
  • મહાભારત પણ શકો,યવનો,ઉત્તર પશ્ચિમ ભારતનાં ગાંધારો, પામિરનાં કંબોજો,પહેલવો, તુશારો, સબ્રાઓ, બાર્બરો, દ્રવિડો, બોયર્સ વગેરેને સરખા (સાથીદારો) ગણી અને તે બધાને,'ઉત્તરપથ'ની "જંગલી જાતિઓ" તરીકે સંબોધન કરે છે.
  • આ મહાકાવ્યનાં અન્ય એક પધમાં શકો,કંબોજો અને ખશોનેં સંયુક્ત રીતે 'ઉદિચ્યા' અર્થાત ઉત્તર ભાગની, જાતિઓ તરીકે વર્ણવ્યા છે (૫/૧૬૯/૨૦).
  • રામાયણનાં 'કિષ્કિંધા કાંડ'માં,શકો,કંબોજો,યવનો અને પરદાઓને, એકદમ ઉત્તર-પશ્ચિમે હિમાવત (હિંદુકુશ)ની પેલે પાર 'ઉત્તરાકુરુસ'ની ભૂમિ સાથે જોડાયેલ શકદ્વિપનાં રહેવાસીઓ દર્શાવ્યા છે (૪૩/૧૨).
  • મહાભારતનાં 'ઉધોગપર્વ'(૫/૧૯/૨૧-૨૩)માં વર્ણન છે કે, સેનાપતિ 'સુદક્ષીણ કંબોજ'ની આગેવાની હેઠળ કંબોજ,યવન અને શક લોકોનાં સૈન્યએ પણ મહાભારતનાં યુદ્ધમાં ભાગ લીધેલ.
  • ઘણાં પુરાણમાં ઉલ્લેખ છે કે દ્રવિડ લોકો પણ ક્ષત્રિય હતા અને તેઓ વિશ્વામિત્રનાં પુત્રોનાં સંતાન હતા [૭], નોંધવામાં આવેલ છે કે દ્રવિડો પણ હકિકતમાં રાજવિ ક્ષત્રિયો હતા પરંતુ તેઓ ઉપેક્ષાવશ પોતાની જનોઇ તથા પવિત્ર બ્રાહ્મણીક સંહિતાનું પાલન કરવાનું ગુમાવી બેઠા. [૮]

ક્ષત્રિય વંશ

ક્ષત્રિય વર્ણની મુખ્ય શાખાઓ આ પ્રમાણે છે: ચંદ્રવંશી, જે ચંદ્રનાં વંશજ ગણાય છે. સૂર્યવંશી,જે રામચંદ્રનાં કે સૂર્યનાં સીધા વંશજ ગણાય છે. અગ્નિવંશી,જે અગ્નિનાં વંશજ ગણાય છે. અને નાગવંશી,જે નાગ (en:Nāga) નાં વંશજ ગણાય છે.

સૂર્યવંશી

સૂર્યવંશીસૂર્યનાં વંશજો મનાય છે. તેઓ રામનાં,કે જેઓ સ્વયં સૂર્યવંશમાં જનમ્યા હતાં, વંશજો પણ મનાય છે.

ચંદ્રવંશી

ચંદ્રવંશી ક્ષત્રિયો ચંદ્રનાં વંશજો મનાય છે.

યદુવંશી એ ચંદ્રવંશની એક મુખ્ય પેટાશાખા છે. યદુવંશીઓ કૃષ્ણનાં વંશજો મનાય છે,કે જેઓ પોતે ચન્દ્રવંશમાં જનમ્યા હતાં. ઘણી ભારતીય જાતિઓ,જેમકે પંજાબ અને આસપાસની સૈની [૧૨] [૧૩],ભાટી કુળનાં રાજપુત, મધ્ય પ્રદેશનાં જદાઉં (Jadaun) રાજપુત, સમસ્ત ભારતનાં આહીર[૧૪] અને મથુરા તથા ભરતપુરનાં જાટ લોકો પણ, પોતાને યદુવંશી માને છે.

