ચિત્રાંગદા
ચિત્રાંગદા | |
---|---|
માહિતી | |
કુટુંબ | ચિત્રવાહન (પિતા) |
જીવનસાથી | અર્જુન |
બાળકો | બભ્રુવાહન |
સંબંધીઓ | કુંતી (સાસુ), પાંડવો, દ્રૌપદી, ઉલૂપી, સુભદ્રા (સહ-પત્ની) |
ચિત્રાંગદા (સંસ્કૃત: चित्रांगदा) એ હિંદુ મહાકાવ્ય મહાભારતમાં મણિપુરની રાજકુમારી છે. તે રાજા ચિત્રવાહનની એકમાત્ર વારસદાર છે અને તે અર્જુનની ત્રીજી પત્ની હતી. તેમને બભ્રુવાહન નામનો એક પુત્ર હતો.[૧] ચિત્રાંગદાની કથાને ભારતીય લેખક રવીન્દ્રનાથ ટાગોરે તેમના નાટક ચિત્રામાં અપનાવી હતી.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]મહાભારત કાળમાં મણિપુર ભારતનું એક રાજ્ય હતું. તેના પર ચિત્રવાહન નામના રાજાનું શાસન હતું.[૨] તેમને ચિત્રાંગદા નામની એક પુત્રી હતી, જેનું નામ તેમણે મધુલિકાના પુષ્પ પરથી રાખ્યું હતું. અનેક પેઢીઓ સુધી આ રાજવંશમાં એકથી વધુ વારસદારો ન હતા. ચિત્રવાહનને બીજો કોઈ વારસ ન હોવાથી તેણે ચિત્રાંગદાને યુદ્ધ અને શાસનની તાલીમ આપી. ચિત્રાંગદા યુદ્ધમાં સારી રીતે જાણકાર હતી અને તેમણે પોતાની ભૂમિના લોકોનું રક્ષણ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું.[૩]
અર્જુન સાથે વિવાહ
[ફેરફાર કરો]પાંડવ રાજકુમાર અર્જુન અને ચિત્રાંગદા એકબીજાને કેવી રીતે મળ્યા તેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું નથી. રવીન્દ્રનાથ ટાગોરના નાટક ચિત્રા[૪]માં આ વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રાંગદા (તેની પાસે સુજાતા નામની દાસી હતી)ને પુરુષ વસ્ત્રોમાં સજ્જ એક યોદ્ધા તરીકે દર્શાવવામાં આવી છે.[૫] તેની પ્રામાણિકતા અને હિંમતને કારણે અર્જુન તેના પ્રેમમાં પડ્યો.[૩] અર્જુનના ભટકતા ભટકતા તેના વનવાસના સમયગાળા દરમિયાન પ્રાચીન રાજ્ય મણિપુરમાં પહોંચી જાય છે. મણિપુરના રાજા ચિત્રવાહનની મુલાકાત લઈને તેણે રાજાની સુંદર પુત્રી ચિત્રાંગદાને જોઈ, તેના પ્રેમમાં પડી ગયો. જ્યારે તેણે લગ્ન માટે રાજા પાસે તેની પુત્રી ચિત્રાંગદાનો હાથ માંગ્યો, ત્યારે રાજાએ તેને તેના પૂર્વજ પ્રભંજનની વાર્તા કહી, જે નિઃસંતાન હતો અને સંતાન પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા આદરી હતી. છેવટે શિવ પ્રભંજન સામે પ્રકટ થયા અને તેને વરદાન આપ્યું કે તેમના વંશમાં પ્રત્યેક ઉત્તરાધિકારીને એક-એક સંતાન થશે. ચિત્રવાહનને તેના પૂર્વજોથી વિપરીત, એક પુત્ર નહીં, પણ એક પુત્રી હતી, તેથી તેણે તેના લોક રિવાજ અનુસાર તેને "પુત્રિકા" બનાવી હતી. આનો અર્થ એ થયો કે તેના દ્વારા જન્મેલું બાળક તેનું ઉત્તરાધિકારી હશે, બીજું કોઈ નહીં. અર્જુને તરત જ આ શરત સ્વીકારી લીધી. ચિત્રાંગદ સાથે લગ્ન કરીને તે ત્રણ વર્ષ સુધી તેની સાથે રહ્યો. ચિત્રાંગદાએ જ્યારે પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે અર્જુને તેને પ્રેમથી ભેટી પડ્યો હતો અને ફરીથી પોતાના વનપ્રસ્થાન માટે તેણી અને તેના પિતાની રજા લીધી હતી.[૬][૭]
