બહ્લિક

વિકિપીડિયામાંથી
બહ્લિક
માહિતી
કુટુંબપ્રતીપ (પિતા), સુનંદા (માતા), દેવાપિ અને શંતનુ (ભાઈઓ)
બાળકોસોમદત્ત, પૌરવી (વાસુદેવની પત્ની, શ્રી કૃષણની અપર મા)
સંબંધીઓભૂરિશ્રવા (પૌત્ર)
ભીષ્મ, ચિત્રાંગદા, વિચિત્રવીર્ય (ભત્રીજા/ભત્રીજી)
પાંડુ, પાંડવ, કૌરવ (પ્રપૌત્રો કે પ્રપૌત્રોના સાવકા ભાઈ/પિતરાઈ)
વાસુદેવ (જમાઈ)
ભારતીય મહાકાવ્યો અને ભરત ખંડમાં ઉલ્લેખિત રાજ્યો અને પ્રજાસત્તાકોના અન્ય સ્થાનો સાથે બહ્લિક રાજ્ય

બહ્લિક (સંસ્કૃત: बह्लिक) જે વાહલિક તરીકે પણ ઓળખાય છે તે હિંદુ સાહિત્યમાં બહ્લિક રાજ્યના રાજા હતા. હિંદુ મહાકાવ્ય મહાભારતમાં તેમનો ઉલ્લેખ છે. તેઓ હસ્તિનાપુરના રાજા હતા અને ભીષ્મના પિતા શંતનુના મોટા ભાઈ હતા. તે કુરુક્ષેત્ર યુદ્ધમાં લડનારા સૌથી વૃદ્ધ યોદ્ધા હતા. તેમને એક પુત્ર સોમદત્ત અને એક પુત્રી પૌરવી હતી. સોમદત્તના પુત્રો ભૂરીશ્રવા, ભૂરી અને શલા અને પૌરવીના પુત્રો અવગહા અને નંદક એમ પાંચ પૌત્રો અને નાતી હતા. તેમની પૌત્રી અને સોમદત્તની પુત્રી અવગહાએ કાશીના રાજા અભિભુ સાથે લગ્ન કર્યા હતા. અભિભુ બહ્વિકની સાથે જ કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા હતા. કુરુક્ષેત્ર યુદ્ધમાં ૧૪મા દિવસે ભીમ સાથે લડતા બહ્લિક વીરગતીને પ્રાપ્ત થયા હતા. જો કે, તે દિવસે સૂર્યાસ્ત બાદ આ યુદ્ધ ચાલ્યું હતું, જે યુદ્ધના નિયમ વિરુદ્ધ હતું. યુધિષ્ઠિરના માનવા પ્રમાણે બહ્લિકની એક જ ઈચ્છા હતી કે ભરત કુળમાં શાંતિ રહે. [૧]

કુરુ રાજકુમાર અને રાજ્યાભિષેક[ફેરફાર કરો]

બહ્લિક હસ્તિનાપુરના રાજા પ્રતીપ અને રાણી સુનંદાના ત્રણ પૈકી બીજા પુત્ર હતા. રાજાએ તેમના મોટા પુત્ર દેવાપિને હસ્તિનાપુરની ગાદી આપી અને બહ્લિકને નવો જીતેલો પ્રદેશ આપ્યો. જો કે કેટલાકના મતે મગધના રાજા જરાસંધના પાંચાલ સાથેના યુદ્ધમાં બહ્લિક પાંચાલના પક્ષે યુદ્ધ ન કરે તે માટે જરાસંધે આ જમીન બહ્લિકને ભેટ આપી હતી.[૨] આ રાજ્યનો પ્રદેશ વાહલિક પ્રદેશ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. આ તરફ દેવાપિને રક્તપિત્ત થવાથી તેમણે રાજ્ચાભિષેકનો અસ્વીકાર કરી તપસ્યા કરવા તેઓ જંગલમાં જતા રહ્યા. પરિણામે હસ્તિનાપુરનું રાજ્ય શંતનુના હાથમાં આવ્યું. પ્રતીપના અવસાન પશ્ચાત શંતનુ રાજા બન્યા.[૩]

કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા[ફેરફાર કરો]

કૌરવો અને પાંડવોની તેમના ગુરુ દ્રોણાચાર્ય અને કુલગુરુ કૃપાચાર્ય સાથે સંપન્ન થઈ ત્યારે દીક્ષાંત સમારોહ વખતે અને યુધિષ્ઠિરની યુવરાજ તરીકે નિમણુક થઈ તે બન્ને પ્રસંગોએ બહ્લિક હાજર હતા. જ્યારે યુધિષ્ઠિર સમ્રાટ બનવા માટે રાજસૂય યજ્ઞ કરે છે, તે પ્રસંગે બહ્લિક પહેલા તો નકુલ તરફથી મળેલા પડકારનો સ્વીકાર કરે છે પરંતુ પછી પરિસ્થિતિને સમજીને તેઓ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારી છે, એટલું જ નહીં પણ તેમના રાજ્યાભિષેકમાં હાજર રહીને તેમને શુદ્ધ સુવર્ણથી બનેલો રથ ભેટ આપે છે. દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચેની ચોસરની રમતના સમારંભમાં બહ્લિકે સપરિવાર હાજરી આપી હતી.[૪]

કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન[ફેરફાર કરો]

બહ્લિક અને તેમનું સૈન્ય મહાભારતના યુદ્ધ દરમિયાન દુર્યોધનના પક્ષે લડ્યા હતા. ભીષ્મ તેમને અતિરથી માનતા હતા.[૫] પ્રથમ દિવસે, બહ્લિકે ધૃષ્ટકેતુ સામે યુદ્ધ કર્યું. નવમા દિવસે, ભીમે બહ્લિકના રથનો ધ્વંશ કર્યો; જો કે, તેને લક્ષ્મણ કુમારે તેમનો અદ્ભુત બચાવ કર્યો. તેરમા દિવસે, દ્રોણાચાર્યે ચક્રવ્યુહની રચના કરી અને પૂર્વ આયોજનના ભાગ રુપે અર્જુનને પડકાર આપીને સુશર્મા અને તેનું સૈન્ય અર્જુનને લડતાં લડતાં દૂર લઈ જાય છે. આ દરમ્યાન દ્રોણાચાર્ય ચક્રવ્યુહની રચના કરે છે જેનું જ્ઞાન પાંડવ પક્ષે કોઈને નથી, પણ અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુને ચક્રવ્યુહના સાત કોઠા પૈકી છેલ્લા કોઠા સિવાય તમામનું પુરું જ્ઞાન છે. તેને સાતમા કોઠામાંથી બહાર નીકળવાની રીતનું જ્ઞાન નથી. આ તરફ દ્રોણાચાર્ય આ વ્યુહ દ્વારા યુધિષ્ઠિરને બંદી બનાવવાની યોજના કરે છે. આ યુદ્ધમાં અભિમન્યુ સાતમા કોઠામાં લડતાં લડતાં વીરગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે તે સાતમા કોઠામાં ફસાઈ જાય છે ત્યારે દુર્યોધન, જયદ્રથ, કર્ણ જેવા મહારથીઓ નિશસ્ત્ર બની ચૂકેલા અભિમન્યુની શર્મનાક હત્યા કરે છે. તેમાં પણ બહ્લિક ભાગ લે છે. ચૌદમા દિવસે બહ્લિકનો સામનો ઉપપાંડવો અને શિખંડી સામે વારાફરતી થાય છે.[૬]

મૃત્યુ[ફેરફાર કરો]

યુદ્ધના ચૌદમા દિવસે, બહ્લિકે સેનાવિંદુને મારી નાખ્યો. પછીથી, સાત્યકીએ બહ્લિકાના પુત્ર સોમદત્ત સાથે યુદ્ધ કર્યું અને તેના તીરોથી તેને બેભાન કરી નાખ્યો. ગુસ્સે ભરાયેલા, બહ્લિક તેના પુત્રની વહારે આવે છે. જો કે, આ વખતે ભીમ તેમને યુદ્ધ માટે લલકારે છે અને ભીમના પ્રહારથી પહેલા તો બહ્લિક મુર્છિત થઈ જાય છે અને હોશમાં આવ્યા બાદ ફરી ભીમ સાથે યુદ્ધ કરતાં કરતાં ભીમની ગદાના પ્રહારથી તેમનું મૃત્યુ થાય છે.

યુદ્ધમાં ફક્ત બહ્લિક નહીં પણ તેમના પુત્ર સોમદત્ત, સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા અને તેના નવ સાવકા ભાઈઓ અને પિતરાઈનું મૃત્યુ થતાં બહ્લિકના કોઈ વારસો ન બચતાં તેમનો વંશ ત્યાં અટકી જાચ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli.
  2. Purwadi. Mahabharata. Yogyakarta: Media Abadi, 2004. Print.
  3. Muir, J. Original Sanskrit Texts on the Origin and History of the People of India, Their Religion and Institutions, by J. Muir. New Delhi: Oriental Publishers and Distributors, 1976. Print.
  4. Debroy, Bibek (June 2015). The Mahabharata, Volume 4. Penguin UK. પૃષ્ઠ 810, 790.
  5. Debroy, Bibek (June 2015). The Mahabharata, Volume 4. Penguin UK. પૃષ્ઠ 827.
  6. Ganguly, Kisari. "The Mahabharata of Krishna-Dwaipayana Vyasa". મેળવેલ 6 June 2017.