દુઃશાસન

વિકિપીડિયામાંથી

દુઃશાસનકે દુશાસન (સંસ્કૃત: दु:शासनः) મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો બીજો પુત્ર તથા દુર્યોધનનો નાનો ભાઈ હતો.

જન્મ અને ઉછેર[ફેરફાર કરો]

જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે વ્યાસમુનીને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ દુર્યોધન અને બીજા પાત્રમાંથી જન્મેલા બાળકનું નામ દુઃશાસન પાડવામાં આવ્યું. દુઃશાસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો.

દ્રૌપદી ચિરહરણ[ફેરફાર કરો]

કૌરવોનાં મામા શકુની સાથેના ધ્યુત (જુગાર)ની રમતમાં યુધિષ્ઠિર એક એક કરીને તેની સંપત્તિ, રાજ્ય, ભાઈઓ અને તેની પત્નીને હારી જાય છે, ત્યારે દુઃશાસન તેના ભાઈ દુર્યોધન વતી દ્રૌપદીને ભર સભામાં ઘસડી લાવે છે અને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ દ્રૌપદી શ્રીકૃષ્ણની પરમ ભક્ત અને સખી હોઇ તેમનું સ્મરણ કરે છે અને શ્રીકૃષ્ણ તેનાં ચિર (સાડી)ને અનંત લંબાઇનું બનાવી દે છે જેથી દુઃશાસન તેનું હરણ કરી ન શકે.

પરંતુ તેણીને વાળ દ્વારા ઘસડીને સભામાં લાવવામાં આવી હતી જે તેનું અપમાન હતું, આ અપમાનનું વેર વાળવા તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત દુઃશાસનના રક્તથી વાળ નહિ ધુએ ત્યાં સુધી તે પોતાના વાળ બાંધશે નહિ. ભીમ પણ દુઃશાસનની છાતી ચીરી તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરે છે.

મૃત્યુ[ફેરફાર કરો]

કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ દુઃશાસનનો વધ કરે છે, તેનો બાહુ શરીરથી જુદો કરી તેનું રક્ત પી પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પણ પુરી કરાવડાવે છે. દુઃશાસનનો વધ, કર્ણ અને દુર્યોધનને ખુબજ વિચલિત કરી દે છે. ભીમનું ક્રોધાયમાન વિકરાળ રૂપ જોઈ કૌરવ સેનાનું જોમ નાશ પામે છે.

નામ[ફેરફાર કરો]

મોટે ભાગે આ નામને સંસ્કૃતના બે શબ્દોમાંથી લેવામાં આવ્યું હોય એમ લાગે છે, 'દુઃ' અર્થાત સખત મજબૂત અને 'શાસન'નો અર્થ છે સંયમ.