અર્જુન તેણીને છોડીને હસ્તિનાપુર પાછો ફર્યો અને તેને વચન આપ્યું કે તે તેણીને પોતાના રાજ્યમાં લઈ જશે. ચિત્રાંગદાએ પોતાના પુત્ર બભ્રુવાહનને ઉછેરવાનું શરૂ કર્યું. મહાભારતમાં અનેક પ્રકરણોમાં ચિત્રાંગદા અને તેના રાજ્યનો ઉલ્લેખ જોવા મળતો નથી. બીજી બાજુ, પાંડવો વિભિન્ન મુશ્કેલીઓમાંથી પસાર થયા અને અંતે કૌરવો સામેની લડાઈમાં વિજય મેળવ્યો. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. તેમનું મન બેચેન હતું કારણ કે યુદ્ધ દરમિયાન તેમને હંમેશાં પોતાના સ્વજનોનીની હત્યા કરવાનું ખરાબ લાગતું હતું. ઋષિમુનિઓની સલાહથી તેમણે અશ્વમેધ યજ્ઞનું સંચાલન કર્યું, જ્યાં સુશોભિત ઘોડાને સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવતો અને જ્યાં પણ તે નિર્વિરોધ જાય, ત્યાંની જમીન મોકલનાર રાજા દ્વારા સંપાદિત કરવામાં આવતી. અર્જુનને ઘોડાની સંભાળ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઘોડો જ્યારે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે એક યુવકે અર્જુનનો વિરોધ કર્યો હતો. અર્જુને જ્યારે આ યુવાનની ઓળખ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તે દેશનો રાજકુમાર છે અને લડત શરૂ કરવા માટે તે પૂરતો પરિચય છે.[૮]
બન્ને યોદ્ધાઓ વચ્ચે એક ભયંકર લડત શરૂ થઈ. આ રાજકુમાર જે કુશળતાથી તેની તરફ તીર વરસાવી રહ્યો હતો તે જોઈને અર્જુન ચોંકી ગયો. છેવટે રાજકુમારનું એક તીર વાગવાથી તે બેભાન થઈ ગયો. આ ઘટનાની જાણ થતાં જ ચિત્રાંગદા રડતી રડતી ત્યાં આવી અને તે અર્જુનને તેની મૃત્યુશૈયા પર મળી. અર્જુનની બીજી પત્ની ઉલૂપી નાગમણી સાથે ઘટના સ્થળે આવી. આ એક પૌરાણિક રત્ન હતું, જે મૃત માણસોને જીવંત કરી શકે તેમ હતું.[૯] તેણે ચિત્રાંગદા અને બભ્રુવાહનને જણાવ્યું કે અર્જુન આઠમા વસુ ભીષ્મના પતન માટે જવાબદાર હતો આથી વસુઓએ તેને શ્રાપ આપ્યો હતો કે તેને તેના જ પુત્ર દ્વારા મારી નાખવામાં આવશે. આમ, આ ઘટના સાથે તે તેના શ્રાપથી મુક્ત થઈ ગયો છે. અર્જુન નાગમણિથી જીવંત થયો અને તે તેની બંને પત્નીઓ અને તેના પુત્રને જોઈને ખુશ હતો. અર્જુન ઉલૂપી, ચિત્રાંગદા અને તેના પુત્ર બભ્રુવાહનને લઈને હસ્તિનાપુર ગયો, જ્યાં ચિત્રાંગદાએ અર્જુનની જ્યેષ્ઠ માતા ગાંધારીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું.[૩]
પાંડવોની નિવૃત્તિ
[ફેરફાર કરો]કળિયુગની શરૂઆત થતાં જ પાંડવોએ દ્રૌપદી સાથે નિવૃત્ત થઈને પોતાના એકમાત્ર વારસદાર અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજગાદી સોંપી દીધી હતી. પોતાનો બધો જ સામાન અને સંબંધોનો ત્યાગ કરીને, તેઓએ એક કૂતરા સાથે હિમાલયની તરફ અંતિમ યાત્રા કરી. ચિત્રાંગદા પોતાના રાજ્ય મણિપુરમાં પાછી ફરી.[૧૦]
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું નાટક
