લક્ષ્મણ રેખા

વિકિપીડિયામાંથી
ભિક્ષુકના રૂપમાં સીતા પાસે ભિક્ષા માંગતો રાવણ.

લક્ષ્મણ રેખા (સંસ્કૃત: लक्ष्मण रेखा), રામાયણની પાછળની આવૃત્તિઓમાં લક્ષ્મણ દ્વારા દોરવામાં આવેલી રેખા છે, જે રામની પત્નિ સીતાને દંડકારણ્ય (હવે નાસિક, મહારાષ્ટ્ર) માં સુરક્ષિત રાખવાના હેતુથી દોરવામાં આવી હતી. શ્રી રામ ચરિત માનસમાં આ અરણ્યકાંડમાં આ રેખા કે ઘટનાનો ઉલ્લેખ નથી. મૂળ વાલ્કિી રામાયણમાં પણ આ રેખાનો ઉલ્લેખ અરણ્ય કાંડમાં નથી, પરંતુ શ્રી રામ ચરિત માનસના લંકા કાંડમાં મંદોદરી રાવણની તાકાતના ઘમંડ પર વાર કરતા કહે છે કે તે લક્ષ્મણે દોરેલી નાની રેખાને પણ પાર નહોતો કરી શક્યો.

વાર્તા પ્રમાણે, રામ સોનેરી હરણ (જે ખરેખર છે મારીચ રાક્ષસ હતો) ની પાછળ જાય છે અને ઘણા સમય સુધી પાછા નથી આવતા. ચિંતિત થયેલી સીતા રામના નાના ભાઇ લક્ષ્મણને તેમની પાછળ જવાનું કહે છે. લક્ષ્મણ સીતાનું રુદન જોઇ શકતા નથી અને જવા તૈયાર થાય છે પરંતુ સીતાને તે પોતે ઝૂંપડીની બહાર દોરેલી રક્ષણાત્મક રેખા ઓળંગવાની મનાઇ કરે છે. લક્ષ્મણ જેવા જ રામની શોધમાં જાય છે ત્યારે ભિક્ષુકના રૂપમાં રાવણ ત્યાં આવે છે અને ભિક્ષા માંગે છે. રાવણ સીતાને ભિક્ષા માટે બહાર આવવા કહે છે અને સીતા લક્ષ્મણ રેખાની બહાર આવતા જ રાવણ સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લઇ જાય છે.

આધુનિક ઉપયોગ[ફેરફાર કરો]

લક્ષ્મણ રેખા, આધુનિક ભારતીય સમાજમાં કડક મર્યાદા અથવા એવા નિયમ માટે વપરાય છે, જેને ક્યારેય તોડી શકાતો નથી. ઘણી વખત તે નૈતિક મર્યાદા માટે પણ વપરાય છે જેને તોડતા તે અનિચ્છનીય પરિણામો લાવી શકે છે. ઉદાહરણ તરીકે:

બંધારણ ન્યાય અને સરકારના કાર્યો માટે સ્પષ્ટ છે, આ બંનેએ તેમની લક્ષ્મણરેખા ઓળંગવી ન જોઇએ -- લોક સભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જી

પૂરક વાચન[ફેરફાર કરો]