અગ્નિવંશી

અગ્નિવંશીઅગ્નિનાં વંશજો મનાય છે.

નાગવંશી

કેટલીક ક્ષત્રિય જાતિઓ પોતાને નાગ, (સર્પ કુળ)નાં વંશજો માને છે, તેથી તેઓ નાગવંશી કહેવાય છે. નૈયર અને જાટ જાતીનાં ચોક્કસ કુળો પોતાને નાગવંશી માને છે. છોટા નાગપુરનાં શાસકો નાગવંશીઓ હતા.

અન્ય

  • પ્રાચિન પંડ્યા રાજવી વંશનાં નાદર
  • કોડવ (en:Kodavas), અનાર્ય ક્ષત્રિયો. જાટ અને નૈયરની જેમ, તે લોકો જનોઇ ધારણ કરતાં નથી, પરંતુ તેઓ જમીન ધરાવે છે,શસ્ત્રો ધારણ કરે છે, અને અન્ય યોદ્ધાઓ જેવા રિવાજોનું પાલન કરે છે. તેઓની ઉત્પતિ કર્ણાટકનાં કુર્ગ વિસ્તારમાં થયેલ.
  • આસામનાં અહોમ રાજાઓની માન્યતા હતી કે તેઓ ઇન્દ્ર અને 'શ્યામા'(એક નિમ્ન વર્ણની સ્ત્રી)નાં વંશજો છે, અને તેઓ પોતાને ઇન્દ્રવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાવતા.
  • બ્રહ્મવંશી રાજા 'ચૌલકી'નું કુળ બ્રહ્મવંશ તરીકે ઓળખાય છે.
  • એક અન્ય ક્ષત્રિય કુળ વાયુવંશી કહેવાતું,જેનાં વંશ વિશે વધુ જાણકારી મળતી નથી.
  • 'સરગૌજા'(Surguja)નાં રાજાઓ તરીકે રેક્ષુલવંશી (Rexulvanshi)ઓ જાણીતા છે.
  • વિદેશી યોદ્ધાઓ જેઓ રૂષિ પરંપરા કે રીવાજોનું પાલન કરતા ન હતા તેવા, શક (en:Shakas) , કુષાણ (en:Kushan), યવન (en:Indo-Greeks), હુણ (en:Hunas) અને પાર્થિયન (en:Parthian), લોકોને મનુસ્મૃતિમાં વ્રત્ય ક્ષત્રિયો તરીકે વર્ણવાયા હતાં.[૨૧].
  • વણિયાર (en:Vanniar)[૨૨]

ભારતીય ઉપખંડની બહાર

  • બાલીનીં લગભગ ૪૦% જનસંખ્યાનો બાલીનિઝ ક્ષત્રિયોમાં સમાવેશ થાય છે.બાલીનિઝ હિંદુત્વમાં વેદોથી ભારે પ્રભાવિત જાતિ પ્રથા છે.
  • વિયેતનામનાં બાલમોન (Balamon) હિંદુ ચામ લોકો મળીનેં ૭૦% ક્ષત્રિયો (વિએતનામીમાં સત્રિયો) છે. જો કે બાલમોન લોકો ચામ વસતિનાં ફક્ત ૨૫% જ છે.(અન્ય ૭૫% મુસ્લિમો કે 'ચામ બાની' છે. આ બાલમોન ક્ષત્રિયોનો દાવો છે કે,તેઓ "ચંપા સામ્રાજ્ય"નાં વંશજો છે.
  • શ્રીલંકામાં ક્ષત્રિયો મહત્વની લઘુમતિ છે, જેઓ કૌરવો, કારવા અને કુરૂકુલમ તરીકે ઓળખાય છે. જુઓ:ક્ષત્રિય મહાસભા,શ્રીલંકા