[ફેરફાર કરો]શ્રી રવિન્દ્રનાથ ટાગોરએ મહાભારત ના ભાગ પર એક ખુબ સુંદર, સંગીતમય નાટક લખ્યુ હતું. જેકે તેમનું નાટક અસલ મહાભારત કરતા જરા જુદુ પડે છે. તેમના નાટક મુજબ ચિત્રાંગદા ને મણિપુર ના રાજાનું એક માત્ર સંતાન તરીકે વર્ણવી છે. ઉપરાંત તે રાજ્યની ઉત્તરાધિકારી હોવાને લીધે પ્રજાની રક્ષક તથા પુરુષો જેવો પોષાક પહેરતી સંદર કન્યા તરીકે આલેખી છે. એક દિવસ અર્જુન જ્યારે વનમાં મૃગીયા કરી રહ્યો હોય છે ત્યારે તે અર્જુનના પરાક્રમ તથા રુપથી મોહિત થઇ જાય છે. આ તરફ અર્જુન પણ તેના યુદ્ધ કૌશલ થી પ્રભાવિત થાય છે પરંતુ, તે ચિત્રાંગદા ને પુરુષ જ માની બેસે છે. ચિત્રાંગદા ને આ વાતનો ખ્યાલ આવતા તે એક ઋષિ ને પ્રસન્ન કરી તેમની પાસેથી રુપનું વરદાન માગે છે અને અત્યંત રમણિય રુપ પ્રાપ્ત કરે છે. ફરી જ્યારે અર્જુન તેને જોવે છે તો તેના પ્રેમમા પડ્યા વગર રહી શકતો નથી. આમ છતા ચિત્રાંગદા ને હ્રદયમા હંમેશા એમ લાગ્યા કરતું હોય છે કે અર્જુન તેને તેના મૂળ રુપમા જ પ્રેમ કરે.
એક વખત જ્યારે રાજ્યમાં લૂટારાઓ ત્રાટક્યા ત્યારે અર્જુને લોકો પાસેથી સાંભળ્યુંકે તેમના રાજ્યની રાજકુમારી મહાન યોદ્ધા છે અને તેઓ સમજી નથી શકતા કે શા માટે તે તેઓને બચાવવા માટે આજે નથી આવતી. અર્જુનને આ રાજકુમારી ને મળવાની જીજ્ઞાસા થાય છે અને તેજ વખતે ચિત્રાંગદા પોતાના મૂળ રુપમા આવી રાજ્યને બચાવી લે છે અને ત્યાર બાદ અર્જુનને કહે છે કે તેજ ચિત્રાંગદા છે. આમ, ફક્ત રુપ જ નહી પરંતુ તેના સાહસ અને શૌર્ય પર ફિદા થઇ અર્જુન તેની સાથે લગ્ન કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Shastri Chitrao (1964), p. 213
- ↑ Devi, Lairenlakpam Bino (2002). The Lois of Manipur: Andro, Khurkhul, Phayeng and Sekmai (અંગ્રેજીમાં). Mittal Publications. ISBN 978-81-7099-849-5.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Bhanu, Sharada (1997). Myths and Legends from India - Great Women. Chennai: Macmillan India Limited. પૃષ્ઠ 7–9. ISBN 0-333-93076-2.
- ↑ Tagore, Rabindranath (2015). Chitra - A Play in One Act. Read Books Ltd. પૃષ્ઠ 1. ISBN 9781473374263.
- ↑ J. E. Luebering, સંપાદક (20 December 2009). The 100 Most Influential Writers of All Time. The Rosen Publishing Group, Inc. પૃષ્ઠ 242. ISBN 9781615300051.
- ↑ Ganguli (1883), Book I, Section 218
- ↑ Thadani, N. (1931). The Mystery of the Mahabharata. 4. India Research Press. GGKEY:EUL3QR74A0R.
- ↑ Sweety, Dr.Shinde (2015). Arjun: Without A Doubt. Leadstart Publishing PvtLtd. ISBN 978-93-81836-97-2.
- ↑ Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION LXXXI". The Mahabharata: Book 14: Anugita Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016.
- ↑ Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION 1". The Mahabharata: Book 17: Mahaprasthanika Parva. Internet Sacred Text Archive. મેળવેલ 3 April 2016. CS1 maint: discouraged parameter (link)