સીતા

વિકિપીડિયામાંથી
Sita in exile.jpg
ધર્મહિંદુ ધર્મ Edit this on Wikidata
ગ્રંથોરામાયણ Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીરામ Edit this on Wikidata
બાળકોલવ, કુશ Edit this on Wikidata
માતા-પિતા
  • જનક Edit this on Wikidata (પિતા)
  • Sunayana Edit this on Wikidata (માતા)
સહોદરઊર્મિલા Edit this on Wikidata
અગ્નિ પરિક્ષા આપી રહેલ સીતા, મુઘલ શૈલીનું ચિત્ર

જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે. વેદમાં સીતા કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા’ શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. વાલ્મીકિ રામાયણ તેમ જ બીજી પાછળની રામકથાઓ પ્રમાણે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ આ રીતે જાનકી ‘અયોનિજા’ કહેવાયાં.

સીતાનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું. દેવી ભાગવતમાં કહ્યું છે કે, રાજા કુશઘ્વજની પત્ની માલવતીથી લક્ષ્મીનાં અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતાં જ તે વેદમંત્રો ઉરચારવા લાગી. તેથી તેનું નામ પાડયું વેદવતી. એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો. વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો ને પોતે યોગની અગ્નિમાં વિલીન થયાં. આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રખ્યાત બન્યાં, ને એના નિમિત્તે રાવણનો સંહાર થયો. માતા સીતાના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારી-સુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારીજીવનનો આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે.

સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે, "સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો". ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. પાછળથી લખાયેલાં રામાયણો જેવો કે અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, અઘ્યાત્મ રામાયણ વગેરેમાં તો સ્પષ્ટ રીતે જાનકી માતાની આદ્યશકિત કે દેવી શકિત રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આનંદ રામાયણમાં સીતાના અનેક જન્મો અને સ્વરૂપો બતાવ્યાં છે. વિશ્વંભર નામના ઉપનિષદમાં ‘ૐ નમ: સીતારામાભ્યામ્’ એ મંત્રનો મહિમા બતાવ્યો છે. શુક સંહિતામાં વળી જણાવ્યું છે કે રાધા એ જ સીતા છે અને કૃષ્ણ એ જ રામ છે. એમાં વર્ણન છે કે રાધા અને કૃષ્ણ રામના શરીરમાં પ્રવેશી ગયાં તે રામ પરબ્રહ્મ છે. રામ અને કૃષ્ણ કે સીતા અને રાધામાં વાસ્તવમાં કોઈ ભેદ નથી. એવી ધાર્મિક એકતાની ભાવના આમાંથી પ્રગટે છે.

ભગવાન રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદાપુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે. ભક્તિયુગમાં પ્રેમલક્ષણા ભકિતનો પ્રભાવ સીતા-રામની ભકિત ઉપર પણ પડયો અને એના પરિણામે સત્તરમી સદીમાં ‘રામરસિક સંપ્રદાય’ અસ્તિત્ત્વમાં આવ્યો. આ સંપ્રદાયને જાનકીવલ્લભ સંપ્રદાય અને જાનકી સંપ્રદાય જેવાં બીજાં પણ નામોથી ઓળખવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સીતા સાથે રાસલીલા કરે એ માની શકાય તેવું નથી, છતાં એ પણ હકીકત છે કે ઉત્તર ભારતમાં ઘણે સ્થળે રાસબિહારી કે લીલાવિહારી રામનાં અને રાસેશ્વરી સીતાનાં સ્થાનકો ઉભાં થયાં છે. આ સંપ્રદાયમાં આનંદ રામાયણ, ભુશુંડિ રામાયણ જેવા ઘણાં ગ્રંથો પણ લખાયા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]