સામાજીક સ્તર

ભુતકાળ

ભુતકાળમાં લોકો તમામ પ્રકારનાં ભયથી રક્ષણ માટે ક્ષત્રિયોનું શરણ લેતા. રાજા અને સૈન્યમાં યોદ્ધાઓ તરીકે ક્ષત્રિયો હતા, તમામ સૈનિકો ક્ષત્રિયવટની મુળભુત સમજદારી ધરાવતા હતા. ક્ષત્રિયો બધા તરફથી સન્માન પ્રાપ્ત કરતા હતા. ક્ષત્રિયો હંમેશા કોઇ રાજવિ કુટુંબનાં સભ્યો હતા. તેઓ 'ક્ષત્રિય-કુળનાં' તરીકે પણ ઓળખાતા. કેટલાક મહાન ક્ષત્રિયો વિષે લોકકથાઓ અને કિવદંતિઓ પણ બનેલ છે. ક્ષત્રિયોનું સ્તર સ્પષ્ટ રૂપે ઉચ્ચકક્ષાનું હતું. કહેવાય છે કે તેમના ઉંચા,મજબુત અને સ્નાયુબદ્ધ દેખાવને કારણેજ ક્ષત્રિયો કહેવાતા. તેઓ અંધારામાં પણ લડી શકતા અને અવાજને આધારે,નજરે જોયા વિના પણ તિરંદાજી વડે, નિશાન પાડી શકતા હતા. તેઓનાં અપ્રતિમ સાહસની કથાઓ મોઢામોઢ અને નોંધાયેલ લોકકથાઓ દ્વારા પ્રસારીત થયેલ છે. જો કે બધાજ કથાનકો ફક્ત ઉજળી બાજુ દર્શાવતા નથી. કેટલાક અ-ક્ષત્રિયો ક્ષત્રિય સમાજને નકારતા હતા અને ક્ષત્રિયો કરતાં પણ વધુ સારી ક્ષત્રિયવટનું પાલન કરતા હતા. ક્ષત્રિયોને શિક્ષણ આપતા ગુરુઓ પણ અ-ક્ષત્રિયોને આ શિક્ષણ આપવાનું નકારતા હતા. ઉદાહરણ રૂપે એકલવ્યની કથા જાણીતી છે.

ભૂતકાળમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો પરસ્પરની શક્તિ તરીકે સ્વીકારાતા હતા. કારણ કે બ્રાહ્મણનાં તપોબળ અને ક્ષત્રિયાનાં તનુબળથી શાસન સુગમ્ય બનતું હતું. મહાકવિ કાલિદાસ રઘુવંશ મહાકાવ્યમાં પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયોનાં સામાંજસ્યની ચર્ચા કરે છે.[૨૩]

વર્તમાન

હાલમાં અનેક લોકો ક્ષત્રિય કુળનાં હોવાનો દાવો કરે છે,જો કે ઘણાં ખરેખર ક્ષત્રિય કુટુંબો પણ હાલમાં મોજુદ છે. રાજવી કુટુંબો પણ હાલમાં મોજુદ છે પરંતુ તેમની સંખ્યા પણ ઘટતી જણાય છે. ક્ષત્રિય યુદ્ધકળા સચવાયેલ છે અને ઉત્કર્ષ પણ પામે છે. ક્ષત્રિય કુટુંબોમાં આ યુદ્ધકળાની જાળવણી રૂપે,અને ક્ષત્રિયવટની નિશાનીરૂપે, ઢાલ અને તલવાર ઘરમાં લગાવવામાં આવે છે. જેમાં ઢાલની આરપાર બે તલવાર ત્રાંસી લગાવાયેલ હોય છે.હાલમાં પણ ક્ષત્રિયવટ,જુની પેઢીનાં માણસોમાં અને ગ્રામ્ય ભારતમાં માન-મોભો ધરાવે છે. હજુ પણ દક્ષિણ ભારતમાં "કલારીપ્પાયટ્ટુ" ગુરૂકુળમાં પ્રાચિન ક્ષત્રિય યુદ્ધકલા શિખવવામાં આવે છે. જો કે હવે ફક્ત ક્ષત્રિયોનેજ આ કલા શિખવવી તેવો જુનો રિવાજ પડતો મુકાયો છે. મહારાષ્ટ્ર અને મધ્યભારતમાં મરાઠાઓ, ગુજરાત,રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ક્ષત્રિયો વગેરે સાથે હજુ પણ તેમનાં વારસા અને કુળને કારણે જનસામાન્યમાં ગર્વ અને સન્માનની ભાવના જોડાયેલા જોવા મળે છે. આ પ્રદેશોનાં ઘણાં ક્ષત્રિય કુટુંબો હજુ પણ તેમનાં ભુતકાલીન મહેલોનો વારસો ધરાવે છે.

