લખાણ પર જાઓ

વચનામૃત

વિકિપીડિયામાંથી
વચનામૃત
Manuscript
વચનામૃત ની હસ્તલિખિત પ્રત
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકનિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી
ભાષાગુજરાતી
પ્રકરણો૨૭૩

વચનામૃતસ્વામિનારાયણ ભગવાનની ઉપદેશવાણીનો પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. જેમાં તેમણે આપેલા ઉપદેશોમાંથી કુલ ૨૭૩ ઉપદેશોવચનોનો સમાવેશ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિપ્રસિદ્ધ અધ્યાત્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમના આશ્રિત સંતો અને સદ્ ગૃહસ્થો વચ્ચે થયેલી આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠીને સંગ્રહિત કરવામાં આવી છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ ચાર સંતોએ મળીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે અને તે સંપાદન પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને માન્ય કરેલું છે.

આમાં અનાદિના મૂળભૂત પાંચ તત્ત્વો (જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ), ભગવાનનું સ્વરૂપ, બ્રહ્માંડોની રચના, આત્મા-પરમાત્માનું જ્ઞાન, ભગવાનને પામવા માટેના સાધનોનો, ભગવાનને પામવા માટે સત્પુરુષની અનિવાર્યતા વગેરે મુદ્દાઓનો સુપેરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિશેષતા

[ફેરફાર કરો]

વચનામૃત ગ્રંથ તેની પ્રમાણભૂતતા અંગે કેટલીક એવી વિશિષ્ટતા ધરાવે છે કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ આધ્યાત્મિક ગ્રંથમાં જોઈ શકાય. આ વિશેષતાઓ નીચે મુજબ છે.

વિશેષ વિગત
૧. ભગવાન દ્વારા પ્રમાણિત આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં જ લખાયેલો અને તેમના દ્વારા જ પ્રમાણિત થયેલો ગ્રંથ છે. લોયામાં નિત્યાનંદ સ્વામીએ સ્વામિનારાયણને આ ગ્રંથ બતાવ્યો અને સ્વામિનારાયણે પોતે જે ઊચર્યા તે જ લખાયું છે તે ચકાસી જોયું હતું.
૨.સૂક્ષ્મ નોંધ સ્વામિનારાયણ ભગવાને કેવા વસ્ત્રો કયા રંગના પહેર્યાં છે, ખેસ કે સુરવાળ કેવો છે, ગળામાં કયા ફૂલોના હાર છે, મસ્તક પર પાઘ કે મુગટ કેવો છે અને તેમાં કયા પુષ્પના તોરા ઝૂકી રહ્યા છે, સ્વામિનારાયણ તે સમયે કઈ વિશિષ્ટ ચેષ્ટા કરી રહ્યા છે - આવી ઘણી બધી સૂક્ષ્મ નોંધ તે સમયના દૃશ્યને નજર સમક્ષ ખડું કરીને આપણને તે કાળમાં હાજર કરી દે છે.
૩. સમય અને સ્થળ દરેક ઉપદેશવચન કયા સ્થળે, કઈ તિથિએ અને કયા સમયે (સવાર, બપોર, સાંજ, રાત્રિ) ઉચ્ચારવામાં આવ્યા છે તે વિગતો અચૂકપણે ચોકસાઈથી નોંધવામાં આવી છે. જેનો આ ગ્રંથની પ્રમાણભૂતતામાં નોંધપાત્ર ફાળો છે.
૪. કોણ કોણ હાજર છે ઉપદેશવચનો વખતે કોણ કોણ હાજર છે તે નોંધ પણ ગ્રંથની પ્રામાણિકતાને પુષ્ટ કરે છે.

ગ્રંથના ઉદ્ગાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન

[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મૂળ લેખ - સ્વામિનારાયણ ભગવાન

ભગવાન સ્વામિનારાયણ ઉત્તરપ્રદેશમાં અયોધ્યા નજીક છપૈયા ગામે પ્રગટ્યા હતા. ૧૧ વર્ષની ઊંમરે તેમણે ગૃહત્યાગ કરી ભારતભરનું પગપાળા વિચરણ કર્યું. ગુજરાતમાં લોજ ગામે શ્રી રામાનંદ સ્વામીના આશ્રમમાં તેમણે પોતાનું વનવિચરણ પૂર્ણ કર્યું. પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ નામ ધારણ કર્યું. ફક્ત ૨૧ વર્ષની વયમાં જેતપુરમાં સ્વામી રામાનંદે તેમને સંપ્રદાયની ધર્મધુરા સોંપીને પોતાના સ્થાને નિયુક્ત કર્યા.

તેમના જન્મથી લઈ તેમના સ્વધામગમન સુધી તેઓ ક્યાં કેટલો સમય રહ્યા તેની નોંધ નીચે મુજબ છે.

