લખાણ પર જાઓ

સરસ્વતી નદી

વિકિપીડિયામાંથી
સરસ્વતી નદી
સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનકોટેશ્વર
લંબાઇ૩૬૦ કિમી

સરસ્વતી નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાં છે અને તે કચ્છના રણને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૩૬૦ કિમી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૩૭૦ ચોરસ કિમી છે. સરસ્વતી નદીના કાંઠા પર પાટણ અને સિદ્ધપુર શહેરો વસેલા છે.[૧] આ નદી સમુદ્રને મળતી નથી માટે તેને કુમારિકા નદી કહે છે.

સરસ્વતી નદી આર્યાવર્તની ત્રણ નદીઓમાંની એક પવિત્ર નદી ગણાય છે. ઋગ, સામ અને અથર્વનાં જુદાં જુદાં મંડળોમાં એની સ્તુતિઓ ગાવામાં આવી છે. વાયુ પુરાણમાં તેને હિમવત્પાદનિસ્સૃતા અને સમુદ્રગા કહેલી છે અને બીજે સ્થળે એને "સિન્ધુ અને મરુ દેશના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળનારી" ગણાવી છે. વેદકાલીન સરસ્વતીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી, હાલની મારવાડની ભૂમિમાં થઈ આબુના પહાડો આગળ ગુજરાતમાં પ્રવેશ કરી ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદા પાડી ખંભાતના અખાત આગળ સમુદ્રમાં ભળતો હતો.[૨]

કહેવાય છે કે હાલ આ નદીનું મૂળ ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમૂખમાં છે. જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી વહેતી છેક અલ્હાબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લૂપ્ત થઇ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે પુનઃ પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતાં કચ્છનાં રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે.

ગુજરાતમાં આવેલું સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે વસેલું છે, જ્યાં કારતકી પૂનમનો મેળો ભરાય છે જે માણવા સ્થાનિક તેમજ દૂર દૂર ના રબારીઓ આવે છે. આ ઉપરાંત ગુજરાત ભરમાંથી અન્ય કોમનાં લોકો પણ આ મેળામાં ઉમટે છે. અહીં નદી કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.

આ નદી ઉપર પાંડવા નામનું ગામ આવેલું છે, જ્યાં મુક્તેશ્વર મહાદેવનું પૌરાણીક મંદિર આવેલુ છે અને બંધ આવેલો છે. એવી માન્યતા છે કે અહીં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન પોતાના પિતા પાંડુ રાજાની મુક્તિ માટે આરાધના કરી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સરસ્વતી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "સરસ્વતી - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૭.