ક્ષત્રિય મહિલાઓ અને બાળકો

મહિલાઓ

ભુતકાળમાં મહિલાઓ મહદઅંશે ઘરમાંજ રહેતી અને તેમણે કશો અગત્યનો ભાગ ભજવવાનો રહેતો નહીં. ભુતકાળમાં જ્યારે બહુલગ્ન પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે પુરુષો એક કરતા વધુ પત્નિઓ રાખતા. એક વખત કન્યાનાં લગ્ન થઇ જાય પછી તેમનાં પતિનું ઘરજ તેમને માટે સર્વસ્વ હતું,અને કુળદેવીના પૂજાપાઠ કરવા તે તેનું મુખ્ય કાર્ય ગણાતું. દરેક ક્ષત્રિય કુટુંબમાં પોતાના એક કુળદેવ કે કુળદેવી પૂજાતા હતા. મહિલાઓને માટે ખાસ જરૂરી હતું કે તેમણે તેમના માટે બનાવાયેલ ખાસ રાણીવાસમાંજ,પોતાની સહભાગીઓ સાથે રહેવું અને જે પણ અને જે રીતે ઇચ્છે તેમ શક્ય તેટલો આનંદ માણવો. તેમણે એક ક્ષત્રિયાણીને શોભે તેવો શણગાર પણ રાખવાનો રહેતો. સૌથી પ્રભાવશાળી રાણીનો પુત્ર રાજા અને કુટુંબનો વડો બનતો. જો આ રાણીને એક કરતાં વધુ પુત્રો હોય તો, જે પુત્રને માતા પસંદ કરે તેને આ કૌટુંબિક વારસો મળતો.

દીકરો

દિકરાને ક્ષત્રિય કે બ્રાહ્મણ ગુરુ દ્વારા ક્ષત્રિયવટનું શિક્ષણ આપવામાં આવતું. દીકરો પિતાની બહાદુરીનું પ્રતિક મનાતો અને કુટુંબનું ભવિષ્ય પણ ગણાતો. તેનું કુટુંબ ક્ષત્રિયોમાં આગેવાન ગણાતું હોય તો તેમણે ક્ષત્રિયવટ દ્વારા રાજ્યનાં સન્માનનું રક્ષણ પણ કરવાનું રહેતું. આ બધાં અને ક્ષત્રિયોનાં અન્ય પણ સુક્ષ્મ નિતિનિયમો દીકરાને શિખવવામાં આવતા,તે ઉપરાંત તેમને શસ્ત્રવિદ્યા અને યુદ્ધકલા શિખવતા પહેલાં ક્ષત્રિયસભા સમક્ષ ઉપસ્થિત કરી તેનો પરિચય કરાવવામાં આવતો.

દીકરી

દીકરીઓ હંમેશા વિનમ્ર અને કોમળ રહેતી. તે મોટે ભાગે ધાર્મિક અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવતી. દીકરીઓ લગભગ તે સમયનું ઉચ્ચતમ સામાજીક શિક્ષણ મેળવતી અને તે ઇચ્છે તેવી ઉત્કૃષ્ટ મહિલા બનવા માટે તૈયાર કરાતી. ક્ષત્રિય સમાજમાં, દીકરાઓથી વિરૂદ્ધ, દીકરીઓ ક્યારેય મહિલાવૃંદની બહાર આવતી નહીં. સામાન્ય રીતે તેઓ કમજોર મનાતી અને ચાકરો દ્વારા તેમની સેવા થતી તથા પતિ દ્વારા તેમનું રક્ષણ થતું. મનુસ્મૃતિમાં મહિલાઓના જીવનનું વર્ણન છે કે:

"સ્ત્રીઓનું બાળપણમાં તેમનાં પિતા દ્વારા, યુવાનીમાં પતિ દ્વારા અને ઘડપણમાં પુત્ર દ્વારા રક્ષણ કરાતું".