વર્ષમાસદિવસ
૧.બાલ્યાવસ્થા – છપૈયા અને અયોધ્યા૧૧
૨.વન-વિચરણ, તીર્થાટન૧૧
૩.લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી સાથે૧૦
૪.સદ્.રામાનંદ સ્વામી સાથે૧૬
૫.દાદાખાચરના દરબારમાં નિવાસ અને ગુજરાતમાં વિચરણ૨૮૨૭
કુલ૪૯

વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખની વાણીનો ગ્રંથ છે. વચનામૃત એટલે વચનરૂપી અમૃત - જેમ અમૃતથી અમર થવાય છે, તેમ ભગવાનની વાણી જન્મમરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવી છે. આ ગ્રંથ મહદ્અંશે પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણના સંતો-ભક્તોએ અધ્યાત્મ માર્ગની આંટીઘૂંટીમાં માર્ગદર્શક નીવડે તેવા કુલ ૪૦૪ જેટલા પ્રશ્નો પૂછ્યા છે. જેમ કે, વાસના કોને કહેવાય? તેને ટાળવાનો ઉપાય શો છે? આત્મા અને પરમાત્માનું દર્શન કઈ રીતે થઈ શકે? દુઃખનું કારણ શું છે? અખંડ આનંદમાં કઈ રીતે રહેવાય? શાશ્વત સુખ પામવા માટેના સાધનો શું છે? ભગવાનનું ધામ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? અનાદિના તત્ત્વો કેટલા છે? તેમની વચ્ચે શો તફાવત છે? સત્પુરુષના લક્ષણ શું છે? કલ્યાણ માટે સત્પુરુષની અનિવાર્યતા શી છે? આવા અનેક પ્રશ્નો તે સમયના સંતો-ભક્તોએ ભગવાનને પૂછ્યા અને ભાવિ મુમુક્ષુઓને કાયમી માર્ગદર્શન મળતું રહે તેવી વ્યવસ્થા આ ગ્રંથના નિર્માણ દ્વારા તેઓ કરતા ગયા.

ભગવાન ગુજરાતમાં વિક્રમ સંવત્ ૧૮૫૬ માં પધાર્યા. ત્યારથી તેમણે ઉપદેશવચનો ઘણા કહ્યા હતા. પણ તેની વ્યવસ્થિત સત્તાવાર નોંધની શરૂઆત વિક્રમ સંવત્ ૧૮૭૬ થી કરવામાં આવી. આમ, સંવત્ ૧૮૭૬ થી લઈ તેઓ સ્વધામ પધાર્યા ત્યાં સુધીના સંવત ૧૮૮૬ સુધીના ગાળાના ઉપદેશવચનોમાંથી ચૂંટેલા કુલ ૨૬૨ ઉપદેશવચનોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલ છે. જોકે અમદાવાદ દેશના વચનામૃતમાં ઉપદેશવચનોની સંખ્યા ૨૭૩ જેટલી છે. વળી, આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ જે સ્થળે બિરાજમાન હોય તે સ્થળ પ્રમાણે વિભાગીકરણ જોવા મળે છે. દા.ત. ભગવાન ગઢ઼઼ડા ગામમાં બિરાજમાન હોય તે વચનામૃતોને ગઢ઼ડા પ્રકરણના વચનામૃતો કહેવાય છે, ભગવાન સારંગપુર માં બિરાજમાન હોય તેને સારંગપુર પ્રકરણના વચનામૃતો કહેવાય છે. આ રીતે ગઢડા, સાળંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અમદાવાદ, વડતાલ, જેતલપુર, અશ્લાલી આટલા સ્થળોના ચૂંટેલા વચનામૃતો ગ્રંથમાં સ્થાન પામ્યા છે. કયા સ્થાનોમાં કેટલી સંખ્યામાં ઉપદેશવચનો આ ગ્રંથમાં સંંપાદિત છે તેની યાદી નીચે મુજબ છે.

સ્થળવચનામૃતોની સંખ્યાઅમદાવાદના પ્રકાશનમાં સંખ્યા
ગઢડા૧૮૪૧૮૪
સાળંગપુર૧૮૧૮
કારિયાણી૧૨૧૨
લોયા૧૮૧૮
પંચાળા
વડતાલ૨૦૨૦
અમદાવાદ
જેતલપુર
અશ્લાલી
કુલ૨૬૨૨૭૩

વચનામૃતના આધારે લખાયેલા અન્ય ગ્રંથો

[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગ્રંથ અતિ મહત્વનો ગણાય છે, તેનું કારણ શ્રદ્ધા કરતા વધુ તેની મૌલિકતા છે. આ ગ્રંથના આધારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સાહિત્યની રચના થતી રહી છે. વચનામૃતના આધારે ઘણા ગ્રંથો રચાયા છે પણ સૌ પ્રથમ રચના શતાનંદ સ્વામીએ કરી હતી.

ગ્રંથનું નામગ્રંથની ભાષારચયિતાઅન્ય નોંધ
હરિવાક્ય સુધાસિન્ધુસંસ્કૃતશતાનંદ સ્વામીઆ ગ્રંથ એ વચનામૃત ગ્રંથનો સંસ્કૃત અનુવાદ છે
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકોપેતમ્ગુજરાતીઅનાદિ મહામુક્તરાજ અબજીબાપાવચનામૃત ગ્રંથ પર ટીકા (કેવળ વચનામૃતોના સંદર્ભના આધારે સમજૂતી)
'સેતુમાલા' ટીકાસંસ્કૃતઆચાર્ય રઘુવીરજી મહારાજહરિવાક્ય સુધાસિન્ધ પર ટીકા
બ્રહ્મરસાયણભાષ્યમ્સંસ્કૃતકૃષ્ણવલ્લભાચાર્યઆ ગ્રંથમાં લેખકે શ્રુતિ-સ્મૃતિના પ્રમાણો સાથે વૈદુષ્યભરી ભાષામાં વચનામૃતના સિદ્ધાંતોનું સમર્થન થયું છે.
વચનામૃત ચિંતનગુજરાતીદેવપ્રસાદદાસજી સ્વામીવચનામૃત ગ્રંથ ઊપર ટીકા
વચનામૃત રહસ્ય ભાગ ૧થી ૫ગુજરાતીબ્રહ્મદર્શન દાસવચનામૃત ગ્રંથના આધારે સાધન, સાધના અને સાધ્યનું વિવેચન