જો કે બધેજ હોય છે તેમ,અપવાદો અહીં પણ મળે છે, જેમકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ.

વર્તમાન પરિસ્થિતિ

વર્તમાનમાં,આધુનિક સમયમાં જો કે પરિસ્થિતિઓ બદલાઇ છે, હવે મોટાભાગે ફક્ત ક્ષત્રિયવંશનાં હોવાને કારણે તેમનાં માનમોભામાં કે અન્ય રોજબરોજના વ્યવહારોમાં કોઇ ખાસ લાભ કે નુકશાન થતું નથી.

વિશેષતાઓ

ગુરિલ્લા યુદ્ધકલામાં ક્ષત્રિયો નિપુણતા ધરાવતા હતા. ઇતિહાસમાં નોંધાયેલું છે કે છત્રપતિ શિવાજી પાસે ગુરિલ્લા યુદ્ધકળામાં નિપુણ સૈન્ય હતું, તેમની સિંહગઢ પરનાં ભવ્ય વિજયની ઔતિહાસિક કથાતો જાણીતીજ છે.

દક્ષિણ ભારતમાં, ખાસ તો કેરળનાં ક્ષત્રિયો,જેઓ રાજ કુટુંબનાં સભ્યો હતા, તેમણે વિકસાવેલ 'કલારિપ્પાયટ્ટુ' નામની પ્રાચિન યુદ્ધકલા જાણીતી છે. આ કલા 'મર્મ કલાઇ' કે 'વર્મ કલાઇ' તરીકે પણ ઓળખાય છે. જેમાં શત્રુનાં મર્મસ્થાન (શરીરનાં અતિનાજુક સંવેદનશીલ ભાગ) પર અચાનક ચોટ કરી અને કોઇ બાહ્ય ઘાવ કર્યા વિના, તેને પાંગળો કે મૃત બનાવી દેવાય છે.

ક્ષત્રિયોની પોતાના રાજ્યને મજબુત બનાવવા માટેની કે શત્રુઓને હરાવવા માટેની ચતુર રાજનીતિક કુશળતા જાણીતી છે. તેઓ યુદ્ધ લડવા માટેનાં ખાસ નિયમોનું પાલન કરવા માટે પણ પ્રસિદ્ધ છે. તેઓ યુદ્ધનાં નિયમોનું પાલન કરતાં કરતાં યુદ્ધ લડી અને પોતાનાં ભયંકર શત્રુઓને માત આપવા માટે ઇતિહાસમાં નોંધાયેલ છે. તેઓની પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટેની અથક દૃઢતા ની કંઇ કેટલીયે વિરગાથાઓ મળે છે, જેમકે મહારાણા પ્રતાપ ની ગાથા.

તે ઉપરાંત "કેશરિયા કરવા" તે પણ ક્ષત્રિયોની એક આગવી શૈલી જણાય છે. જેમાં સબળ શત્રુ સામે હારની પરિસ્થિતિમાં,કે ઓછા સૈન્યબળનાં સહારે અચાનક સામી છાતીએ હુમલો કરી અને આરપારની લડાઇ લડી લેવામાં આવતી હતી.

યુદ્ધનાં નિયમો

ક્ષત્રિયો અને ક્ષત્રિયવંશીઓ માટે યુદ્ધ નિયમોનું પાલન કરવું ઘણું અગત્યનું ગણાતું હતું. તેઓ સ્ત્રીઓ અને શત્રુઓ માટે પણ પોતાની સહજ શાલીનતા અને સન્માન માટે પ્રસિધ્ધ હતા. આ વિષયો પર પ્રાચિન તાડપત્ર લેખો તથા શિલાલેખો પણ મળી આવેલ છે. એક ક્ષત્રિય જ્યાં સુધી આ યુદ્ધનિયમોને જાણે અને અનુસરે નહીં ત્યાં સુધી નિપુણ ક્ષત્રિય કહેવાતો નહીં.

ક્ષત્રિયોનાં યુદ્ધનિયમોએ ભારતમાં લોકકથાઓ અને લોકગીતોને માટે ભરપુર સામગ્રી પુરી પાડેલ છે. મહાભારતમાં પણ યુદ્ધનિયમો (યુદ્ધનિતિ)ની વાતો આવે છે. નિર્ણાયક પુરાતત્વિય પુરાવાઓ જોકે ઉપલબ્ધ નથી પરંતુ ઓછા વત્તાઅંશે તમામ સુત્રો એક બાબતમાં સહમત છે કે, યુદ્ધનિયમો હતા અને ક્ષત્રિયો તેમને અનુસરતા. અમુક અગત્યનાં યુદ્ધનિયમોની યાદિ અહીં આપેલ છે:

  • 'નિશસ્ત્ર પર હુમલો કરવો નહીં'- અર્થાત યુદ્ધનાં સમયમાં પણ જનસામાન્યને,કે જેઓ સૈનિક કે લડવૈયાઓ ન હોય, તેમની પર કોઇપણ કારણોસર હુમલો કરવો નહીં. તથા નિશસ્ત્ર કે ગંભિરરૂપે ઘાયલ સૈનિક પર પણ હુમલો કરાતો નહીં.
  • 'બંન્ને દળોને આરામ પુરો પાડવો'- અર્થાત કે યુદ્ધ સતત ચાલુ રહેતું નહીં પરંતુ સુર્યાસ્ત બાદ યુદ્ધવિરામ જાહેર કરાતો. હા ગુરિલ્લા યુદ્ધમાં આ નિયમ પળાતો નહીં.
  • 'બધાજ શત્રુઓ પરાજીત થવા જોઇએ'- અર્થાત તમારા સ્વજનો પણ જો તમારા શત્રુપક્ષે લડતા હોય તો તેમનો પણ નાશ કરતા અચકાવું જોઇએ નહીં.
  • 'પુરેપુરૂં જરૂરી ન હોય ત્યાં સુધી હુમલો કરવો નહીં'- અર્થાત પાછલો હિસાબ (શત્રુવટ) સરભર કરવાનો કે શત્રુને નિચાજોણું કરાવવાનો સબળ ઉદ્દેશ્ય ન હોય ત્યાં સુધી હુમલો કરાતો નહીં.
  • 'તમને લલકારે નહીં ત્યાં સુધી મહિલાઓ પર હુમલો કરવો નહીં'- અર્થાત મહિલા શત્રુદળમાં સૈનિક કે યોદ્ધા તરીકે ન હોય તો તેમની પર હુમલો કરવો નહીં. જો કોઇ સ્ત્રી શાસક હોય તો તેની સમગ્ર સેના હારી ગયા બાદ,શરણે થવા માટે કે પછી લડવા માટે કહેવાતું.
  • 'વિજયના ઉદ્દેશ વિના ગુરિલ્લા યુદ્ધ શરૂ કરવું નહીં'- અર્થાત ગુરિલ્લા યુદ્ધ માટે એવા ઉત્તમ સૈનિકોનેજ પસંદ કરાતા જેઓ ગમે તેટલા વિશાળ અને સબળ સૈન્યને,ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હરાવવાની નિપૂણતા ધરાવતા હોવા જોઇએ. અને આ હુમલો ફક્ત રાજનીતિક લક્ષ્ય માટેજ કરાતો,નહીંકે શત્રુસૈન્યનો પુરવઠો કાપવા માટે.
  • 'દગાખોર (ગદ્દાર) મૃત્યુથી બચવો જોઇએ નહીં'- અર્થાત પોતાનાજ સૈન્યનો દગાખોર કે દોષિત,કોઇ સંજોગોમાં જીવતો બચવો જોઇએ નહીં.

ક્ષત્રિય ધર્મ

ક્ષત્રિય ધર્મ એટલે એ નિયમો જે ક્ષત્રિયો દ્વારા પોતાની જાતિ અને મોભાને જાળવવા માટે પાળવામાં આવે છે.આજે પણ તે નિયમો વધુ તાર્કિક અને વિકસિત સ્વરૂપે જોવા મળે છે.

ભગવદ્ ગીતાનાં ૧૮ માં અધ્યાયનાં ૪૩ માં શ્લોકમાં ક્ષત્રિય ધર્મનું વર્ણન આવે છે:

શોર્ય તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ |
દાન મીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ||

ક્ષત્રિયો માટે સ્વજાતિ બહાર લગ્નસંબંધ અકલ્પનિય છે. આ કૃત્ય તેમનાં માટે કૌટુંબિક પરંપરાનું જબરૂં ઉલંઘન છે અને તેની સજારૂપે કદાચ તેમને તેમનાં કુટુંબ અને સમાજ માંથી અપમાન જનક રીતે બહાર કાઢી શકાય છે. આજે પણ આ રિવાજ મોટાભાગનાં ખાનદાનોમાં જોવા મળે છે. તેમાં સદીઓથી ચાલ્યા આવતા રિવાજ અને પરંપરાઓનું પાલન કરવા પર ખુબજ ભાર આપવામાં આવે છે. આ સિવાય,અન્ય પણ કેટલાય રિવાજો છે જે ફક્ત ખાસ અગ્રણી ક્ષત્રિય સમાજોમાં પેઢી દર પેઢી પાળવામાં આવે છે. આ રિવાજોનું પાલન કરવું તે તેમના માટે ખાસ સન્માન અને અગત્યનું છે,આજે પણ આનો ભંગ કરવાનો અર્થ છે કે કાયમને માટે પોતાનાં સમાજથી છુટું પડી જવું અથવા નાતબહાર થઇ જવું. સંયુક્ત કુટુંબપ્રથા આજે પણ ક્ષત્રિય કુટુંબોમાં બહુજ જોવા મળે છે,અને અગત્યની બાબતોમાં કુટુંબના વડિલનો નિર્ણય અંતિમ ગણાય છે. એવું મનાતું કે ક્ષત્રિયોને ધર્મ (ફરજ/ન્યાય) અને લોકોનું રક્ષણ સૌંપાયેલ હતું. તેઓને માનવતાનાં રક્ષણ માટે ઇશ્વર દ્વારા સ્વિકૃતી અપાયેલ હતી. મહાન રાજાઓને 'ધર્મરાજા' કહેવામાં આવતા.

મહાભારતમાં પણ ક્ષત્રિયધર્મને સમજાવવામાં આવેલ છે.

સંદર્ભ

  1. "Kshatriya." Encyclopædia Britannica. 2008. Encyclopædia Britannica Online. 5 June 2008
  2. Encyclopædia Britannica Online
  3. ઐતરેય બ્રાહ્મણ, ૭.૩૧; સતપથ બ્રાહ્મણ ૫.૩.૫.૧૩ પણ જુઓ
  4. સમાનતા,સંસ્કાર અને ધર્મ પર વિચાર; બ્રાયન કે.સ્મિથ
  5. અહીં (પર્વતો)ને બદલે એક તત્વ "અગ્નિ" હોવું જોઇએ. મદદ
  6. કથા કલ્પતરૂ, વેદનાં પ્રાચિન પ્રકરણ,માંથી લીધેલ.
  7. હરિવંશ ૧૪.૧–૧૯; વાયુ પુરાણ ૮૮.૧૨૭–૪૩; બ્રહ્મ પુરાણ (૮.૩૫–૫૧); બ્રહ્માંડ પુરાણ (૩.૬૩.૧૨૩-૧૪૧); શિવ પુરાણ (૭.૬૧.૨૩); વિષ્ણુ પુરાણ (૫.૩.૧૫–૨૧), પદ્મ પુરાણ (૬.૨૧.૧૬–૩૩) વગેરે વગેરે
  8. K.M. George (૧૯૯૧). A Many Branched Tree: Perspectives of Indian Literary Tradition.
  9. People, GAZETTEER LUDHIANA, Department of Revenue, Government of Punjab (India) સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૨ ના રોજ વેબેક મશિન, Homepage: [૧] સંગ્રહિત ૨૦૧૫-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન
  10. GAZETTEER AMRITSAR,Department of Revenue, Government of Punjab (India) સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન (First Edition 1976)
  11. "GAZETTEER OF INDIA PUNJAB FARIDKOT". મૂળ માંથી 2015-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-05.
  12. ૧૨.૦ ૧૨.૧ "In the Punjab in the sub- mountainous region the community came to be known as 'Saini'. It maintained its Rajput character despite migration." Castes and Tribes of Rajasthan, pp108,Sukhvir Singh Gahlot, Banshi Dhar, Jain Brothers, 1989
  13. ૧૩.૦ ૧૩.૧ People of India: Haryana, pp 430 , Kumar Suresh Singh, Madan Lal Sharma, A. K. Bhatia, Anthropological Survey of India, Published by Published on behalf of Anthropological Survey of India by Manohar Publishers, 1994
  14. ૧૪.૦ ૧૪.૧ Sudipta Mitra (2005). Gir Forest and the Saga of the Asiatic Lion. Indus Publishing. પૃષ્ઠ 83–. ISBN 978-81-7387-183-2. મેળવેલ 7 August 2017.
  15. The Chudasama and their collaterals the Raizada and sarvaiya are a branch of the Lunar or Chandravanshi line of Rajputs, they trace their origin to Lord Krishna. they were rulers and a powerful and highly warlike clan of Chandravanshi Rajputs. they have a very colorful history full of brave princes and soldiers who valliantly fought and martyred themselves for just causes. They Rajputs, concentrated in eastern Saurashtra are spread in fifty two small villages and towns in Bhal area. They are believed to have bifurcated from the larger Jadeja clan who claim descent the famous "Yadavas" from Histri of Bhagavat puran. The originator of the Chudasama clan is said to be an ancient prince named Gajpat, who had hidden in the bangle (chuda) of Hinglaj mataji, to escape persecution from a Muslim invader, who wanted to convert all the people in his way to Islam. They are a branch of Samma Rajput clan of Sind, descending from Yadav clan in which Lord Krishna was born.Chudasama called as Ra'.
  16. A glossary of the tribes and castes of the Punjab and North-West provinces, compiled by H A Rose Page 509 Vol 11
  17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-05.
  18. Chapter 8, "Yadavas Through the Ages" J.N.S.Yadav (1992)
  19. Robin James Moore. Tradition and Politics in South Asia. 1979. Vikas Publishing House.
  20. રામ સ્વરૂપ જુન: જાટનો ઇતિહાસ, રોહતક, ભારત (૧૯૩૮, ૧૯૬૭)
  21. Magumdar, Raichaudhry. Notes of IGNOUDelhi University, Allahabad University, BHU, JNU, Jamia Milia Islamia (Irfan Habib)
  22. CASTES AND TRIBES OF SOUTHERN INDIA, p14, 1909
  23. स बभूव दुरासदः परैर्गुरुणाथर्वविदा कृतक्रियः। पवनाग्निसमागमो ह्ययं सहितं ब्रह्म यदस्त्रतेजसा।।४।। सर्गः ८ रघुवंशमहाकाव्यम्।

વધુ વાંચન

  • History and Culture of Indian People, The Vedic Age, p 313-314
  • હરિલાલ ઉપાધ્યાય : આ ગુજરાતી લેખકે પ્રાચિન અને અર્વાચિન યુગો પર સંશોધન કરી અને પુસ્તકો લખ્યા છે, જે જ્ઞાનકોષિય નવલકથાઓ ગણાય છે. તેમણે ચંદ્રવંશ અને સૂર્યવંશ બન્ને પર પુસ્તક લખેલ છે. તેમણે મુખ્યત્વે ગુજરાતીમાંજ લખાણકાર્ય કરેલ છે.વધુ માહિતી તેમની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

બાહ્ય કડીઓ